પ્રદૂષિત પાણીથી અસરગ્રસ્ત લોકો પ્રત્યે સરકારની ઉદાસીનતાના વિરોધમાં સમગ્ર પંજાબ, હરિયાણા અને રાજસ્થાનના સેંકડો લોકો 24 મી ઓગસ્ટ, 2024 ના રોજ વિરોધ પ્રદર્શિત કરવા લુધિયાણામાં એકઠા થયા હતા. 'કાલે પાણી દા મોરચા' (જળ પ્રદૂષણ સામે વિરોધ) બેનર હેઠળ તેમાં સતલજના કિનારે આવેલા વિસ્તારોના અસરગ્રસ્ત લોકોને સામેલ હતા.
' બુડ્ઢા નાળા બચાવો, સતલજ બચાવો.’
બુડ્ઢા નાળામાં પ્રદૂષણ સામેનો હોબાળો નવો નથી અને તેને સ્વચ્છ કરવાની યોજનાઓ પણ નવી નથી. આ બધું ઓછામાં ઓછા ત્રણ દાયકાથી ચાલી રહ્યું છે પરંતુ કોઈ ફેર પડ્યો નથી. પહેલી યોજના – એક્શન પ્લાન ફોર ક્લીન રિવર સતલજ – 1996 માં શરૂ કરવામાં આવી હતી; જમાલપુર, ભટ્ટિયાં અને બલ્લોકે ગામોમાં ત્રણ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ (એસટીપી - ગટર શુદ્ધિકરણ પ્લાન્ટ્સ) શરૂ કરવામાં આવ્યા હતા.
2020 માં પંજાબ સરકારે બુડ્ઢા નાળા માટે 650 કરોડ રુપિયાના ખર્ચે બે વર્ષની કાયાકલ્પ યોજના શરૂ કરી હતી. મુખ્ય પ્રધાન ભગવંત માને અગાઉની સરકારને દોષી ઠેરવતા બુડ્ઢા નાળાની કાયાકલ્પ માટે જમાલપુર ખાતે રાજ્યના સૌથી મોટા એસટીપી અને 315 કરોડ રુપિયાની બીજી યોજનાઓનું ઉદ્ઘાટન કર્યું હતું.
આક્ષેપબાજીની રમત ચાલુ છે ત્યારે કાશ્મીરા બાઈ કહે છે કે સરકારે કે કોઈ રાજકીય પક્ષોએ આ સમસ્યાના ઉકેલ માટે કંઈ કરતા કંઈ કર્યું નથી. લુધિયાણાના આંદોલનકારો વારંવાર પંજાબ સરકાર સમક્ષ આ મુદ્દો ઉઠાવતા રહ્યા છે, પરંતુ કરોડો રુપિયા ખર્ચ્યા પછી પણ આ નાળું પ્રદૂષિત જ રહ્યું છે, જેના કારણે લોકોને અવારનવાર જાહેરમાં વિરોધ કરવાની ફરજ પડે છે.
60 વર્ષના મલકીત કૌર વિરોધમાં જોડાવા માટે છેક માનસા જિલ્લાના અહમદપુરથી આવ્યા હતા. તેમણે કહ્યું, “પ્રદૂષિત પાણી, ઉદ્યોગો દ્વારા જમીનમાં ઠલવાતો કચરો જ અમને સતાવતી આટલી બધી બિમારીઓનું કારણ છે. પાણી એ જીવનની મૂળભૂત જરૂરિયાત છે, અને અમને સ્વચ્છ પાણી મળવું જ જોઈએ."