“અમે ચિંતિત હતા કે મૃત્યુ પછી અમારા પિતા સાથે દુર્વ્યવહાર કરવામાં આવશે.”

પંચનાથન સુબ્રમણ્યમના અવસાનના બે મહિના પછી પણ એમના દીકરા એસ. રમેશ આજ સુધી દુઃખી છે: “કોવિડ-૧૯ના લક્ષણો પછી જયારે અમે એમને તંજાવુરની સરકારી હોસ્પિટલમાં ભરતી કર્યા, ત્યારે અમે સ્વપ્ને ય નહોતું વિચાર્યું કે અહિયાંથી અમારે એમને મૃત અવસ્થામાં પાછા લઇ જવા પડશે.”

ભારતીય સેનામાં કારકુન પદેથી વર્ષો પહેલાં નિવૃત્ત થયેલા ૬૮ વર્ષીય સુબ્રમણ્યમને સ્વાસ્થ્ય સંબંધી કોઈ મોટી સમસ્યા નહોતી. એમને સેના સાથેના એમના સંબંધ ઉપર ગર્વ હતો “અને એમણે એમના સ્વાસ્થ્યનું પૂરતું ધ્યાન રાખ્યું હતું. એમણે ક્યારેય એમની દૈનિક ચાલવાની ક્રિયા છોડી નહોતી અને એમના ખોરાક ને લઈને શિસ્તબદ્ધ હતા.” તમિલનાડુના કુંબકોણમ શહેરના નિવાસી, ૪૦ વર્ષીય રમેશ સમજાવે છે કે, “એમને હોસ્પિટલમાં ભરતી કરતી વખતે પણ, અમે વિચારી રહ્યાં હતા કે તેઓ સાજા થઇ જશે.”

પરંતુ ૧૪ ઓગસ્ટે જ્યારે સુબ્રમણ્યમનું અવસાન થયું, તો રમેશ અને એમના પરિવારનાં સભ્યો વ્યાકુળ થઇ ગયા– ફક્ત એટલા માટે નહીં કે એમણે એમને ખોઈ દીધા હતા. પરંતુ તેઓએ જોયું હતું કે કઈ રીતે કોવિડ-૧૯ પીડિતોની અંતિમ વિધિને રાજ્યમાં કલંકિત કરવામાં આવતી હતી અને તેઓ હવે શું કરવું એ વિષે ચિંતિત હતા. રમેશ કહે છે કે, “અમને મિત્રો અને સંબંધીઓ પાસે થી વધારે મદદ નહોતી મળી. એ વાત સમજી શકાય છે, કેમ કે કોરોનાથી થયેલું મૃત્યુ એક ખૂબ મોટી ચિંતાનું કારણ છે.”

ત્યારે જ અનપેક્ષિત દિશામાંથી, રાજ્યના એક ગેર-સરકારી સંગઠન – તમિલનાડુ મુસ્લિમ મુન્નેત્ર કડ્ગમ (ટીએમએમકે) તરફથી ખુબજ વ્યવહારિક મદદ મળી. સુબ્રમણ્યમના અવસાનની થોડીક જ ક્ષણો બાદ, ટીએમએમકે ના છ સ્વયંસેવક પરિવારની સહાયતા અર્થે ત્યાં પહોંચી ગયા – એમણે હોસ્પિટલ માંથી મૃતદેહ લેવાથી લઈને, એમના વતન કુંબકોણમમાં એમને પુરા સન્માનથી દફનાવા સુધી (કેટલાક હિંદુ સમુદાય એમના મૃત પામેલા લોકોને અગ્નિદાહને બદલે દફ્નાવે છે) પૂરી સહાયતા કરી.

પરિવાર માટે આ નસીબની વાત હતી. જયારે ટીએમએમકે માટે, સુબ્રમણ્યમની અંતિમ વિધિ એ એમણે આખા તમિલનાડુ અને પાંડુચેરીમાં માર્ચના અંતથી લઈને અત્યારે સુધી કરી હતી એવી ૧,૧૦૦ અંતિમ વિધિઓ પૈકીની એક હતી. આ અંતિમ વિધિ મૃતકના સમુદાય કે જાતિની પરવાહ કર્યા વગર – પરિવારની ધાર્મિક પરંપરાઓ અને ઈચ્છાઓ અનુસાર કરવામાં આવે છે. કોવિડ-૧૯થી થનારા મૃત્યુના મામલામાં, ટીએમએમકે સ્થાનિક વહીવટીતંત્રના નિયમોનું પાલન કરીને એમને ૮ ફૂટ ઊંડા ખાડામાં દફન કરે છે.

Top left: Two volunteers place a body in their vehicle. Top right: TMMK volunteers stand beside their ambulance vans, readying for the day’s activity. And volunteers in full PPE stand in respect after unloading a body at a burial ground
PHOTO • Courtesy: TMMK

ઉપર ડાબે: બે સ્વયંસેવક મૃતદેહને એમની ગાડીમાં રાખતી વખતે. ઉપર જમણે: ટીએમએમકેના સ્વયંસેવક દિવસની પ્રવૃત્તિ માટે તૈયાર થઈને, પોતાની એમ્બ્યુલન્સ પાસે ઉભા છે. અને મૃતદેહોને કબ્રસ્તાનમાં ગાડીમાંથી ઉતારીને, પૂરી રીતે પીપીઈ કીટમાં સજ્જ સ્વયંસેવક એમના સન્માનમાં ઉભા છે

વાઈરસથી સંક્રમિત થવાના ભયથી અને લોકડાઉનના કારણે પોતાની જગ્યાએ થી અલગ થઇ જવાનો મતલબ હતો કે, મોટે ભાગે, કબ્રસ્તાન અને સ્મશાનમાં કાર્યકરો ઉપલબ્ધ નહોતા, અને અત્યારે પણ નથી. એમ્બ્યુલન્સ ભાડા પર મળવી મુશ્કેલ છે, અને શોકગ્રસ્ત પરિવારો એ ભારે ખરચો, પૂર્વગ્રહ અને હેરાનગતિનો સામનો કરવો પડે છે. સૌથી કુખ્યાત કિસ્સાઓમાં એક, ૫૫ વર્ષીય ન્યુરોસર્જન ડૉક્ટર સાઈમન હરક્યુલસનો કિસ્સાઓ હતો, જેમનું ૧૯ એપ્રિલે મોત નીપજ્યું હતું – કોવિડ-૧૯ થી મૃત્યુ પામવાવાળા તમિલનાડુના એ પ્રથમ ડૉક્ટર હતા.

એમના પરિવારને ચેન્નાઈના કિલપોક વિસ્તારમાં આવેલ કબ્રસ્તાનથી પરત મોકલી દેવામાં આવ્યા હતા, જ્યાં એમના વિરુદ્ધમાં લગભગ ૧૦૦ લોકો એકઠા થઇ ગયા હતા. ત્યારબાદ, એમના મૃતદેહને છ કિલોમીટર દૂર, અન્ના નગરના વેલાન્ગડું કબ્રસ્તાનમાં લઇ જવામાં આવ્યો. પરંતુ ત્યાં પણ, એક ટોળાએ એમ્બ્યુલન્સ, એના ડ્રાઈવર અને એક સફાઈકર્મી પર લાકડી અને પથ્થરોથી હુમલો કર્યો. અંતમાં, ડૉક્ટર સાઈમનના મિત્રો, ડૉક્ટર પ્રદીપ કુમાર અને બીજા બે, આગલા દિવસે સવારે ચુપચાપ -- એમના પરિવારના કોઈ પણ સદસ્ય વિના-- એમના પોતાના જીવના જોખમે એમને દફન કરવામાં સફળ રહ્યા.

એવા વાતાવરણમાં, ટીએમએમકેની સહાય એ ૧,૧૦૦ પરિવારો માટે ખુબજ મહત્વ ધરાવે છે.

રમેશ કહે છે કે, “ચેન્નાઈમાં એક સંબંધી એ મને ટીએમએમકેનો જે નંબર આપ્યો હતો એ લગાવતી વખતે અમે ગભરાયેલા અને નિરાશ હતા.”

“અમે ઈચ્છતા હતા કે કોઈ પણ રીતે અમને એક એમ્બ્યુલન્સ મળી જાય, પરંતુ એમણે ખરેખર બધું જ સંભાળી લીધું. અમે નહોતા ઇચ્છતા કે મૃત્યુ પછી મારા પિતાનો અનાદર થાય. તેઓ સ્વાભિમાની માણસ હતા. એ જાળવી રાખવામાં અમારી મદદ કરવા બદલ અમે ટીએમએમકે ના ઋણી છીએ.”

ઉલ્લેખનીય છે કે, તેમના દ્વારા કરવામાં આવેલ ૧,૧૦૦ અંતિમ વિધિમાં – જેમાં ૧૦૦ કોવિડ વગરની મોત પણ શામેલ છે – એમાંથી એક માં પણ કોઈ ગડબડ નથી થઇ.

ડૉક્ટર એન. અરવિંદ બાબુ કે જેઓ કેન્સર વિશેષજ્ઞ અને શ્રી બાલાજી ડેન્ટલ કૉલેજ એન્ડ હોસ્પિટલ, ચેન્નાઈમાં પ્રોફેસર છે તેઓ કહે છે કે, “હું પાછલા ૬ વર્ષોથી ટીએમએમકે ના સ્વયંસેવકો સાથે જોડાયેલો છું, આ કારણે મને કોઈ આશ્ચર્ય નથી થયું. એમના સ્વયંસેવકો એ રક્તદાન કર્યું છે અને ઘણી કેન્સર સર્જરી માટે પૈસા એકઠા કર્યા છે.” ડૉકટર બાબુ કે જેઓ શહેરના અડમ્બક્કમ વિસ્તારમાં રહે છે, એમનું કહેવું છે કે એમને ટીએમએમકેની આ વિશેષતા વિષે ખબર ત્યારે પડી, કે જયારે એમના પડોશમાં એપ્રિલમાં સખ્ત લોકડાઉન દરમિયાન “એક ત્યજી દેવામાં આવેલી ઘરડી સ્ત્રીનું મૃત્યુ થયું, કદાચ ભૂખમરાથી.”

ડૉક્ટર બાબુ યાદ કરે છે કે, “હું પરેશાન હતો, અને વિચારી રહ્યો હતો કે આ મહિલાની સન્માન સાથે અંતિમ વિધિ થવી જોઈએ.” ટીએમએમકેના સ્વયંસેવક ત્યાં પહોંચી ગયા, પોસ્ટમોર્ટમ કરાવ્યું, અંતિમ વિધિની વ્યવસ્થા કરી અને મરણ પ્રમાણપત્ર મળે ત્યાં સુધી કામે લાગેલા રહ્યા. એ મહત્વનું હતું “કેમ કે એમણે સાબિત કર્યું કે આ મોત કોવિડથી નીપજ્યું નહોતું, આથી સ્થાનિક પોલીસ પાસેથી એક પ્રમાણપત્ર મેળવવામાં પણ સરળતા રહી. આ એક સારું કાર્ય હતું.”

PHOTO • Courtesy: TMMK

જયારે પણ જરૂર પડે તેઓ અંતિમ વિધિ કરે છે, જેમ કે અહિયાં મોડી રાત્રે કરવામાં આવી રહી છે

એ જ વખતે ડૉક્ટર બાબુને ખબર પડી કે આ સંગઠન આઠ વર્ષ કરતા પણ પણ વધારે સમયથી લાવારિસ લાશો ને સન્માનનીય રીતે દફન કરી રહ્યું છે. “આ આશ્ચર્યજનક હતું... તેઓ મૃત્યુ પછી પણ માણસની ગરિમા જાળવે છે, પછી એ માણસ કોઈ પણ વર્ગનો કેમ ના હોય.”

ટીએમએમકે ના તામિલનાડુ રાજ્યના અધ્યક્ષ અને પૂર્વ વિધાયક એમ.એચ. જવાહીરૂલ્લાહ કહે છે કે, “અમે કેટલાક કોવિડ-૧૯ પીડિતોને શરૂઆતમાં દફનાવ્યા હતા. પરંતુ, ડૉક્ટર સાઈમનની મોત અને એમના પરિવાર પર હુમલા અને ત્રાસની વાત બહાર આવવા સુધી અમારી પાસે કોઈ યોજના નહોતી. સમાજ દ્વારા કોવિડથી મૃત્યુ પામનાર સાથે ભય અને દ્વેષભર્યો વયવહાર કરવામાં આવતો હતો, અને અમારે આ વિષે કંઇક કરવું હતું.”

જવાહીરૂલ્લાહ સવાલ કરે છે કે, “તેમણે નક્કી કર્યું કે તેઓ મૃતક વ્યક્તિના ધર્મ અનુસાર એમની અંતિમ વિધિ કરશે. આ પાછળ એમને ગરિમા સાથે વિદાય કરવાનો આશય હતો. જો એમની માન્યતાઓ નું સન્માન કરવામાં નહીં આવે તો આવું કઈ રીતે શક્ય છે?”

ટીએમએમકેના સ્વયંસેવક કોઈ મોટાવર્ગના નહિ પણ સામાન્ય કક્ષાના લોકો છે, જેમાં લગભગ બધા ૨૨-૪૦ વર્ષની વચ્ચેના છે. તેઓ ખ્યાતીની ઝંખના નથી કરતા, ન તો પ્રચાર તેમને ગમે છે – કોવિડ-૧૯ નો ભોગ બનેલા લોકો અને પીડિત સાથે કામ કરવા વાળા સ્વાસ્થ્યકર્મીઓ પ્રત્યે લોકોની વર્તણૂંક જોતા આ સમજી શકાય છે. રાજ્યભરમાં આવા લગભગ ૧,૦૦૦ સ્વયંસેવક છે. અને ચેન્નાઈ સ્થિત ટીએમએમકેની મેડીકલ શાખાના પ્રમુખ ખલીલ રહમાન અનુસાર, એમાંથી મોટા ભાગનાં તેમની માફક ગલ્લાવાળા અથવા તો ફેરિયાઓ છે.

રહમાન કહે છે કે, “અમારામાંથી મોટાભાગના લોકો રોજ કમાવા, રોજ ખાવાવાળા છે. ખુબજ ઓછા લોકો સારા ઘરો માંથી આવે છે.”

એમની સેવાઓનું સન્માન ઘણા વર્ગો કરે છે. ઇરોડ જીલ્લાના ગોબીચેટ્ટીપલયમ વિસ્તારના જી.વી.અધિયમાન પૂછે છે કે, “શું તમે એ કેન્દ્રીયમંત્રી ની અંતિમ વિધિનો વિડીઓ જોયો હતો? ભલે તેઓ [ડીએમકે માટે] રાજકીય રીતે વિરોધી હતા, પરંતુ જેવી રીતે એમના મૃતદેહને લાશોના ઢગલામાં ફેંકવામાં આવ્યો, અને એને ફેરવવા માટે જેવી રીતે એક માણસ નીચે ઉતર્યો, એ જોઇને બહુ દુખ થયું.” અધિયમાનના ૮૬ વર્ષીય પિતા જી.પી. વેન્કિટુ, ૧૯૬૦ના દાયકામાં હિંદી વિરોધી આંદોલનમાં ભાગ લેવા વાળા ડીએમકેના પૂર્વ વિધાયક, કોવિડ-૧૯ના કારણે ૨૩મી સપ્ટેમ્બરે મૃત્યુ પામ્યા.

વિડીઓ જુઓ:  ૧,૧૦૦ મૃતદેહો અને ઢગલાબંધ પૂર્વગ્રહોની દફન વિધિ

‘હું આઠ વર્ષથી આ મેડીકલ ટીમનો હિસ્સો છું. કોવિડના લીધે, અમારો માનસિક તણાવ વધી ગયો છે, પરંતુ જ્યારે લોકો આભાર વ્યક્ત કરે છે, પછી કોઈ અન્ય વસ્તુનું મહત્વ નથી રહેતું’

એમનો પરિવાર સમસ્યાઓમાં એ સમયે ફસાઈ ગયો, જ્યારે સરકારી સેવાએ કહી દીધું કે એ દિવસે એક જીલ્લામાંથી બીજા જીલ્લામાં જવા માટે કોઈ એમ્બ્યુલન્સ ઉપલબ્ધ નથી. અધિયમાન કહે છે કે, “મારા પિતા કોઇમ્બતુરની એક હોસ્પિટલમાં હતા અને અમે એમને ગોબીચેટ્ટીપલયમ પરત લઇ જવાના હતા. ત્યારે જ ટીએમએમકેના સભ્યો મદદ માટે આવી ગયા અને એમણે એક પરિવારની જેમ બધું જ સંભાળી લીધું.”

દરેક અંતિમ વિધિમાં એક વિસ્તૃત ક્રિયા પૂરી કરવી પડે છે. તેમ છતાં, હોસ્પિટલમાં કાગળોની કામગીરી પૂરી કરવાથી લઈને, અંતિમ વિધિ માટે સંબંધીઓથી મેળ બનાવી રાખવા સુધી, સ્વયંસેવકોને એક મૃતદેહની અંતિમ વિધિ કરવામાં ૩-૪ કલાક લાગે છે. ખલીલ રહમાન કહે છે કે, “અમારા વહીવટ માટે અમે તમિલનાડુ ને ૫૬ જીલ્લાઓ તરીકે ગણીએ છીએ [સત્તાવાર રીતે, ત્યાં ૩૮ જીલ્લા છે], જેમાં પ્રત્યેકમાં અમારી પાસે એક મેડીકલ શાખા અને સચિવ હોય છે. દરેક જીલ્લામાં ૬-૮ સ્વયંસેવકોની ૨-૩ ટીમ છે.”

તીરુપત્તુર જીલ્લાના પોલીસ અધિક્ષક પી. વિજયકુમાર કહે છે કે, “આ માનવતા માટે એક મહાન સેવા છે અને દરેક સ્થળે આ સ્વયંસેવકો નિયમોનું પાલન કરે છે. ઉદાહરણ તરીકે, કોવિડથી થયેલા મોત સમયે, તેઓ સુનિશ્ચિત કરે છે કે ખાડો ૮ ફૂટ ઊંડો હોય – અને અંતિમ વિધિ સમયે પીપીઈ કીટ પહેરી હોય. અમારા જીલ્લામાં ૧૦૦થી વધારે મોત થયાં છે, જેમાં ટીએમએમકે એ ઓછામાં ઓછા ૪૦ ટકા મામલાઓ સંભાળ્યા છે.” જો કે ચોક્કસ આંકડાઓ તો અસ્પષ્ટ છે, પણ જે ૧,૧૦૦ મૃતદેહની અંતિમ વિધિ કરવામાં આવી છે એમાં હિંદુ, મુસ્લિમ, ખ્રીસ્તી અને અન્ય ધર્મના લોકો પણ શામેલ હતા.

જે વિસ્તારોમાં તેઓ સક્રિય છે, ત્યાં આ સ્વયંસેવકો ના પ્રયાસોએ વાઈરસ વિષે લોક જાગૃતિ પેદા કરવામાં – અને ગભરાટમાં ઘટાડો કરવામાં મદદ કરી છે.

કોલકાતા સ્થિત પરમાણું જૈવ વૈજ્ઞાનિક અને શિક્ષક, ડૉક્ટર અનિર્બન મિત્રા કહે છે કે, “આ ભય એ વિચારથી પેદા થાય છે કે મૃત શરીર સંક્રમણ ફેલાવે છે. પરંતુ, આવું નથી. આ એક જીવ વિજ્ઞાનની હકીકત છે કે મૃત શરીર નવા વાઈરસનું ઉત્પાદન નથી કરી શકતું, વિશેષ તો એવા શરીર કે જેને મોત નીપજવાના ૪-૫ કલાક પછી હોસ્પિટલમાંથી બહાર કાઢવામાં આવે છે. કારણ કે આ રીતે શરીર શ્વાસ નથી લેતાં, માટે મૃતકથી ડ્રોપ્લેટ (નાના બુંદ)ના ઇન્ફેકશનની સંભાવના નહીંવત છે. જયારે શરીરમાંથી લાળ, કફ અને લોહી જેવા પ્રવાહી પદાર્થ નીકળી રહ્યા હોય, ફક્ત ત્યારે જ આ વાઈરસ એક સ્ત્રોત બની શકે છે. એટલા માટે વધારે વિલંબ કર્યા વગર મૃતદેહના અગ્નિસંસ્કાર કે પછી દફન વિધિ કરવી જરૂરી બની જાય છે.”

The volunteers lower a body into a pit eight feet deep, cover up the pit and pour a disinfectant powder across the grave
PHOTO • Courtesy: TMMK
The volunteers lower a body into a pit eight feet deep, cover up the pit and pour a disinfectant powder across the grave
PHOTO • Courtesy: TMMK
The volunteers lower a body into a pit eight feet deep, cover up the pit and pour a disinfectant powder across the grave
PHOTO • Courtesy: TMMK

સ્વયંસેવકો મૃતદેહને આઠ ફૂટ ઊંડા ખાડામાં ઉતારે છે, ખાડાને ઢાંકે છે અને કબર ઉપર જંતુનાશક પાઉડર છાંટે છે

ડૉક્ટર મિત્રા ચેતવણી આપે છે કે, “જો પીડિત વ્યક્તિનું મોત ઘરે થયું હોય, તો વાઈરસ એ ઘરમાં હજુ પણ સક્રિય હોઈ શકે છે, માટે એ ઘરના કોરેન્ટાઈન પર નજર રાખવી જોઈએ. અને અંતિમ વિધિ સક્ષમ અધિકારી કે જેમને બધી વાતની જાણકારી હોય એમના દ્વારા કરવી જોઈએ.”

એવું લાગે છે કે ટીએમએમકે તણાવગ્રસ્ત અધિકારીઓ અને વહીવટીતંત્રની વહારે આવ્યું છે.

આ પ્રકારની અંતિમ વિધિ પાછળ ખર્ચ કેટલો થાય છે? રહમાન કહે છે કે, “તે ૧,૦૦૦થી લઈને ૧૧,૦૦૦ રૂપિયા સુધી પહોંચી શકે છે, તે કઈ પરંપરાનું પાલન કરવાનું હોય છે એ, ખાડો ખોદવા માટે જેસીબી મશીનનું ભાડું અને અન્ય ખર્ચ પર આધારિત હોય છે. કોવિડથી થતા મૃત્યુના કિસ્સામાં, જે પરિવાર ખર્ચ આપવા સક્ષમ હોય તેમની અમે શારીરિક મદદ કરીએ છીએ. જો કોઈ પરિવાર જરાય ખર્ચ સહન કરી શકે એમ ન હોય એમના માટે અમે અમારા સમુહમાં પૈસા ઉઠાવીએ છીએ અને એમની અંતિમ વિધિ કરીએ છીએ.” પીપીઈ કીટ ક્યાં તો સ્થાનિક વહીવટીતંત્ર કે પછી અન્ય દાનવીરો થી મળી રહે છે.

આ સમૂહનાં લોકો જાણે છે કે કોવિડથી થતા મૃત્યુના કિસ્સામાં કાળજીની વધારે જરૂર છે. જવાહીરૂલ્લાહ કહે છે કે, “ટીમના બધા સદસ્ય પીપીઈ કીટ પહેરે છે અને વારાફરતી અંતિમ વિધિ કરે છે – કોઈ પણ ટીમ એક સાથે એક કરતા વધારે અંતિમ વિધિ નથી કરતી. મૃતદેહની દફન વિધિ પછી, સ્વયંસેવક પોતાનાં ઘરે જતા પહેલા પોતાને થોડાક દિવસો માટે કોરેન્ટાઈન કરી લે છે. એમને ઈમ્યુંનીટી બુસ્ટર પણ આપવામાં આવે છે અને જરૂરી ચેક-અપ પણ કરવામાં આવે છે. દેખીતું છે કે, કોવિડ પોઝીટીવ આવે એ લોકોને આ કામ માંથી મુક્ત કરવામાં આવે છે.”

ટીમને મોટે ભાગે સ્થાનિક સ્વાસ્થ્ય નિરીક્ષક અથવા હોસ્પિટલો પાસેથી પીડિત પરિવારો વિષે જાણકારી મળે છે. રાણીપેત જીલ્લાના અરક્કોનમ વિસ્તારમાં બનાવરમ પંચાયતના પૂર્વ અધ્યક્ષ, એન મણિ આ ઉદાહરણ ટાંકે છે: “અમારા ગામની એક ખ્રિસ્તી સ્ત્રી, પુષ્પાનું કોવિડના લીધે મોત નીપજ્યું અને પરિવાર એ સંભાળી ન શક્યો. ત્યારે સ્વાસ્થ્ય નિરીક્ષકે મને ટીએમએમકે વિષે જણાવ્યું. સ્વયંસેવકો એ એક કલાકની અંદર આવીને બધું સંભાળી લીધું. તેઓ સાહસિક અને સતર્ક છે.”

આ સિવાય, રહમાન કહે છે કે, “તમિલનાડુના દરેક પોલીસ સ્ટેશન પાસે અમારા નંબર છે, એટલે જ્યારે પણ ત્યજી દેવામાં આવેલી લાશ મળે તો તે અમને ફોન કરી શકે, બાકીનું અમે સંભાળી લઇએ છીએ.”

The TMMK volunteers attend to Hindu, Muslim, and Christian funerals alike, conducting each according to the religious traditions of the family
PHOTO • Courtesy: TMMK
The TMMK volunteers attend to Hindu, Muslim, and Christian funerals alike, conducting each according to the religious traditions of the family
PHOTO • Courtesy: TMMK

ટીએમએમકેના સ્વયંસેવક પરિવારની ધાર્મિક પરંપરાઓ અનુસાર હિંદુઓ, મુસલમાનો અને ખ્રિસ્તીઓની અંતિમ વિધિમાં ભાગ લે છે

એમના બધા પ્રયાસો માં મોટું વ્યક્તિગત જોખમ હોય છે. ૪૧ વર્ષીય અબ્દુલ રહીમ, જેઓ માર્ચ મહિનાથી પડોશી પાંડુચેરી કેન્દ્ર શાસિત પ્રદેશના કરાઇક્કલ જીલ્લામાં કોવિડથી મૃત્યુ પામનાર ૨૭ માંથી લગભગ ૨૫ની અંતિમ વિધિ કરનાર ટીમના સદસ્ય રહી ચુક્યા છે. એમને આ કામ કરવા માટે એમની ૬ વર્ષની દીકરીથી દૂર રહેવું પડે છે. “હું છેલ્લા ૮ વર્ષથી આ મેડીકલ ટીમનો ભાગ છું. કોવિડના લીધે અમારો તણાવ વધી ગયો છે, પરંતુ જ્યારે લોકો એમનો આભાર વ્યક્ત કરે છે, પછી કોઈ અન્ય વસ્તુ મહત્વની રહેતી નથી. મારે પ્રત્યેક અંતિમ વિધિ પછી ઓછામાં ઓછું એક અઠવાડિયા સુધી મારા પરિવારથી દૂર રહેવું પડે છે. આનાથી એમને પરેશાની તો થાય છે, પણ હું એમના સ્વાસ્થ્યને ખતરામાં નાખવા નથી માગતો.”

ટીએમએમકેના સ્વયંસેવક આવું શા માટે કરે છે?

જવાહીરૂલ્લાહ આને ફર્ઝ-કિફાયા (અરબીમાં ફરજીયાત વ્યક્તિગત કર્તવ્ય) કહે છે. “ઇસ્લામમાં, અંતિમ વિધિ કરવું સમાજ પર વાજિબ (ફરજીયાત) છે. જો તે વ્યક્તિ, કે પછી વ્યક્તિઓનો સમૂહ એવું કરે છે, તો એનો મતલબ છે કે આખા સમાજે એમનું કર્તવ્ય પૂરું કરી દીધું. જો કોઈ આવું કરવા માટે આગળ ન આવે, તો બધા ગુનેગાર (પાપી) છે. જાતિ કે પંથની પરવા કર્યા વગર, અમે માની એ છીએ કે આ અંતિમ વિધિ કરવી અમારું કર્તવ્ય છે.”

તેઓ કહે છે કે એમનાં સ્વયંસેવક, ૧૯૯૫માં ટીએમએમકેની સ્થાપનાના સમયથી જ માનવતાવાદી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા હતા. “તેઓ નિયમિતપણે રક્તદાન કરે છે અને જરૂરતમંદ લોકો માટે મફત સેવાઓ આપનારી એમ્બ્યુલન્સનું સંચાલન કરે છે. તેઓ સુનામી અને ચેન્નાઈમાં આવનારા પુર સહીત અન્ય કુદરતી આફતો સમયે પણ સક્રિય હોય છે.”

જવાહીરૂલ્લાહ, જેઓ રાજકીય પક્ષ મનિથનેય મક્કલ કાચ્ચી ના અધ્યક્ષ પણ છે, તેઓ કહે છે કે: “અમે આma  તમિલ લોકો તરીકે કરીએ છીએ; અમે માનીએ છીએ કે અમારે સંકટ સમયે બીજાઓની મદદ કરવી જોઈએ. તમિલનાડુના લોકોએ મોટેભાગે અમારા કામની પ્રશંસા કરી છે.” એક ઊંડો શ્વાસ લીધા પછી, તેઓ ઉમેરે છે કે, “જયારે તમે લઘુમતીમાં હો, ત્યારે આ કામ કરવું એક વધારાની જવાબદારી બની જાય છે. પરંતુ, અમારો મકસદ જરૂરતમંદ લોકોની સેવા કરવાનો છે.”

કવિતા મુરલીધરન ઠાકુર ફેમીલી ફાઉન્ડેશન દ્વારા સ્વતંત્ર પત્રકારિતા ગ્રાન્ટ ના માધ્યમથી સાર્વજનિક સ્વાસ્થ્ય અને નાગરિક સ્વતંત્રતા પર અહેવાલ લખે છે. ઠાકુર ફેમીલી ફાઉન્ડેશને આ રીપોર્ટની વિગતોમાં કોઈ સંપાદકીય નિયંત્રણ નથી કર્યો.

અનુવાદક: ફૈઝ મોહંમદ

Kavitha Muralidharan

Kavitha Muralidharan is a Chennai-based independent journalist and translator. She was earlier the editor of 'India Today' (Tamil) and prior to that headed the reporting section of 'The Hindu' (Tamil). She is a PARI volunteer.

Other stories by Kavitha Muralidharan
Translator : Faiz Mohammad

Faiz Mohammad has done M. Tech in Power Electronics Engineering. He is interested in Technology and Languages.

Other stories by Faiz Mohammad