“અમે તંબુમાં બેઠા હતા, તેમણે તે ફાડી નાખ્યો. "અમે બેસી રહ્યા, વૃદ્ધ સ્વતંત્રતા સેનાનીએ અમને કહ્યું. “તેઓએ જમીન પર અને અમારી પર પાણી ફેંકયું. તેઓએ જમીનને ભીની કરવાનો પ્રયત્ન કર્યો અને અમારું બેસવાનું મુશ્કેલ બનાવવાનો પ્રયાસ કર્યો. અમે બેસી રહ્યા. પછી જ્યારે હું થોડું પાણી પીવા ગયો અને નળની નજીક જઇને નમ્યો, ત્યારે તેઓએ મારા માથા પર કંઇ માર્યુ અને મારા માથામાં ફ્રેક્ચર થયું. મને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવો પડ્યો”
બાજી મોહમ્મદ ભારતના કેટલાક છેલ્લા જીવંત સ્વતંત્રતા સૈનિકોમાંના એક છે - ઓડિશાના કોરાપુટ ક્ષેત્રના ચાર કે પાંચ રાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત સ્વતંત્રતા સૈનિકોમાંથી માત્ર તેઓ એક જ જીવંત છે. તેઓ 1942 માં અંગ્રેજોના અત્યાચારની વાત નથી કરતા.(જોકે, તે વિષયમાં પણ તેમને ઘણું કહેવું છે.) 1992 માં બાબરી મસ્જિદના ધ્વંસ સમયે, તેની અડધી સદી પછી, તેઓ પોતાની ઉપર થયેલા અધમ હુમલાનું વર્ણન કરે છે: હું 100 સભ્યોની શાંતિ ટીમના ભાગ રૂપે ત્યાં હતો. ” પરંતુ ટીમને શાંતિ આપવામાં આવી ન હતી. પંચોતેર-છોત્તેર વર્ષના વૃદ્ધ ગાંધીવાદી લડવૈયાએ તેમના માથામાં થયેલી ઈજામાંથી સ્વસ્થ થવા 10 દિવસ હોસ્પિટલમાં અને એક મહિનો વારાણસી આશ્રમમાં પસાર કરવો પડ્યો.
આ ઘટનાનું વર્ણન કરતી વખતે તેમાં ગુસ્સાની સહેજ છાંટ પણ વર્તાતી નથી. હુમલો કરનાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અથવા બજરંગ દળ પ્રત્યે તેમને કોઈ દ્વેષ નથી. મોહક સ્મિત ધરાવતા એક સૌમ્ય વૃદ્ધ માણસ, અને ચુસ્ત ગાંધી ભક્ત. તેઓ મુસ્લિમ છે, જે નવરંગપુરની ગૌહત્યા વિરોધી જૂથનું નેતૃત્વ કરે છે. "હુમલા બાદ બીજુ પટનાયક મારે ઘેર આવ્યા અને મને ઠપકો આપ્યો. આ ઉંમરે શાંતિપૂર્ણ વિરોધમાં પણ મારા સક્રિય હોવા અંગે તેઓ ચિંતિત હતા. અગાઉ પણ જ્યારે મેં આ સ્વતંત્રતા સેનાનીઓને અપાતું પેન્શન 12 વર્ષ સુધી સ્વીકાર્યું ન હતું ત્યારે તેઓએ મને ઠપકો આપ્યો હતો. ”
બાજી મોહમ્મદ એક વિલુપ્ત થઇ રહેલી જાતિના રંગીન અવશેષ છે. ભારતની આઝાદી માટે અસંખ્ય ગ્રામીણ ભારતીયોએ મોટું બલિદાન આપ્યું હતુ. પરંતુ જે પેઢી રાષ્ટ્રને આઝાદી તરફ દોરી ગઇ છે તે પેઢી ઝડપથી લુપ્ત થઈ રહી છે, (જીવંત છે) તેમાંના મોટાભાગના સભ્યો 80 અથવા 90 ના દાયકાના અંતની નજીક છે. બાજી લગભગ 90 વર્ષના છે.
હું 1930 ના દાયકામાં ભણતો હતો, પરંતુ મેટ્રિક પછી ન ભણી શક્યો. મારા ગુરુ સદાશિવ ત્રિપાઠી હતા જેઓ પાછળથી ઓડિશાના મુખ્ય પ્રધાન બન્યા. હું કોંગ્રેસ પક્ષમાં જોડાયો અને તેના નવરંગપુર એકમ [ત્યારે તે હજી પણ કોરાપુટ જિલ્લાનો ભાગ હતો.] નો પ્રમુખ બન્યો. મેં કોંગ્રેસના 20000 સભ્યો બનાવ્યા. તે ભારે ઉત્તેજનાવાળો વિસ્તાર હતો. અને સત્યાગ્રહ શરુ થતા આ પ્રદેશ જાણે સંપૂર્ણ રીતે જીવંત થયો. ”
જો કે જ્યારે સેંકડો લોકો કોરાપુટ તરફ કૂચ કરી રહ્યા હતા ત્યારે બાજી મોહમ્મદ બીજી તરફ ગયા. “હું ગાંધીજી પાસે ગયો. મારે તેમને મળવુ હતું. ” અને તેથી તેમણે "સાયકલ ઉઠાવી, મિત્ર લક્ષ્મણ સાહુને પોતાની સાથે લીધો, ખિસ્સામાં પૈસા નહોતા, અને અહીંથી રાયપુર ગયા." ખૂબ જ કઠિન પર્વતીય ક્ષેત્રનું 350 કિલોમીટરનું અંતર હતું. “ત્યાંથી અમે વર્ધાની ટ્રેન લઈને સેવાગ્રામ તરફ ગયા. તેમના આશ્રમમાં ઘણા મહાન લોકો હતા. અમે આશ્ચર્યચકિત અને ચિંતિત હતા.શું અમે તેમને ક્યારેય મળી શકીશું ખરા? લોકોએ અમને કહ્યું તેમના સચિવ મહાદેવ દેસાઇને પૂછો.
“દેસાઇએ અમને સાંજે 5 વાગ્યે જ્યારે તેઓ ચાલવા નીકળે ત્યારે તેમની સાથે વાત કરવાનું કહ્યું. મેં વિચાર્યું આ તો ખૂબ સરસ. નિરાંતે મળી શકાશે. પણ બાપરે !તેઓ તો ખૂબ ઝડપથી ચાલતા હતા. તેમની ચાલ સાથે મેળ પાડવા મારે તો દોડવું પડતું હતું. છેવટે હું તેમની સાથે કદમ મેળવી ન શક્યો અને તેમને વિનંતી કરી: મહેરબાની કરીને ઊભા રહો: હું છેક ઓડિશાથી માત્ર તમને મળવા માટે આવ્યો છું.
તેમણે સહેજ ગુસ્સાથી કહ્યુઃ ‘તમે શું જોશો? હું પણ એક માણસ જ છું , બે હાથ, બે પગ, બે આંખવાળો. શું તમે ઓડિશાના સત્યાગ્રહી છો?’ મેં જવાબ આપ્યો કે મેં સત્યાગ્રહી બનવાની પ્રતિજ્ઞા લીધી છે.
“'જાઓ', ગાંધીએ કહ્યું. ‘જાઓ, લાઠી ખાઓ [જાઓ અને બ્રિટીશની લાઠીનો સ્વાદ ચાખો]. રાષ્ટ્ર માટે બલિદાન આપો.’ સાત દિવસ પછી, તેમણે અમને કહ્યું તે જ પ્રમાણે કરવા અમે અહીં પાછા ફર્યા." બાજી મોહમ્મદે નવરંગપુર મસ્જિદની બહારના યુદ્ધ – વિરોધી ચળવળના ભાગરૂપે સત્યાગ્રહ કર્યો. પરિણામે “છ મહિનાની જેલ અને 50 રૂ.નો દંડ થયો. તે દિવસોમાં આ રકમ ઓછી નહોતી. ”
તે પછી આવી ઘણી પ્રાસંગિક ઘટનાઓ બની. “એક પ્રસંગે જેલમાં લોકો પોલીસ પર હુમલો કરવા એકઠા થયા હતા. મેં દરમિયાનગીરી કરી તેમને રોક્યા. ‘મરેંગે લેકિન મારેંગે નહીં ', મેં કહ્યું [અમે મરી જઈશું, પણ અમે હુમલો નહીં કરીએ]."


