શિયાળાનો થીજવી નાખે એવો ઠંડો પવન વાય છે. વરસાદથી રસ્તા પરની ધૂળ કાદવમાં ફેરવાઈ ગઈ છે. સિંઘુ પ્રદર્શન સ્થળે ખુલતા એક સાંકડા રસ્તાના કેટલાક ભાગોમાં પાણી ભરાઈ ગયું છે. આ ભીની જમીન પરથી પસાર થયા વિના લોકોનો છૂટકો નથી - અને એટલે તેમના જૂતા અને સેન્ડલ કાદવવાળા થઈ જાય છે.
હરિયાણા-દિલ્હી સરહદ પર સિંઘુ વિરોધ સ્થળે વિવિધ ખેડૂત સંગઠનોના સંયુક્ત કિસાન મોરચાનો મંચ પાર કરે ત્યારે તેમને થોડીક રાહત મળે છે. આશરે ૧૦૦ મીટર આગળ જસવિન્દર સિંહ સૈની અને પ્રકાશ કૌર તેમની સેવામાં હાજર હોય છે – જૂતાની સફાઈ અને પોલિશ કરવા માટે.
હસ્તકલાની વસ્તુઓની નિકાસ કરનાર વેપારી 62 વર્ષના જસવિન્દર કહે છે કે, “૧૯૮૬માં જે દિવસે અમારે ત્યાં બાળકનો જન્મ થયો, તે દિવસથી મેં મારી બાકીની જીંદગી માનવતાના કાર્યોમાં સમર્પિત કરી દેવાનું નક્કી કર્યું હતું.”
તેથી લગભગ ૩૫ વર્ષથી આ યુગલ સેવા આપવા ગુરુદ્વારામાં જાય છે, ખાસ કરીને તેઓ ઉપાસકોના જૂતા સાફ કરવાની સેવા આપે છે. હાલ દિલ્હીમાં રહેતા તેમના ચાર સભ્યોના પરિવારની હરિયાણાના અંબાલા જીલ્લામાં નારાયણગઢ ખાતે ૨૦ એકર જમીન છે.
સમર્પિત સેવાદારો (ગુરુદ્વારા અથવા સમુદાયના કાર્યક્રમોમાં સેવા આપતા સ્વયંસેવકો) તરીકેના તેમના દાયકાઓની વાત કરતા જસવિન્દર કહે છે, "મારી પત્નીએ, મારી જીવનસંગીનીએ, તો કોઈ કલ્પના પણ ન કરી શકે એટલી સેવા આપી છે." તેઓ (જસવિંદર) વાત કરી રહ્યા છે ત્યારે 50 વર્ષના પ્રકાશ જૂતાની જોડી સાફ કરવાનું ચાલુ રાખે છે.





