શાહજહાનપુર ખાતે વિરોધ સ્થળ પર ત્રણ દિવસ ગાળ્યા પછી જ્યારે હનુમાન ગુંજલ પોતાના ગામ પાછા ગયા ત્યારે તેઓ અનેક અવિસ્મરણીય યાદો સાથે લઈ જતા હતા.
25 મી ડિસેમ્બરે શાહજહાનપુર પહોંચેલા મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના ચાંદવડ ગામના 41 વર્ષના ભીલ આદિવાસી ખેડૂત કહે છે, “ત્યાંના ખેડૂતો ખૂબ મહેમાનગતિ કરનારા અને ખરેખર સારા હતા. કદાચ જરૂર પડે તો રાંધવા માટે અમે દાળ અને ચોખા સાથે લઈ ગયા હતા. પરંતુ અમારે એમાંથી કશું જ વાપરવું ન પડ્યું. તેઓએ અમને ભરપૂર ઘીવાળું સ્વાદિષ્ટ ભોજન આપ્યું. તેઓએ ખૂબ ઉદારતાથી અમારું સ્વાગત કર્યું."
કૃષિ કાયદા સામેના વિરોધ સાથે એકતા દર્શાવવા 21 મી ડિસેમ્બરે એક જાથા, વાહનોનો કાફલો, નાસિક શહેરથી દિલ્હી જવા રવાના થયો હતો. લગભગ 1400 કિલોમીટર દૂર રાજધાની દિલ્હીની સરહદે પહોંચવામાં લગભગ 1000 ખેડૂતોને પાંચ દિવસનો સમય લાગ્યો હતો. શાહજહાનપુર, જ્યાં જાથા સમાપ્ત થયો હતો, તે રાજસ્થાન-હરિયાણા સરહદ પર દિલ્હીથી 120 કિલોમીટર દક્ષિણમાં આવેલું છે. તે રાષ્ટ્રીય રાજધાનીની આસપાસના વિરોધ સ્થળોમાંનું એક છે જ્યાં હજારો, લાખો ખેડુતો, મુખ્યત્વે પંજાબ, હરિયાણા અને રાજસ્થાનના, 26 મી નવેમ્બરથી ત્રણ કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહ્યા છે.
આ કાયદાઓ પહેલા 5 મી જૂન, 2020 ના રોજ વટહુકમો તરીકે બહાર પાડવામાં આવ્યા હતા, ત્યારબાદ 14 મી સપ્ટેમ્બરે સંસદમાં કૃષિ ખરડા તરીકે રજૂ કરવામાં આવ્યા હતા અને એ જ મહિનાની 20 મી તારીખ સુધીમાં ઉતાવળે કાયદામાં પરિવર્તિત કરવામાં આવ્યા હતા. આ ત્રણ કાયદાઓ છે: કૃષિક (સશક્તિકરણ અને સંરક્ષણ) કિંમત આશ્વાસન અને કૃષિ સેવા પર કરાર અધિનિયમ, 2020; કૃષિક ઉપજ વેપાર અને વાણિજ્ય (સંવર્ધન અને સરળીકરણ) અધિનિયમ, 2020; અને આવશ્યક ચીજવસ્તુઓ (સંશોધન) અધિનિયમ, 2020. આ કાયદાઓ ભારતીય બંધારણની કલમ 32 ને નબળી પાડીને તમામ નાગરિકોને તેમના કાયદાકીય કાર્યવાહીના અધિકારથી વંચિત કરીને દરેક ભારતીયને અસર કરે છે એ કારણસર પણ તેમની ટીકા કરવામાં આવી રહી છે.






