તેઓ હાથકડીમાં કેદ છે અને તેમના ગળામાં રહેલી સાંકળો પાછળ સુધી છેક પગ સુધી ફેલાયેલી છે. તેમનો હુલીયો – સફેદ કુર્તો અને કાળી પટ્ટીઓ – જેલના સામાન્ય કેદીનું પ્રતીકાત્મક આલેખન કરે છે.
પરંતુ ૪૨ વર્ષીય કબલ સિંહ કોઈ પણ ગુનામાં દોષિત સાબિત નથી થયા અને તેમની સાંકળો જાતે લાદવામાં આવેલી છે. તેઓ પંજાબના ફાઝીલકા જીલ્લાના રુકાનપુરા (જે ખુઈ ખેરા તરીકે પણ ઓળખાય છે) ગામમાં ખેડૂત છે.
તેઓ લાખો ખેડૂતો કે જેઓ ત્રણ કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહ્યા છે તેમાંથી એક છે. સૌ પ્રથમ પાંચ જુને વટહુકમ તરીકે બહાર પાડેલ આ કાયદાઓ ૧૪ સપ્ટેમ્બરે સંસદમાં ખરડા તરીકે રજુ કરવામાં આવ્યા અને એ જ મહિનાની ૨૦ તારીખે મંજૂરી આપીને કાયદો બનાવી દેવામાં આવ્યા.
તો પછી શા માટે જાતે લાદવામાં આવેલી સાંકળો?
“જ્યારે મેં ખેડૂતોને આટલાં લાંબા સમય સુધી પોતાના હકની માંગણી કરતા જોયાં, તો મારાથી એમનું દુઃખ સહન ના થયું. તમે મારી ફરતે આ જે સાંકળો જુઓ છો એ એમના દુઃખ નું પ્રતિબિંબ છે. તેઓ અંદરથી જે અનુભવે છે, હું પણ એ જ અનુભવ કરું છું.”
“મારી ફરતે તમે જે સાંકળો જુઓ છો, એ સાંકળો આપણને બધાને ઘેરી રહી છે, તમારે તેને સરખી રીતે જોવી રહી.” કબલ સિંહ આ ત્રણ કુખ્યાત કાયદાઓને આ સાંકળોમાં નવા જોડાણ તરીકે જુએ છે.




