મહારાષ્ટ્રના ગુંડેગાવ ગામને છેડે ઉજ્જડ ખેતરોની વચ્ચે ઉભેલા બે ઓરડાના કોંક્રીટના નાના માળખા તરફ આંગળી ચીંધી અતુલ ભોસલે ગંભીરતાપૂર્વક કહે છે, “આ એ શાળા છે." ગામ જવાના રસ્તે કાદવવાળા રસ્તા પર ચાલતા જતા હો તો એ શાળા તમારી નજરે ચડ્યા વિના ન રહે, આ કાદવવાળો રસ્તો આખરે તમને લગભગ એક કિલોમીટર દૂર એક નાની પારધી વસાહતમાં પહોંચાડે.
વાદળી બારીઓ, રંગબેરંગી કાર્ટૂન અને દીવાલો પર ચીતરેલા ભારતીય સ્વાતંત્ર્ય સેનાનીઓના ચહેરાઓ સાથેનું આછા-પીળા રંગનું કોંક્રીટનું એ શાળાનું માળખું અચૂક તમારું ધ્યાન ખેંચે. કામચલાઉ ઝૂંપડાઓ અને તાડપત્રીથી છાયેલાં માટીનાં મકાનો, જે અહીંના 20 પારધી પરિવારોના ઘરો છે તેની સરખામણીમાં એ સાવ અલગ તરી આવે.
અતુલ ભોસલેનો કસ્બો અહમદનગર જિલ્લાના નગર તાલુકામાં પૌટકાવસ્તીના નામે જાણીતો છે. 46 વર્ષના અતુલ ભોસલે પૌટકાવસ્તી વિશે વાત કરતા કહે છે, “આતા આમચ્યાકડે વિકાસ મ્હણજે હી શાળાચ આહે. વિકાસાચી નિશાની [અત્યારે અમારી પાસે અહીં વિકાસના નામે કંઈ હોય તો બસ આ એક શાળા જ છે].”
તેઓ કહે છે, “દૂસર કાય નાય. વસ્તીત યાયલા રસ્તા નાય, પાણી નાય, લાઈટ નાય, પક્કી ઘર નાયિત [બીજું કંઈ જ નથી. રસ્તાઓ નથી. પાણી નથી. વીજળી નથી. પાકાં મકાનો નથી]. શાળા નજીકમાં છે, તેથી અમારા બાળકો ઓછામાં ઓછું વાંચતા-લખતા શીખે છે." અતુલને શિક્ષણની આ નાનકડી જગ્યા પર ગર્વ છે. આ એ જગ્યા છે જ્યાં તેમના બાળકો સાહિલ અને શબનમ બીજા 16 વિદ્યાર્થીઓ - સાત છોકરીઓ અને નવ છોકરાઓ - સાથે અભ્યાસ કરે છે.
આ એ જ શાળા છે જેને ખસેડીને બીજી શાળામાં વિલીન કરી દેવાની યોજના રાજ્ય સરકાર બનાવી રહી છે. અને ગરીબી-રેખાથી સાવ નીચે જીવતા આ સમુદાય માટે એ વાત આઘાતજનક છે. વિચરતા જૂથ અને બિન-સૂચિત જનજાતિના આ પારધીઓ મહારાષ્ટ્રમાં અનુસૂચિત જનજાતિ તરીકે સૂચિબદ્ધ છે.
આ આદિજાતિ દોઢસો વર્ષથી વધુ સમયથી ભારે ભેદભાવ અને વંચિતતાનો સામનો કરી રહી છે. 1871 માં બ્રિટિશ રાજે લગભગ 200 આદિવાસી જૂથો અને બીજી જાતિઓને - મોટાભાગે એવા લોકો કે જેઓ બ્રિટિશ આધિપત્ય સ્વીકારવા તૈયાર ન હતા તેમને - દબાવવાના હેતુથી 'ક્રિમિનલ ટ્રાઈબ્સ એક્ટ' (સીટીએ) લાગુ કર્યો હતો. પારધીઓ તેમાં સૂચિબદ્ધ હતા. આ અધિનિયમ પાછળનો મુખ્ય વિચાર એ હતો કે જો તમે આમાંના કોઈપણ જૂથમાં જન્મ્યા હો તો તમે જન્મથી જ ગુનેગાર છો. 1952 માં સ્વતંત્ર ભારતમાં સીટીએ રદ કરી પીડિત સમુદાયોને બિન-સૂચિત કરવામાં આવ્યા હતા. પરંતુ એ કલંક ક્યારેય ભૂંસાયું નથી. પારધીઓને માટે નિયમિત રોજગાર મેળવવાનું લગભગ અશક્ય છે. સરકારી શાળામાં જવાનો પ્રયાસ કરતા તેમના બાળકોને ધમકાવવામાં આવે છે અને ઘણીવાર માર મારવામાં આવે છે.
















