“તે હું ...હું જ...” અમન મોહંમદ બીજા કોઈની પહેલાં મારા પ્રશ્નનો જવાબ આપવા આતુર હતો. મેં 12 કે તેથી વધુ બાળકોના જૂથને વિનાયક ચોથ માટેના આ વર્ષના પંડાલના મુખ્ય આયોજક વિષે પૂછ્યું હતું. જૂથનાં સૌથી વયસ્ક સભ્ય ટી. રાગિણીએ કહ્યું, “તેણે એકલાએ 2,000 રૂપિયા ભેગા કર્યા હતા.” તેથી કોઈએ અમનના દાવા પર શક નહોતો કર્યો.

આ વર્ષે તેમનો હિસ્સો સૌથી વધુ હતો: પંડાલ આયોજકોના આ જૂથ દ્વારા એકત્ર કરાયેલા 3,000 રૂપિયામાંથી બે તૃતીયાંશ ભાગ. તેમણે આંધ્રપ્રદેશના અનંતપુર નગરના સાંઇનગર વિસ્તારમાં તેમની શેરીમાંથી પસાર થતા વાહનચાલકો પાસેથી દાન એકઠું કર્યું હતું.

અમણે મને કહ્યું કે આ તેનો પ્રિય તહેવાર છે. મને નવાઈ ન લાગી.

2018માં એક રવિવારે, સાંઇનગરમાં વિનાયક ચોથની ઉજવણીના થોડા અઠવાડિયા પછી, મેં ચાર બાળકોને આ તહેવારની નકલ કરીને રમતાં જોયાં. તેથી મેં તેમની છબી કંડારી. આ રમત ‘અવ્વા અપ્પાચી’નું રૂપાંતરિત કરેલું સંસ્કરણ હતું, જે બાળકોનું પ્રિય છે. વિનાયક ચોથના દિવસે જેમની જન્મજયંતિ ઉજવવામાં આવે છે, તે હિંદૂ દેવતા ગણેશનું પાત્ર તે છોકરો ભજવવાનો હતો. બે મોટી છોકરીઓ તેને ઉંચકીને આમતેમ ફરી રહી હતી અને અંતે તેને જમીન પર મૂકીને – ગણેશ નિમર્જનમ, ભગવાનની મૂર્તિનું વિસર્જનને ફરીથી તાજું કરી દીધું.

નાનકડો ગણેશ બનેલ છોકરો અમન મોહંમદ હતો. હાલ 11 વર્ષની વયે પહોંચેલો તે છોકરો, ઉપરના કવર ફોટોમાં આગળની હરોળમાં (ડાબી બાજુએ છેલ્લે) ઉભો જોવા મળે છે.

આ વર્ષે ઓગસ્ટમાં વિનાયક ચોથની ઉજવણી માટે અમન અને તેના મિત્રોએ 2x2 ફૂટના પંડાલમાં ભગવાનની મૂર્તિ સ્થાપિત કરી હતી – જે કદાચ અનંતપુરમાં સૌથી નાની મૂર્તિ હશે. હું તેમના પંડાલનો ફોટો પાડવા માટે થોડો મોડો પડેલો. બાળકોએ મને કહ્યું કે તેમણે 1,000 રૂપિયામાં મૂર્તિ ખરીદી હતી; બાકીના 2,000 રૂપિયા માળખું બનાવવા અને તેની સજાવટ પાછળ ખર્ચવામાં આવ્યા હતા. મૂર્તિને સાંઇનગરના ત્રીજી ચોકડી નજીક આવેલી દરગાહની બાજુમાં જ સ્થાપિત કરવામાં આવી હતી.

Aman Mohammed being carried in a make-believe Ganesh Nimarjanam
PHOTO • Rahul M.
The kids were enacting the ritual on a Sunday after Vinayaka Chavithi in 2018
PHOTO • Rahul M.

ડાબે: અમન મોહંમદને ગણેશ નિમર્જનમની પુન:રચનામાં ઉંચકીને લઈ જવામાં આવે છે. જમણે: બાળકો 2018 માં વિનાયક ચોથ પૂર્ણ થયા પછી રવિવારે આ ધાર્મિક વિધિ કરી રહ્યા હતા

અહીંના મજૂર-વર્ગની વસાહતના બાળકો તેમને યાદ છે ત્યારથી તો આ તહેવારને ઉજવે જ છે. તેમના માતા-પિતા — જેમાંથી મોટાભાગના દૈનિક વેતન કામદારો અને ઘરેલુ કામદારો છે અથવા શહેરમાં મજૂરી કામ કરે છે – પણ બાળકોની વિનાયક ચોથની ઉજવણીમાં ફાળો આપે છે. પંડાલના આયોજકોમાં સૌથી મોટી ઉંમરના સભ્ય 14 વર્ષના અને અને સૌથી નાના સભ્ય 5 વર્ષના છે.

14 વર્ષની રાગિણી કહે છે, “અમે વિનાયક ચોથ અને પીરલા પંડગા [રાયલસીમા વિસ્તારમાં મોહર્રમ] બન્નેની ઉજવણી કરીએ છીએ. બાળકોના દૃષ્ટિકોણથી, મોહર્રમ અને વિનાયક ચોથમાં ખૂબ સામ્યતાઓ છે. પંડાલ એ બંને તહેવારોનું કેન્દ્રબિંદુ છે, અને બાળકોને તેના માટે નાણાં ઉઘરાવવાની છૂટ છે. તેઓ શરૂઆતથી પૈસા ભેગા કરીને તેને બનાવે છે. 11 વર્ષીય એસ. સનાએ કહ્યું, “અમે ઘરો કેવી રીતે બનાવવા તે માટે યુટ્યુબ જોયું. મેં ગારો ઉંચકીને મદદ કરી હતી. અમે લાકડીઓ અને સૂતળીઓથી પંડાલ બનાવ્યો હતો. અમે તેને ઢાંકવા માટે ચાદર મૂકી અને પછી અમારા વિનાયકુડુ [મૂર્તિ]ને અંદર બેસાડી દીધા.”

જૂથના વડીલો, રાગિણી અને ઈમરાને (તે પણ 14 વર્ષનો જ છે), પંડાલની સંભાળ રાખવા માટે વારા રાખ્યા હતા. સાત વર્ષીય એસ. ચંદ બાશાએ કહ્યું, “મેં પણ તેની સંભાળ લીધી હતી. હું શાળાએ નિયમિત પણે નથી જતો. હું અમુક દિવસે જાઉં છું, અને અમુક દિવસે નથી જતો. તેથી મેં તેની [વિનાયક મૂર્તિની] સંભાળ રાખી.” બાળકો પણ પૂજા કરતા હતા અને પંડાલના મુલાકાતીઓને પ્રસાદ પણ આપતા હતા. જૂથના કોઈ એક બાળકની માતા સામાન્ય રીતે પ્રસાદમાં – ખટમીઠ્ઠો આમલીનો ભાત રાંધે છે.

અનંતપુરના મજૂર-વર્ગની ઘણી વસાહતોમાં વિનાયક ચોથ એક પ્રિય તહેવાર હોવાથી, આનંદપ્રમોદ થોડા વધુ અઠવાડિયાઓ સુધી ચાલુ રહે છે. બાળકો માટીના દેવતાઓ બનાવે છે અને લાકડા અને વાંસના ટુકડા, તેમના ઘરોની ચાદરો, અને તેમને કાઢી નાખેલી જે કોઈ વસ્તુઓ મળે તેના વડે નાના પંડાલ બનાવે છે. તેઓ તેમના મનપસંદ તહેવારને ફરીથી જીવતો કરે છે, ખાસ કરીને શાળાની રજાઓ દરમિયાન જે ચોથ પછી આવતી હોય છે.

આ નગરની ગરીબ વસાહતોમાં આવી કાલ્પનિક રમતો લોકપ્રિય છે, જ્યાં બાળકોની કલ્પનાશક્તિ તેમની સંસાધનોની ખોટ પૂરે છે. મેં એકવાર એક બાળકને લાકડી વડે ‘રેલ ફાટક’ રમતા જોયો, જે કોઈ વાહન ત્યાંથી પસાર થાય ત્યારે જ લાકડીને ઊંચકતો. વિનાયક ચોથ પછી, દુંદાળા દેવ ગણેશ આમાંની કેટલીક રમતોમાં ગમેતેમ કરીને આવી જ જાય છે.

Children in another neighbourhood of Anantapur continue the festivities after Vinayaka Chavithi in 2019
PHOTO • Rahul M.
Children in another neighbourhood of Anantapur continue the festivities after Vinayaka Chavithi in 2019
PHOTO • Rahul M.
Playing 'railway gate'
PHOTO • Rahul M.

ડાબે અને વચ્ચે: અનંતપુરના અન્ય વિસ્તારમાં બાળકો 2019 માં વિનાયક ચોથ પછી પણ આનંદોત્સવ ચાલુ રાખે છે. જમણે: ‘રેલ્વે ફાટક’ રમતાં બાળકો

અનુવાદક: ફૈઝ મોહંમદ

Photos and Text : Rahul M.

Rahul M. is an independent journalist based in Andhra Pradesh, and a 2017 PARI Fellow.

Other stories by Rahul M.
Editor : Vinutha Mallya

Vinutha Mallya is a journalist and editor. She was formerly Editorial Chief at People's Archive of Rural India.

Other stories by Vinutha Mallya
Translator : Faiz Mohammad

Faiz Mohammad has done M. Tech in Power Electronics Engineering. He is interested in Technology and Languages.

Other stories by Faiz Mohammad