પાછલા એક મહિના કરતા પણ વધુ સમયથી, નિશા યાદવ પોતાના પરિવારના રાશન લાવવા માટે વધારે મુસાફરી કરી રહી છે. એમના ઘર નજીક આવેલ કરિયાણાની દુકાન પર એમને કરિયાણું આપવાની મનાઈ કરવામાં આવે છે. તેઓ કહે છે કે, “જ્યારથી પિતા હોસ્પિટલમાં ભર્તી થયા હતા, રાજનવાલા [કરિયાણાની દુકાનના માલિક] અમને એમની દુકાનમાં જવા દેતા નથી.”

નિશા કહે છે કે, “મારા પિતા જૂનના અંતમાં કોવીડ-૧૯ પોઝિટિવ આવ્યા હતા, પરંતુ તેઓ હવે પૂરી રીતે તૈયાર થઇ ગયા છે. અમે બાકી બધા બે અઠવાડિયા સુધી એકબીજાંથી અળગા રહ્યાં. જો કે પિતા એક મહિના પહેલા જ તૈયાર થઇ ગયા હતા, પરંતુ દુકાનદાર હજુ પણ કહે છે કે જો અમે એમની દુકાનમાં આવ્યા તો દુકાનમાં વાઈરસ ફેલાશે. આ કારણે અમારામાંથી કોઈ એક માણસે કિરાણાનો સમાન લેવા માટે આ વરસાદના મોસમમાં લગભગ એક માઈલ દૂર રહેતાં અમારા સંબંધીઓ પાસે ઘૂંટણ સમા કાદવવાળા પાણીમાં ચાલતા જવું પડે છે.”

૨૪ વર્ષીય નિશાએ ૬ વર્ષ પહેલા ૧૧માં ધોરણ પછી અભ્યાસ છોડી દીધો હતો, તેઓ ઉત્તર પ્રદેશના કુશીનગર જીલ્લાના હાટા વિસ્તારના સોહસા ગામમાં રહે છે. ગોરખપુર શહેરથી લગભગ ૬૦ કિલોમીટર દૂર આવેલ એમનું ગામ વરસાદ અને પુરની આફતથી ખુબજ ખરાબ રીતે પ્રભાવિત થયું છે.

“મારા ફોઈ-ફુવા અમારા માટે કરિયાણું ખરીદે છે અમે તેમને પાછળથી પૈસા ચૂકવીએ છીએ.” આ વાત કરતી વેળાએ પણ નિશા એમની સલવારના છેડાને ૩-૪ વખત વાળે છે – તેમણે તેમના ઘરે જવા માટે પુરના પાણીમાંથી પસાર થવું પડશે. એમના પરિવાર પાસે સાંજની ચા માટે ખાંડ પૂરી થઇ ગઈ છે.

PHOTO • Jigyasa Mishra

અનુરાગ યાદવ કહે છે કે , ‘હવે અભ્યાસ અમારા માટે પ્રાથમિક્તા નથી રહી’

નિશા એમના પરિવારની સૌથી મોટી સંતાન છે. એમના પિતા, ૪૭ વર્ષીય બ્રીજકિશોર  યાદવ, જેઓ પરિવારના એકમાત્ર પૈસા કમાવનારા સદસ્ય છે, જૂન મહિનામાં જ દિલ્લીથી પરત આવ્યા છે. પાટનગરમાં તેઓ એક જીન્સ બનાવનારી કંપનીમાં કામ કરતા હતા, જ્યાં તેઓ મહિને લગભગ ૨૦,૦૦૦ રૂપિયા મેળવતા હતા. છ વર્ષ પહેલા સાપ કરડવાથી નિશાની માતાનું અવસાન થયું હતું. ત્યારથી, તે પોતાના બે નાના ભાઈઓની દેખભાળ કરે છે. ૧૪ વર્ષીય પ્રિયાંશુ ૮માં ધોરણમાં અને ૨૦ વર્ષીય અનુરાગ બી.એ. ના બીજા વર્ષમાં છે.

અત્યારે બંને લોકડાઉનના લીધે મુશ્કેલીમાં છે. જ્યાં દિવસમાં બે વખત જમવાનું મળશે કે નહીં એ નક્કી ના હોય એવા પરિવારમાં એમના માટે સ્માર્ટફોન રાખવા અને ઓનલાઇન શિક્ષણ પ્રાપ્ત કરવાની સંભાવના ખુબજ ઓછી છે. એમના પ્રવાસી મજૂર પિતા પાસે એક સાધારણ સેલફોન છે. બંને બાળકો આવનાર સત્રો માટે પોતાની ફી ચૂકવી શકશે નહીં.

અનુરાગ કહે છે કે, “ અમે આ વર્ષે અભ્યાસ નહીં કરીએ. હવે અભ્યાસ અમારા માટે પ્રાથમિક્તા નથી. બની શકે તો અમે આવતા વર્ષે અભ્યાસ કરીશું.”

નિશા કહે છે કે, “પિતાજી અમને દર મહિને ૧૨,૦૦૦-૧૩,૦૦૦ રૂપિયા મોકલતા હતા. પરંતુ, એપ્રિલ પછી, અમે કઈ રીતે ગુજરાન કરીએ છીએ એ હું તમને જણાવી શકું એમ નથી. ક્યારેક-ક્યારેક, અમે દિવસમાં ફક્ત એક જ વાર જમી શકીએ છીએ.”

“પિતાજી જૂન મહિનાના અંતમાં આવ્યા હતા અને પરત ફરી રહેલાં પ્રવાસીઓ માટે કોરેન્ટાઈન કેન્દ્ર તરીકે વાપરાતી શાળામાં એમનો ટેસ્ટ થયો. તે એક ઝડપી [રેપીડ એન્ટીજન] ટેસ્ટ હતો તેમાં તેમનું પરિણામ પોઝિટિવ આવ્યું, તેથી તેમને ત્યાં જ રોકી લેવામાં આવ્યા. એક અઠવાડિયા પછી, વધારે વિસ્તૃત [આર.ટી.-પી.સી.આર. – રીવર્સ ટ્રાન્સક્રીપ્શન -પોલીમરેઝ ચેન રિએકશન] ટેસ્ટમાં તેમનું પરિણામ નેગેટિવ આવ્યું. તેથી એમને વહેલા બીજી જુલાઈએ છોડી દેવામાં આવ્યા. એ બધું બરાબર છે, પણ અમે હજુ પણ કલંકનો સામનો કરી રહ્યા છીએ.”

બ્રીજકિશોર કહે છે કે, “દિલ્લીથી ગોરખપુર આવવા માટે મારે ટ્રક ડ્રાઈવરને ૪,૦૦૦ રૂપિયા ચૂકવવા પડ્યા. પછી, અહિં પોતાના ગામમાં આવવા માટે મારે બોલેરો વાળાને ૧,૦૦૦ રૂપિયા આપવા પડ્યા. આ પૈસા મેં દિલ્લીમાં મિત્રો પાસેથી ૧૦,૦૦૦ રૂપિયા ઉધાર લીધા હતા, એમાંથી ચૂકવ્યા. મારે એ પૈસા એટલા માટે જરૂરી હતા કે મારા બાળકો ફક્ત દાળ-રોટલી કે પછી મીઠુ-ચાવલ ખાઈને પેટ ભરી રહ્યા હતા. પરંતુ, એમાંથી મારી પાસે ફક્ત ૫,૦૦૦ રૂપિયા જ વધ્યા અને એ પણ આ કોરોના રોગના લીધે ખર્ચ થઇ ગયા. દવાઓ ખુબજ મોંઘી હતી. મને રજા મળ્યા પછી ઘરે આવવા માટે રિક્ષામાં પણ ૫૦૦ રૂપિયા ખર્ચ કરવા પડ્યા. અને હવે મારી પાસે કોઈ કામ નથી.”

તે પૂછે છે કે, “મને કહો, કે હું દિલ્લી પરત કઈ રીતે જાઉં? અહિં અમારી મદદ કરવા અને સાથ આપવાને બદલે પાડોશીઓ અને દુકાનદાર અમારો બહિષ્કાર કરે છે. આમાં મારી શું ભૂલ છે?”

બ્રીજકિશોર કહે છે કે, “આ જિલ્લામાં કે આસપાસ કોઈ મોટી ફૅક્ટરી નથી, નહીંતર અમે પરિવારથી આટલે દૂર ન જતા અને આટલી તકલીફો ના ઉઠાવતા.”

*****

સૂરજ કુમાર પ્રજાપતિ થોડાક દિવસોથી સામાન્ય કરતા ઓછું પાણી પીવે છે. એમને ડર છે કે કોવીડ-૧૯થી સાજા થયા પછી પણ, તેમને કોરેન્ટાઈન કેન્દ્રની અસ્વસ્થ સ્થિતિના કારણે અન્ય રોગ થઇ શકે છે. તેઓ કહે છે કે, “પાણી પીવા લાયક નથી. વોશબેસીન અને નળ લોકોના પાન-ગુટખાના થુંકથી ભરેલા છે.” જો તમે એ જોશો તો, અહિં પાણી પીવાના બદલે તરસ્યા રહેવાનું વધારે પસંદ કરશો.

‘અહિં’ ઉત્તર પ્રદેશના સંત કબીર નગર જિલ્લાના ખલીલાબાદ વિસ્તારના સેંટ થોમસ શાળા છે, જ્યાં સરકારી મેડીકલ શિબિરમાં કોવીડ-૧૯ના પરીક્ષણમાં પોઝિટિવ આવ્યા પછી સૂરજને કોરેન્ટાઈન કેન્દ્રમાં રાખવામાં આવ્યા.  બી.એ. બીજા વર્ષમાં અભ્યાસ કરતા ૨૦ વર્ષીય વિદ્યાર્થીએ ખુબજ વધારે ખાંસી થતી હોવાના લીધે પોતાનો ટેસ્ટ કરાવ્યો હતો.

સૂરજ કહે છે કે, “મારા માતા-પિતા, બે ભાઈ અને એક બહેન, બધા ખલીલાબાદ શહેરમાં રહે છે. [એમના ભાઈ-બહેન બધા એમનાથી નાના છે અને સરકારી શાળામાં ભણે છે.] મારા પિતા ચોકડી પર ચા-પકોડા વેચે છે – પાછળના કેટલાક મહિનાઓમાં એમની કમાણી ખુબજ ઓછી થઇ ગઈ છે. રસ્તાઓ ઉપર કોઈ હતું જ નહીં – તો કોણ ખરીદતું? જુલાઈમાં  થોડોક વેપાર ચાલુ થયો, પરંતુ એ પણ મર્યાદિત છે. શનિવાર અને રવિવારે આમ પણ બધું બંધ રહે છે [બિનજરૂરી વ્યવસાયો માટે, સરકારી આદેશ અનુસાર]. હું દરરોજ મારા પિતાને મિનરલ પાણીની બોટલ મોકલવાનું ના કહી શકું.

Sooraj Prajapati (left), in happier times. Now, he says, 'Food is not a problem here [at the government medical centre], but cleanliness definitely is'
PHOTO • Courtesy: Sooraj Prajapati
Sooraj Prajapati (left), in happier times. Now, he says, 'Food is not a problem here [at the government medical centre], but cleanliness definitely is'
PHOTO • Sooraj Prajapati
Sooraj Prajapati (left), in happier times. Now, he says, 'Food is not a problem here [at the government medical centre], but cleanliness definitely is'
PHOTO • Sooraj Prajapati

સૂરજ પ્રજાપતિ (ડાબે) ખુશાલ મુદ્રામાં. તેઓ કહે છે કે , અત્યારે જમવાની સમસ્યા નથી [સરકારી મેડીકલ કેન્દ્રમાં], પણ સફાઈ ચોક્કસપણે સમસ્યા છે.

સૂરજ અને લગભગ ૮૦ લોકોને, કોવીડ-૧૯ માટે ઝડપી [રેપીડ એન્ટીજન] ટેસ્ટમાં પોઝિટિવ આવ્યા બાદ શાળામાં કોરેન્ટાઈન કરી દેવામાં આવ્યા હતા. તેઓ લગભગ ૨૫ ફૂટ લાંબા અને ૧૧ ફૂટ પહોળા રૂમમાં અન્ય સાત લોકો સાથે રહેતા હતા.

“અમને સવારે ૭ વાગે નાસ્તામાં ચા સાથે બ્રેડ પકોડા મળે છે અને ત્યારબાદ બપોરે ૧ વાગે દાળ-રોટલી અથવા ચોખા મળે છે. જો કે, અમને એ પહેલાં જ ભૂખ લાગી જાય છે – કારણ કે અમે યુવાન છીએ,” તેઓ હસતા હસતા કહે છે. “સાંજે અમને ફરીથી ચા અને ૭ વાગે ભોજન [દાળ-રોટલી] મળે છે. અહિં ખોરાક એ સમસ્યા નથી પણ સફાઈ ચોક્કસ પણે સમસ્યા છે.

શાળાના લગભગ બધા રૂમની બહાર કચરાના ઢગલા છે. એટલે સુધી કે લોકોને આપવામાં આવતા ભોજનના ડબ્બા, વધેલો ખોરાક, ડિસ્પોઝેબલ કપમાં જેમને ઊકાળા (જડીબુટ્ટી સાથે ઉકાળેલું પાણી) અને જે ચા મળે છે એ બધું કોરિડોરમાં મળે છે. “મેં પાછલા આઠ દિવસોમાં કોઈને કચરો સાફ કરતા નથી જોયો. અમે ગંદા શૌચાલયમાં જતી વેળાએ પોતાનું નાક બંધ કરી દઈએ છીએ – આખા કોરેન્ટાઈન કેન્દ્રમાં ફક્ત એક જ શૌચાલય અને ૫-૬ મુતરડી છે. મહિલાઓનું શૌચાલય બંધ છે કારણ કે અહિં કોઈ મહિલા નથી. ક્યારેક-ક્યારેક મને ઊબકા આવી જાય છે.”

સૂરજ કહે છે કે, “અમે પરીચારકોને ખોટ્ટી ફરિયાદ કરીએ છીએ પણ તેમને ખોટું લાગવાની બીક લાગે છે. જો અમારા વિરોધ કરવાથી એમણે અમને ખાવાનું આપવાનું બંધ કરી દીધું તો શું થશે? મને લાગે છે કે જેલ આવી જ હશે. ફક્ત ફેર એટલો કે અમે કોઈ ગુનો નથી કર્યો.”

******

કાનપુર જિલ્લાના ઘાટમપુર વિસ્તારમાં પોતાના ઘરની બહાર ગુસ્સે ભરાયેલ ઇદ્દન મેડીકલ રીપોર્ટ બતાવતા કહે છે કે એમનું કોવીડ-૧૯નું પરિણામ નેગેટિવ આવ્યું છે.

તેઓ અહિં પદ્રી લાલપુર વિસ્તારમાં પોતાના ૫૦ વર્ષીય પતિ અને ૩૦ વર્ષીય દીકરા સાથે, ગુજરાતના સુરત શહેરથી ૨૭ એપ્રિલે પરત ફર્યા હતા. ત્યારથી તેઓ એક પણ રૂપિયો કમાયા નથી. તેઓ કહે છે કે, “પરત ફરવા માટેની મુસાફરી [લગભગ ૧,૨૦૦ કિમી, બે રાત્રીઓ અને ત્રણ દિવસો] ભારે હતી, એક ખુલ્લા ટ્રકમાં ૪૫ લોકો ભરેલાં હતા, પરત ફરવું એ અમારો સૌથી ખરાબ નિર્ણય હતો. અમે  ૯ વર્ષથી સુરતમાં હતા, ત્યાં દોરાની એક ફેક્ટરીમાં કામ કરતા.” તેમને અહિં ખેતમજૂર તરીકે ખુબજ ઓછી કમાણી થતી હોવાથી યુપી છોડ્યું હતું.

તેઓ એક આછા વાદળી રંગના ઘરની બહાર ઉભા છે, જેની બહારની દીવાલો પર પ્લાસ્ટર કદાચ ક્યારેય કરવામાં નથી આવ્યું. ઇદ્દનનો રસપ્રદ અવાજ સાંભળીને થોડાક બાળકો અમારી ચારે તરફ એકઠાં થયા છે.

An angry Iddan waves her medical reports outside her home
PHOTO • Jigyasa Mishra

પોતાના ઘરની બહાર ગુસ્સે ભરાયેલ ઇદ્દન પોતાના મેડીકલ અહેવાલ બતાવે છે.

તે [ઇદ્દન] કહે છે કે, ‘અમે મુસ્લિમ છીએ. આ કારણે અમને કાઢી મૂકવામાં આવે છે. બીજા લોકો કે જેઓ અમારા ધર્મના નથી એમને કામ મળી રહ્યું છે. હમણાં જ, મારા દીકરાને વાળંદની દુકાને વાળ કાપવાની ના પાડવામાં આવી. એને કહેવામાં આવ્યું કે ‘તમે લોકો’ જ કોરોના વાઈરસ ફેલાવી રહ્યા છો.’

તે કહે છે કે, “સુરતમાં અમે ૪,૦૦૦ રૂપિયામાં એક રૂમ ભાડે લીધો હતો. ફેક્ટરીમાં અમે બન્ને ૮,૦૦૦ રૂપિયા અને મળીને ૨૪,૦૦૦ રૂપિયા કમાતા. પરત ફર્યા બાદ ૨,૪૦૦ રૂપિયા પણ નહીં.”

“અહિં, આ ઋતુમાં કામ કરીને અમે સારા દિવસે ઓછામાં ઓછા ૧૭૫-૨૦૦ રૂપિયા મેળવતા. પરંતુ એ કામ ૩૬૫ દિવસ નથી મળતું. આ કારણે અમે વર્ષો પહેલા સુરત ચાલ્યા ગયા હતા – જ્યારે અહિં મજૂરી ઓછી મળતી હતી.”

૫૦ વર્ષની ઉંમરે, આ આત્મવિશ્વાસું મહિલા, કહે છે કે એમની કોઈ અટક નથી. “હું મારા બધા દસ્તાવેજો પર ઇદ્દન જ લખું છું.”

એમના પતિ કે જેમનું એ નામ બતાવવા નથી માંગતી, તેઓ મે મહિનાના પ્રથમ અઠવાડિયામાં પરત ફરી રહેલા પ્રવાસીઓની એક સરકારી શિબિરમાં ફરજિયાતપણે ટેસ્ટ કર્યા બાદ કોવીડ-૧૯ પોઝિટિવ જાહેર કરવામાં આવ્યા. તે કહે છે કે, “ત્યારબાદ જીવન નરક સમાન છે.”

એમનું વાઈરસથી સંક્રમિત થવું ત્રાસભર્યું હતું, પણ અસલી સમસ્યાઓ તો એમના સાજા થયા પછી શરુ થઇ. જ્યારે મારા દીકરા અને પતિએ ખેતમજૂર તરીકે કામ માંગ્યું, તો જમીનદારો તેમની ઉપર વાઈરસ ફેલાવાનો આરોપ લગાવીને મજાક કરવાનું શરુ કરી દીધું. એક માલિકે તો વળી મને ચેતવણી આપી કે હું એમની જમીનમાં પગ પણ ના રાખું અને પછી અન્ય જમીનદારોને પણ અમને કામ ન આપવા કહ્યું.

તે કહે છે કે, “અમે મુસ્લિમ છીએ. આ કારણે અમને કાઢી મૂકવામાં આવે છે. બીજા લોકો કે જેઓ અમારા ધર્મના નથી એમને કામ મળી રહ્યું છે. હમણાં જ, મારા દીકરાને વાળંદની દુકાને વાળ કાપવાની ના પાડવામાં આવી. એને કહેવામાં આવ્યું કે ‘તમે લોકો’ જ કોરોના વાઈરસ ફેલાવી રહ્યા છો.”

ઇદ્દનના પતિએ મે મહિનાના અંતમાં, એક સરકારી શિબિરમાં ફરીથી વાઈરસનો ટેસ્ટ કરાવ્યો અને તેમાં એમનું પરિણામ નેગેટિવ આવ્યું. તે એક દસ્તાવેજ પકડીને કહે છે કે - “જુઓ, તમે નામ જુઓ. હું અંગ્રેજી નથી વાંચી શકતી. પરંતુ મને ખબર છે કે ડોક્ટર કહી રહ્યા છે કે અમે સ્વસ્થ છીએ. તો પછી આ ભેદભાવ શા માટે?”

ઇદ્દને આ મુશ્કેલ પરિસ્થિતિમાં ગુજારો કરવા માટે પોતાની નણંદ પાસેથી રૂ. ૨૦,૦૦૦ કરજ લીધા છે. “એમના એક સારા પરિવારમાં લગ્ન થયા છે. પરંતુ મને ખબર નથી કે અમે તેમના પૈસા ક્યારે પરત કરી શકીશું. કદાચ અમે દોરાના કારખાનામાં ફરીથી કામ કરવા જઈએ ત્યારે...”

એ લોન પર વ્યાજ કેટલું હશે? “વ્યાજ? મને ખબર નથી. મારે એમને ૨૫,૦૦૦ રૂપિયા પરત કરવાના થશે.”

ઇદ્દન સુરત પરત ફરવા માટે ખુબજ આતુર છે.

જિજ્ઞાસા મિશ્રા ઠાકુર ફેમીલી ફાઉન્ડેશન વતી એક સ્વતંત્ર ગ્રાન્ટ મારફતે સાર્વજનિક સ્વાસ્થ્ય અને નાગરિક સ્વતંત્રતા વિષે પત્રકારિતા કરે છે. ઠાકુર ફેમીલી ફાઉન્ડેશને આ ખબરમાં કોઈ પણ સંપાદકીય નિયંત્રણ કર્યું નથી.

અનુવાદક: ફૈઝ મોહંમદ

Jigyasa Mishra

Jigyasa Mishra is an independent journalist based in Chitrakoot, Uttar Pradesh.

Other stories by Jigyasa Mishra
Translator : Faiz Mohammad

Faiz Mohammad has done M. Tech in Power Electronics Engineering. He is interested in Technology and Languages.

Other stories by Faiz Mohammad