2009-10 થી, મીનાખાણ-સંદેશખલી બ્લોકના વિવિધ ગામોના 34 કામદારો રેમિંગ માસ ઈન્ડસ્ટ્રીઝમાં નવ મહિનાથી ત્રણ વર્ષ સુધી કામ કર્યા પછી સિલિકોસિસથી અકાળે મૃત્યુ પામ્યા છે.
કામદારો શ્વાસ લે છે, તેમ તેમ સિલિકાના રજકણો ફેફસાની એલ્વિઓલર કોથળીઓમાં જમા થાય છે, અને ધીમે ધીમે ફેફસાને સખત કરી દે છે. સિલિકોસિસના પ્રથમ લક્ષણોમાં ઉધરસ અને શ્વાસ લેવામાં તકલીફ, ત્યારબાદ વજનમાં ઘટાડો અને ત્વચા કાળી પડવી છે. ધીમે ધીમે છાતીમાં દુખાવો અને શારીરિક નબળાઈ શરૂ થાય છે. પછીના તબક્કામાં, દર્દીઓને સતત ઓક્સિજન સપોર્ટની જરૂર પડે છે. સિલિકોસિસના દર્દીઓને ઓક્સિજનની અછતને કારણે હૃદયરોગનો હુમલો થવાથી મોત થતું હોય છે.
સિલિકોસિસ એક અપરિવર્તનીય, અસાધ્ય અને વણસતો જતો વ્યાવસાયિક રોગ છે, જે ન્યુમોકોનિઓસિસનું એક ચોક્કસ સ્વરૂપ છે. વ્યાવસાયિક રોગ નિષ્ણાત ડૉ. કુણાલ કુમાર દત્તા કહે છે, "સિલિકોસિસ ધરાવતા દર્દીઓને ક્ષય રોગ થવાની શક્યતા 15 ગણી વધારે હોય છે.” આને સિલિકો-ટ્યુબરક્યુલોસિસ અથવા સિલિકોટિક ટીબી તરીકે ઓળખવામાં આવે છે.
પરંતુ કામની મજબૂરી એવી છે કે છેલ્લા બે દાયકાથી કામની શોધમાં ત્યાં સ્થળાંતર કરતા પુરુષોનો પ્રવાહ સતત વધતો જ રહ્યો છે. વર્ષ 2000માં, ગોઆલદાહ ગામના કામદારો લગભગ 300 કિલોમીટર દૂર કુલ્ટી સ્થિત રેમિંગ માસ પ્રોડક્શન યુનિટમાં કામ કરવા ગયા હતા. થોડા વર્ષો પછી, મિનાખાન બ્લોકના ગોઆલદાહ, દેબિતાલ, ખરીબિયારિયા અને જયગ્રામ જેવા ગામોમાં ગરીબી રેખા નીચે જીવતા ખેડૂતો બારાસાતના દત્તપુકુરના એક એકમમાં કામ કરવા ગયા. આવું જ 2005-2006માં સંદેશખલી બ્લોક 1 અને 2ના સુંદરિખલી, સરબરિયા, બાતિદાહા, અગરહાટી, જેલિયાખાલી, રાજબારી અને ઝુપખલી ગામોના ખેડૂતોએ કર્યું હતું. તે જ સમયગાળામાં, આ બ્લોકના મજૂરો જમુરિયામાં મોટા પાયે ઉત્પાદન એકમમાં ગયા હતા.
ઝુપખલીના અન્ય રહેવાસી અમોય સરદાર કહે છે, "અમે બોલ મિલ [એક પ્રકારનું ગ્રાઇન્ડર] નો ઉપયોગ કરીને ક્વાર્ટઝાઇટ પથ્થરમાંથી બારીક પાવડર અને ક્રશર મશીનનો ઉપયોગ કરીને સોજી અને ખાંડ જેવા અનાજનું ઉત્પાદન કર્યું હતું. ત્યાં ધૂળ એટલી બધી હતી કે તમને એક હાથથી દૂરનું કંઈ દેખાય જ નહીં. મારા આખા શરીર પર ધૂળ જામેલી રહેતી.” લગભગ બે વર્ષ સુધી ત્યાં કામ કર્યા પછી નવેમ્બર, 2022માં અમોયને સિલિકોસિસ હોવાનું નિદાન થયું હતું. તેઓ હવે સખત મહેનત કરવી પડે તેવાં કામ નથી કરી શકતા. તેઓ કહે છે, “હું મારા પરિવારને ટેકો આપવા માટે કામ કરતો હતો. પણ મને તો રોગ વળગી પડ્યો.”
2009ના ભીષણ ચક્રવાત આઇલાના લીધે સ્થળાંતરને વધુ વેગ મળ્યો હતો, જેણે સુંદરબનમાં ખેતીની જમીનને બરબાદ કરી દીધી હતી. યુવાનો ખાસ કરીને નોકરીઓ માટે રાજ્યના અન્ય ભાગોમાં તેમજ દેશમાં જવા માટે ઉત્સુક હતા.