ઔચિત મ્હાત્રે તેના વર્ગખંડમાં એકમાત્ર વિદ્યાર્થી તરીકે રહેવાની ટેવાયેલો હતો. પરંતુ આખી શાળામાં બાકી રહેલા છેલ્લા વિદ્યાર્થી તરીકે રહેવાનું તેના માટે ચોક્કસપણે નવું હતું.
મહામારીને કારણે લગભગ 18 મહિના શાળા બંધ રહ્યા પછી ગયા વર્ષે 4 થી ઑક્ટોબરના રોજ સવારે 11 વાગ્યાની આસપાસ 12-વર્ષનો ઔચિત વર્ગખંડમાં પ્રવેશ્યો ત્યારે આવું જ બન્યું હતું. શાળાના ત્રણેય ઓરડા સાવ ખાલી હતા. ખુરશી પર મૂકેલા મહાત્મા ગાંધીના ફ્રેમ કરેલા ફોટોગ્રાફની બાજુમાં બેસીને માત્ર તેના એક શિક્ષક જ તેની રાહ જોતા હતા.
2015 માં ઔચિત જ્યારે લગભગ છ વર્ષનો હતો અને તેણે 1 લા ધોરણમાં પ્રવેશ મેળવ્યો ત્યારથી જ તેની સાથે બીજા કોઈ સહાધ્યાયી નહોતા. તે કહે છે, "ફક્ત મીચ હોતો [હું એકલો જ હતો]." તે તેની શાળામાં પ્રવેશ મેળવનાર છેલ્લો વિદ્યાર્થી પણ હતો - જેમાં તે વખતે હજી પણ લગભગ 25 બીજા વિદ્યાર્થીઓ હતા. તેઓ ઘારાપુરી ગામના ત્રણ કસ્બાઓ - મોરાબંદર, રાજબંદર અને શેતબંદર - માંથી હતા - જ્યાં લગભગ 1100 લોકો રહે છે. ઘારાપુરી ટાપુ મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં આવેલું એક લોકપ્રિય પર્યટન સ્થળ છે, જે એલિફન્ટાની ગુફાઓ માટે જાણીતું છે. દક્ષિણ મુંબઈના ગેટવે વે ઑફ ઈન્ડિયાથી બોટ દ્વારા અહીં પહોંચવામાં લગભગ એક કલાક લાગે છે
ઔચિતની 1 થી 7 ધોરણ સુધીના વર્ગો સાથેની જિલ્લા પરિષદ (ઝેડપી) શાળામાં દસ વર્ષ કરતાં વધુ સમય પહેલા 55-60 જેટલા વિદ્યાર્થીઓ હતા. વર્ષો જતા (વિદ્યાર્થીઓની) સંખ્યા ઘટવા લાગી, અને 2019 સુધીમાં માત્ર 13 વિદ્યાર્થીઓ બાકી રહ્યા. માર્ચ 2020 સુધીમાં આ સંખ્યા ઘટીને સાત થઈ ગઈ. અને 2020-21 ના શૈક્ષણિક વર્ષ સુધીમાં, ત્રણ વિદ્યાર્થીઓએ 7 મું ધોરણ પૂરું કર્યું અને બે વિદ્યાર્થીઓએ શાળા છોડી દીધી ત્યારે, (શાળામાં) ફક્ત બે જ (વિદ્યાર્થીઓ) રહ્યા - ઔચિત 6 ઠ્ઠા ધોરણમાં અને ગૌરી મ્હાત્રે 7 મા ધોરણમાં . ગૌરી કહે છે, "અહીં બરોબર ભણાવતા નહોતા. એટલે જ બધા છોડીને જવા લાગ્યા."


















