આ લેખ પારીની ક્લાઈમેટ ચેન્જ (વાતાવરણના ફેરફારો) ને લગતા લેખોની શૃંખલામાંથી, જેને ૨૦૧૯ની એનવાયરનમેન્ટ રિપોર્ટિંગ ની શ્રેણીમાં રામનાથ  ગોયેન્કા એવોર્ડ ૨૦૧૯ એનાયત થયો છે.

કેમ કરીને તમારા ખેતરમાંથી એક આખું એકર જુવાર ગાયબ થઇ જાય આટલા ઓછા સમયમાં? " બે વરસમાં હું પહેલીવાર આ સિઝનમાં મારું ગામ છોડીને ગયો એક અઠવાડિયા માટે. એટલામાં એ બધું ખાઈ ગયા,"આનંદ સાલ્વી કહે છે.  "એ" એટલે ગૌર (બોસ ગૌરસ, એને ભારતીય બાઈસન પણ કહેવાય છે) -- વિશ્વમાં સૌથી વિશાળકાય ઢોરની જાત. નરના ખભા 6 ફૂટથીય વધુ ઊંચે પહોંચે અને એનું વજન 500 અને 1000 કિલોગ્રામ સુધી.

સામાન્યરીતે મહારાષ્ટ્રના કોલ્હાપુરજિલ્લાની રાધાનગરીના અભયારણ્યના શાંતિપ્રિય નિવાસી આ વિશાળકાય ઢોર હવે ધોરી માર્ગો પર અને ગામની આસપાસના ખેતરોમાં નીકળી આવે છે.

"મારા ખેતની રખેવાળી કરવાવાળું કોઈ નહોતું," રક્ષી ગામના સાલ્વી ખેદ સાથે કહે છે. " "મારા સદ્ભાગ્ય કે હું મારા એક એકરની શેરડી બચાવી શક્યો (લગભગ 80 ટન સાંઠા)."  પણ આ 1000 કિલોના કદવારોનાં ટોળાંથી કંઈ બચાવવું કેવી રીતે ?  ફટાકડાથી.

બે વરસ થયા સાલ્વીએ રાતે રાતે ખેતરમાં સૂવાનું ચાલુ કરે. "અમે રોજ રાતે 8 વાગે આવીએ ને સવારે એ બધી ગાવા (ત્યાંની ભાષામાં ગૌર માટે વપરાતો શબ્દ) જતી રહે પછી 4 વાગે પાછા જઈએ,"  તેઓ સમજાવે છે. "રાત્રે અમે ખેતરમાં ફટાકડા ફોડીએ છીએ."  તેઓ કહે છે કે ભેંશો એનાથી અમારા આ પાંચ એકરના ખેતરમાં ઘૂસતા ડરે છે. ઘણાબધા પાડોશના લોકો પણ આવું કરે છે. પન્હાલા તાલુકાના રક્ષી ગામમાં  છેલ્લા બે વરસથી બધો પાક આ ભેંશો ખાઈ જાય છે.

PHOTO • Sanket Jain

સૂકાતું જતું સાવરી સદા સરોવર એ પ્રાણીઓ અને પક્ષીઓ માટે અભયારણ્યમાં પાણીનો એક માત્ર મોટો સ્ત્રોત છે. (છબી: સંકેત જૈન/ PARI)

"અમે પાક્ની સિઝનમાં રોજના 50 રૂપિયા ફટાકડા ખરીદવામાં કાઢીએ છીએ," સાલ્વીની પત્ની સુનિતા કહે છે. હવે ફસલ ઉગાડવાના આખા ખરચમાં આ ખરચો વધ્યો."અને છતાંય જોખમ તો ખરું," સુનિતા ઉમેરે છે, "આખી આખી રાત ખેડુત આમ ખેતરમાં સુઈ રહે એટલે."  એ સમયે ખેતરમાં ઘણા બીજા વન્ય પ્રાણીઓ પણ સક્રિય હોય છે, જેમ કે સાપ.

લોકો માને છે કે ભેંસોને થોડા વખતમાં સમજાઈ જશે કે આ ફટાકડાથી તેમને કંઈ નુકશાન નથી. એટલે રાધાનગરી જિલ્લાના થોડાક ખેડૂતોએ તો ઇલેકટ્રીકની વાડ પણ વાપરવી શરુ કરી છે. "પણ એનાથી પણ એ બધા ટેવાઈ જઈ રહ્યા છે," એવું રાધાનગરી સ્થિત વન્યજીવન માટે કામ કરતા એનજીઓ બાઈસન નેચર ક્લબના સહસ્થાપક સમ્રાટ કેરકરનું કહેવું છે. "અમે ગૌરને સાવચેતીથી એમના પગ કે ખરી વાડ પાર મૂકીને વીજળીનો ઝાટકો આવે છે કે નહિ એમ તપાસતા જોયેલા છે,  અને હવે એ બધા અમને જોઈને ય ઝટ લઈને ભાગી નથી જતા."

"અમે ગાવાનો દોષ નથી કાઢતા," એવું સુનિતા કહે છે. "આ તો અમારા વનવિભાગની ભૂલ છે.  જંગલને તમે સરખું સાચવો નહિ તો પ્રાણી તો બહાર આવવાના."

પાણી ને ખોરાકની શોધમાં આ ગૌર ભેંશો હવે અવારનવાર અભયારણ્યની બહાર આવી જાય છે. બીજી બધી ચીજોથી વધુ એમને શોધ હોય છે કાર્વીના પાંદડાની (સ્ટ્રોબિલાન્થેસ કોલોસા) જે સૂકાતા જતાં જંગલોમાં નષ્ટ થઇ રહી છે.  એવીજ રીતે અભયારણ્યના જળાશયો સુકાઈ જતાં પાણીના બીજા સ્ત્રોતો પણ નાશ પામ્યા છે.  વધુમાં વનના રક્ષકો અને અભ્યાસુઓનામતે અભયારણ્યમાં ચરણ માટેના ઓછા થઇ રહેલા મેદાનો પણ આ માટે જવાબદાર છે.

Anand Salvi lost an acre of jowar to a bison raid.
PHOTO • Sanket Jain
Sunita Salvi says she blames the forest department.
PHOTO • Sanket Jain
Metallic cots farmers sleep on in the fields, through the night.
PHOTO • Sanket Jain

ડાબેથી:  આનંદ સાલવીએ બાઈસનની ધાડમાં એક એકરની જુવાર ગુમાવી. વચ્ચે: સુનિતા સાલ્વી કહે છે વાંક વનવિભાગનો છે.  જમણે: એમના ખેતની રખેવાળી કરતા ખેડૂતો આ લોખંડના ખાટલા પર રાતે ખુલ્લામાં સૂએ છે.(છબી: સંકેત જૈન/ PARI)

સેન્ટ્રલ ગ્રાઉન્ડ વૉટર બોર્ડની માહિતી મુજબ રાધાનગરી તાલુકામાં 2004માં 3510 મિમિ, 2009માં 3684 મિમિ, અને 2012માં 3072 મિમિ વરસાદ નોંધાયેલો। પણ 2018માં માત્ર20120મિમિ વરસાદ નોંધાયો હતો-- ઘણો ઓછો. એક વરસથી ય વધુ સમયથી આખા કોલ્હાપુર જિલ્લામાં વરસાદની અનિયમિતતા વધી છે --- જેમ મહારાષ્ટ્રના બીજા ઘણા પ્રાંતની જેમ.

50વર્ષ જૂના ભરવાડ રાજુ પાટીલે એક દાયકા પહેલાં દેવગાડ-નીપાની સ્ટેટ હાઈવે પર પહેલી વાર 12 ગૌરનું એક ઝૂંડ જોયેલું। એમણે એવું સાંભળેલું કે એમના ગામ રાધાનગરીના છેવાડે એક વન્ય અભયારણ્ય છે. પણ એમણે ગાવા કદી  નહોતાં જોયા.

"બસ આ છેલ્લા દસ વરસથી જ હું એમને જંગલમાંથી બહાર આવતા જોઉં છું,"  તેઓ કહે છે. ત્યારથી રાધાનગરી ગામના લોકો માટે રસ્તો ઓળંગતા વિશાળકાય શાકાહારી પ્રાણીઓના ઝૂડનું આ દ્રશ્ય એ એક રોજિંદી ઘટના છે.  ગામના લોકોએ પ્રાણીઓના વિડીઓ એમના ફોન પર રેકોર્ડ કર્યા છે. પછી ગૌર કોલ્હાપુરના રાધાનગરી, શાહુવાડી, કરવીર, અને પન્હાલા તાલુકાઓના ખેતરોમાં ઘૂસીને શેરડી,શાલુ (જુવાર), મકાઈ, અને ચોખા ખાવા લાગ્યાં

અને પાણી પીવા -- જેની પણ જંગલમાં પુષ્કળ અછત છે.

રાધાનગરી તાલુકામાં, ગામલોકો સ્પષ્ટપણે માને છે કે ગૌરની જંગલની બહાર ધાડ પાડવાની શરૂઆત 10 થી 15 વર્ષ પહેલાં જ થઇ છે. પન્હાલા તાલુકામાં તો એ હજુ હમણાંની વાત છે. રક્ષી ગામનો 42 વર્ષનો નીરૂખે જેવું ખેતર જંગલથી નજીક છે તે કહે છે, "અમે વિડીઓછેલ્લાં બે વર્ષથી જ ગાવા જોઈએ છીએ. પહેલા જંગલી ભૂંડ આવતા પાકને નુકશાન કરતા." જાન્યુઆરીથી માંડીને આ 12 બાઇસનોએ ત્રણ વાર એમની 0.75 એકરની જમીન પર ધાડ પાડી છે. "મેં લગભગ 4ક્વિન્ટલ જુવાર ગુમાવી છે અને હવે આ વરસાદની ઋતુમાં ડાંગર વાવતાં મને બીક લાગે છે," તેઓ કહે છે.

રાધાનગરી તાલુકાના લોકોએ એમના ફોન પર અભયારણ્યમાંથી નીકળી ને રસ્તા ને ધોરીમાર્ગો પાર કરતા ગૌરના વિડીઓ લીધા છે.

"વાતાવરણનું ચક્ર સદંતર બદલાઈ ગયું છે," એમ રાધાનગરીના વનક્ષેત્રના અધિકારી  પ્રશાંત તેંડુલકર કહે છે. "પહેલાં તો માર્ચ અને એપ્રિલમાં નહીં નહીં તો એક વાર વરસાદ પડતો અને બધા તળાવો ભરાઈ જતાં. હવે આપણે કુદરતની વિરુદ્ધ થયા હોઈએ તો દોષ કોને દઈએ? લગભગ 50-60 વર્ષ પહેલાંવનભૂમિ હતી, પછી ગોચર જમીન, પછી ખેતરો ને પછી ગામ આવતું. હવે લોકો એ આ જગ્યાઓ પર વસવાટ શરુ કરી દીધો છે અને ધીમે ધીમે કરતા જંગલ તરફ ગયા છે. જંગલ અને ગામ વચ્ચે જે જમીન હતી એ પર હવે અતિક્રમણ શરુ થયું છે.

અને એથીય વધારે ખતરનાક કોઈ અતિક્રમણ હોય તો એ આ બોકસાઇટની ખાણોનું.થોડા દસકાઓથી એ વધારે ઓછું પણ ચાલ્યા કરે છે.

"વર્ષો જતાં બોકસાઇટની આ ખુલ્લી ખાણો (ઓપન કાસ્ટ) રાધાનગરી માટે ખતરારૂપ સાબિત થઇ છે," એમ સેન્ચ્યુરી એશિયાના બીટ્ટુ સહગલ કહે છે.  "એની સામે ઘણો વિરોધ હતો, પણ INDAL (પાછળથી HINDALCOમાં સમાઈ ગયેલી) જેવી ખાણની કંપનીઓની સત્તાની શેરીઓમાં વિરોધીઓ કરતા કૈંક વધુ વગ હતી. એ કંપનીઓ સરકારી દફતરોમાં નીતિઓ લખતી હતી. ગૌચર જમીન, જળાશયો, બધાને આ ખાણની પ્રવૃતિઓથી ખૂબ નુકશાન થયું"

1998થી મુંબઈ હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા બંનેએ આ પ્રવૃતિઓ વિષે એકથી વધુ વાર સખ્તાઈનું વલણ અપનાવ્યું છે. હજુ 2018માં જ એપેક્સ કોર્ટે સરકારે આ સંબંધમાં દાખવેલી 'સંપૂર્ણ બેપરવાહી' ને લઈને મહારાષ્ટ્ર સરકારના મુખ્ય સેક્રેટરીને હાજર રહેવાનો હુકમ કર્યો હતો.

PHOTO • Sanket Jain

ઉપરથી ડાબે: યુવરાજ નીરૂખે આ વરસાદમાં ડાંગર ઉગાડતા ડરે છે. જમણે: રાજુ પાટીલની 0.75 એકરની શેરડી બાઈસન પચાવી ગયા. નીચલી હરોળમાં: મારુતિ નીકામનું અડધોથી વધારે એકર(જમણે) હાથી ઘાસ બાઇસને ખેદાનમેદાન કર્યું. (છબી: સંકેત જૈન/ PARI)

2012ના કોલ્હાપુરની શિવાજી યુનિવર્સિટીના સંશોધકોના અભ્યાસ મુજબ ખાણકામની અસરો લાંબા ગાળા દરમિયાન જોવા મળે છે. ‘કોલ્હાપુર જિલ્લાના પર્યાવરણ પર બોકસાઇટની ખાણોનો પ્રભાવ’ ઉપરના આ પેપરમાં નોંધ્યું છે કે "કાયદેસર અને ગેરકાયદેસર ખાણકામને કારણે આ વિસ્તારમાં પર્યાવરણનું ગંભીર પતન થતું જોવા મળે છે. જોકે ખાણકામને કારણે શરૂઆતમાં વિસ્તારના થોડાક લોકોને માટે નોકરીની તકો ઉભી થઇ હતી અને સરકારને પણ આવક ઉભી થઇ. પરંતુ આ બધું ટૂંક સમય માટે હતું. જમીનના બદલાયેલા ઉપયોગોને લીધે સ્થાનિક વાતાવરણપર થયેલી  અસરો કાયમી હતી."

રાધાનગરીથી માત્ર 24 કિલોમીટર દૂર દાજીપુર નામે એક બીજું અભયારણ્ય છે. 1980માં એ છૂટા પડ્યા તે પહેલા બંને એક જ અભયારણ્યનો ભાગ હતા. બંને મળીને 351.16 સ્કવેર કિલોમીટરનો વિસ્તાર છે. દાજીપુરમાં સાવરઈ સદાના લેટરાઇટના પઠારમાં આવેલું એક તળાવ આ વિસ્તારના પશુપક્ષીઓ માટે ખોરાક પાણીનું એક મોટું સ્ત્રોત્ર છે.  પણ મોટા ભાગનું તળાવ આ વર્ષે મે મહિના સુધીમાં તો શોષવાઈ કે સુકાઈ ગયું છે.

વધુમાં, "મોટા ભાગનો વનવિનાશ અહીંયા છેલ્લા દાસ વરસમાં થયો છે. જેની અસર ઋતુઓના ચક્ર ઉપર પણ થઇ છે," એવું વન્યજીવનના સંશોધક અને વન્યજીવ સરંક્ષણ અને સંશોધક સોસાયટીના અધ્યક્ષ અમિત સૈયદનું કહેવું છે.

સાવરી સદા એ એવી જગ્યા છે જ્યાં વનવિભાગે પ્રાણીઓ માટે કૃત્રિમ 'સોલ્ટ લિક્સ' (ખનિજ/મીઠાના ચાટ) તૈયાર કર્યાછે. આ ખનિજ અને મીઠાના ચાટ પાસેથી પ્રાણીઓ જરૂરી પોષકતત્વો મેળવી શકે છે. મીઠું અને કુશ્કી દાજીપુર અને રાધાનગરીના બંનેમાં કોઈ કોઈ સ્થળોએ સંઘરવામાં આવ્યા છે.

મીઠાના ચાટથી થોડો  ઓછો હાનિકારક માનવીય હસ્તક્ષેપ એક બીજો છે: શેરડીનો વિસ્તાર। પુષ્કળ વરસાદવાળા કોલ્હાપુર જિલ્લાના ઘણા વિસ્તારો વર્ષોથી શેરડીના પાક માટે અનુકૂળ રહ્યા છે. જો કે એની વૃદ્ધિ થોડી ચિંતાજનક છે. રાજ્યના સુગર કમિશ્નરેટ અને ગૅઝેટિયર્સ પ્રમાણે 1971-72 માં કોલ્હાપુરમાં 40,000 હેક્ટરમાં શેરડીનું વાવેતર થતું.ગયા વર્ષે 2018-19માં એનો વિસ્તાર વધીને 155,000 હેકર્સ-- એટલે 287ટકા વધારે થયો છે. (મહારાષ્ટ્રમાં શેરડીની ખેતી એકરદીઠ 18 થી 20 મિલીયન લિટર પાણી માંગે છે.)

PHOTO • Sanket Jain

ઉપલી હરોળમાં ડાબે: ઝુંડથી છૂટું પડેલી એક ગૌર. જમણે: લેટરાઇટનો પઠાર અને પાછળ ધકેલાતા જતા જંગલો. નીચલી હરોળ ડાબે: સાવરઇ સદામાં પ્રાણીઓ માટે રખાયેલા મીઠા અને કુશકીના ખનિજ ચાટ. જમણે: અભયારણ્ય પાસેનું શેરડીનું ખેતર. (છબી: સંકેત જૈન/ PARI)

આ બધા પરિબળોનો એક અનિવાર્ય પ્રભાવ આ વિસ્તારની જમીન, પાણી, જંગલ, વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ, આબોહવા અને પર્યાવરણ પર થયો છે. અહીં અભયારણ્યના જંગલો દક્ષિણી અર્ધ-સદાબહાર, અર્ધ-ભેજવાળા-મિશ્ર ખરાઉ અને દક્ષિણી સદાબહાર પ્રકારના છે.  બદલાવની અસર માત્ર અભયારણ્ય પૂરતી સીમિત નથી, પરંતુ આ બધાની ઘેરી અસરો ત્યાંના રહેવાસીઓની ઉપર પણ જોવા મળે છે.   માનવીય પ્રવૃતિઓ વધી છે પણ ગૌરના ઝૂંડ નહીં.

મનાય છે કે દસેક વર્ષ પહેલા 10000 પણ વધુ સંખ્યામાં આ  વૈભવશાળી પ્રાણીઓ હતા, પણ હાલમાં મહારાષ્ટ્ર વનવિભાગના આંકડા મુજબ રાધાનગરી વન્યજીવો માટેના અભ્યારણ્યમાં 500 ગૌર છે. વનવિભાગના અધિકારી પ્રશાંત તેંડુલકરના પોતાના માનવ મુજબ કદાચ 700 ગૌર હશે. ભારતમાં 1972ના  વન્યજીવ સંક્ષણ અધિનિયમની ધારા એક મુજબ ગૌરનો એ જાતિઓમાં સમાવેશ થાય છે જેમને સરકાર સંપૂર્ણ સંરક્ષણ આપે છે. આ પ્રાણીઓ તરફ કરાયેલો આપરાધ કપરામાં કપરી  સજાને પાત્ર છે. ગૌરનો સમાવેશ લુપ્તપ્રાય પ્રજાતિઓના યુનિયન ફોર કનઝર્વેશન ઓફ નેચરના રેડ લિસ્ટમાં પણ થાય છે, જે એમને ગંભીર રીતે નાશપ્રાય જણાવે છે.

ગૌર ફરતા રહે છે, પણ "એમની પાસે (વનવિભાગ પાસે) એમના સ્થળાંતર વિષે કોઈ માહિતી નથી" એવું અમિત સૈયદ કહે છે. "એ બધા ક્યાં જાય છે?  એક ઝૂંડમાં કેટલાં પશુ હોય છે?  જો એ લોકો દેખરેખ રાખતા હોત તો આવું બધું થાત જ નહીં. જળાશયો આ બધા પટામાં હોવા જોઈએ."

ભારતીય હવામાન ખાતાના આંકડા મુજબ જૂન 2014માં કોલ્હાપુર જિલ્લામાં એ મહિનાના સરેરાશ કરતાં 64 ટકા ઓછો વરસાદ નોંધાયો હતો. 2016માં, 36 ટકા ઓછો. 2018માં સરેરાશ કરતા 1 ટકા વધારે. જુલાઈ 2014માં એ મહિનાની સરેરાશ કરતા 5 ટકા વધારે હતો. પછીના વર્ષે જુલાઈમાં 76 ટકા ઓછો. અને આ વરસે જૂન 1 થી જુલાઈ 10 ના સમય ગાળામાં આવતા વરસાદ કરતા 21 ટાકા વધારે હતો. પરંતુ, અહીં ઘણા લોકો કહે છે કે એપ્રિલ અને મેના મહિનાઓમાં ચોમાસા પહેલાના કોઈ ઝાપટા એમણે જોયાં જ નથી. કેરકર કહે છે, "છેલ્લાં દસ વર્ષોથી વરસાદ બહુ જ અનિયમિત થઇ ગયો છે."  એનાં કારણે આ જંગલોમાં બારે માસ ભરેલા રહે એવા જળાશયોની સંખ્યા ઓછી ને ઓછી થતી જાય છે.

PHOTO • Rohan Bhate ,  Sanket Jain

ઉપરની હરોળમાં ડાબે: દાજીપુરના જંગલની અંદર (છબી: સંકેત જૈન/PARI) જમણે: એક ગૌર ભેંશ એના વાછડા સાથે. (છબી" રોહન ભાટે). નીચલી હરોળમાં ડાબે: એક કુદરતી તળાવ પાસે બાઈસન માટે તૈયાર કરાયેલું કૃત્રિમ તળાવ. જમણે: 3000 લિટરના ટેન્કરમાંથી તળાવમાં પાણી રેડતા સમ્રાટ કેરકર.

એપ્રિલ અને મે 2017માં, રાધાનગરી અને દાજીપુરના જંગલોના અમુક તળાવોને પહેલવહેલી વાર કૃત્રિમ રીતે સીંચવામાં આવ્યા -- ટેન્કરના પાણીથી. કેરકરની  બાઈસન નેચર ક્લબ દ્વારા લગભગ 20,000 લિટર પાણી આ રીતે જંગલમાં ત્રણ જગ્યાએ પૂરું પાડવામાં આવ્યું. (બીજા ઘણા તળાવો જંગલમાં છે જેમનું ધ્યાન વનવિભાગ રાખે છે).

છતાંય, "આ વર્ષે, વનવિભાગે  કોઈ અજ્ઞાત કારણસર અમને રાધાનગરી ક્ષેત્રમાં  પાણી પૂરી પાડવા મંજૂરી આપી" એમ કેરકર કહે છે.  આ વર્ષે એનજીઓએ 54000 લીટર પાણી પહોચાડ્યું છે, "અમે જૂનમાં પહેલા બે વરસાદ પછી પાણી પહોંચાડવાનું બંધ કર્યું છે."

વનવિનાશ, ખાણકામ, પાકની ભાતમાં ધરખમ ફેરફારો, દુકાળ, અને વધતો શોષ, પાણીની કથળતી ગુણવત્તા, ભૂગર્ભજળનું શોષણ-- આ બધાંની અસર રાધાનગરી તેમજ એની આસપાસના વિસ્તારના  જંગલ, ખેતર, જમીન, આબોહવા, અને વાતાવરણ પર વર્તાય છે.

પણ માત્ર કુદરતી વાતાવરણ જ નથી કથળી રહ્યું.

ગૌર-માનવના સંઘર્ષો વધતા જાય છે. "મેં લગભગ 20 ગુંટામાં (અડધો એકર) વાવેલું બધું હાથીઘાસ ગાવા ખાઈ ગયા," કહેતા કહેતા 40 વર્ષના મારુતિ નિકમ દુખી થઇ જાય છે. પન્હાલા તાલુકાના નીકામવાડી ગામમાં એમના છ એકર છે.  "આ વર્ષે જાન્યુઆરી ફ્રેબ્રુઆરીમાં મારા  30 ગુંટામાં વાવેલી મકાઈ પણ એ સફાચટ કરી ગયા."

"આ વરસાદની ઋતુમાં જંગલમાં ઘણું પાણી હોય છે, પણ જો એમને ખોરાક ના મળે તો એ પાછા અમારા ખેતરોમાં આવશે."

અનુવાદ: પ્રતિષ્ઠા પંડ્યા

આવરણ છબી: રાહુલ ભાટે. અમને એમની છબીઓ વાપરવાની પરવાનગી આપવા બાદલ એમનો અને સેન્કચ્યુરી એશિયાનો ખાસ આભાર.

PARIનો વાતાવરણના ફેરફારો વિષે રાષ્ટ્રીય અહેવાલો એકત્રિત કરવાનો આ પ્રયાસ સામાન્ય માણસોના આવાજમાં અને એમના જીવનના અનુભવોને લક્ષમાં રાખી નિરૂપવાની પહેલ કરવા બદલ અપાતી UNDPની સહાયનો ભાગ છે.

આ લેખ ફરી પ્રકાશિત કરવો છે? મહેરબાની કરીને સંપર્ક કરો: [email protected] અને  cc મોકલો: [email protected]

Reporter : Sanket Jain

Sanket Jain is a journalist based in Kolhapur, Maharashtra. He is a 2022 PARI Senior Fellow and a 2019 PARI Fellow.

Other stories by Sanket Jain

P. Sainath is Founder Editor, People's Archive of Rural India. He has been a rural reporter for decades and is the author of 'Everybody Loves a Good Drought' and 'The Last Heroes: Foot Soldiers of Indian Freedom'.

Other stories by P. Sainath

P. Sainath is Founder Editor, People's Archive of Rural India. He has been a rural reporter for decades and is the author of 'Everybody Loves a Good Drought' and 'The Last Heroes: Foot Soldiers of Indian Freedom'.

Other stories by P. Sainath
Series Editors : Sharmila Joshi

Sharmila Joshi is former Executive Editor, People's Archive of Rural India, and a writer and occasional teacher.

Other stories by Sharmila Joshi
Translator : Pratishtha Pandya

Pratishtha Pandya is a Senior Editor at PARI where she leads PARI's creative writing section. She is also a member of the PARIBhasha team and translates and edits stories in Gujarati. Pratishtha is a published poet working in Gujarati and English.

Other stories by Pratishtha Pandya