સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં, ઘોરામારા દ્વીપ પર કામમાં તેજી આવે છે. પુરુષો, સ્ત્રીઓ. બાળકો, અને ઢોર જલ્દીથી હોડી માંથી ઉતરીને કામે લાગી જવા આતુર છે. ભરતી આવી ત્યારે તેમણે બીજે આશ્રય લીધો હતો, મોટેભાગે સંબંધીઓના ઘરે. હવે પાણી ઉતરી ગયા હોવાથી તેઓ દ્વીપ પર પાછા આવી રહ્યા છે. હોડી કાકદ્વીપના મુખ્ય જમીન ભાગથી સુંદરવન ડેલ્ટા દ્વીપ સુધી 40 મિનીટમાં પહોંચે છે, અને મુસાફરોને લઈને મહિનામાં બે વાર આ રીતે મુસાફરી કરે છે. જો કે, આ દિનચર્યા પશ્ચિમ બંગાળના દક્ષીણ 24 પરગણા જિલ્લામાં આવેલા આ નાનકડા દ્વીપ ઘોરામારા પર, ગ્રામીણ જીવનને ટકાવી રાખવા માટેના લાંબા સંઘર્ષને વધારે કઠીન બનાવે છે.
વારંવાર આવતા ચક્રવાત, દરિયાની વધતી સપાટી, અને ધોધમાર વરસાદ - જળવાયું પરિવર્તનના આ કારણોએ ઘોરામારાના લોકોનું જીવન કઠીન બનાવી દીધું છે. દાયકાઓથી આવતા પૂર અને જમીનના ધોવાણને લીધે હુગલી નદીમુખ પર આવેલું એમનું ઘર જમીનના ટુકડા સાથે તરતું દેખાય છે.
જ્યારે મે મહિનામાં યાસ ચક્રવાત આવ્યો, ત્યારે સુંદરવનના સાગર બ્લોકમાં આવેલ ઘોરામારા સૌથી વધારે પ્રભાવિત વિસ્તારોમાંથી એક હતો. 26 મેના રોજ ચક્રવાતની સાથે ઉઠેલી ઉંચી લહેરોએ દ્વીપના બંધ તોડીને 15-20 મિનીટમાં આખો વિસ્તાર પાણીમાં ડુબાડી દીધો. આ પહેલા, બુલબુલ (2019) અને અમ્ફાન (2020) ચક્રવાતનું નુકસાન ઉઠાવનારા દ્વીપવાસીઓએ ફરીથી વિનાશનો સામનો કરવો પડ્યો. તેમના ઘરો વેરવિખેર થઇ ગયા હતા, અને ડાંગરના ભંડારો, અને સોપારી તથા સુર્યમુખીના આખા ખેતરો ધોવાઇ ગયા હતા.
ચક્રવાતના લીધે, ખાસીમારા ઘાટ નજીક આવેલું અબ્દુલ રઉફનું ઘર બરબાદ થઇ ગયું હતું. પોતાના ઘરથી 90 કિલોમીટર દૂર, કોલકાતામાં કામ કરતા દરજી રઉફ કહે છે, “ચક્રવાત આવ્યો એ વખતે ત્રણ દિવસો સુધી અમારી પાસે ખાવા માટે કંઈ નહોતું, અને અમે વરસાદના પાણી પર ગુજારો કર્યો, અને ઓઢવા માટે ફક્ત પ્લાસ્ટિકની શીટ જ હતી.” જ્યારે તેઓ અને તેમના પત્ની બીમાર પડ્યા, “ત્યારે બધા લોકોને શક થયો કે અમને કોવિડ છે.” રઉફ આગળ કહે છે, “ઘણા લોકો ગામ છોડીને જતા રહ્યા. અમારા માટે કોઈ સુરક્ષિત જગ્યાએ જવું શક્ય નહોતું, તેથી અમે ત્યાં જ રહ્યા.” જ્યારે બ્લોક વિકાસ અધિકારી (બીડીઓ) ને કહેવામાં આવ્યું, ત્યારે રઉફ અને તેમના પત્નીને મેડીકલ સહાય મળી. રઉફ કહે છે, “બીડીઓ એ અમને કોઈપણ રીતે કાકદ્વીપ પહોંચવા કહ્યું. તેમણે ત્યાંથી એક એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી હતી. અમારે [મેડીકલ દેખભાળ પર] 22,000 રૂપિયા ખર્ચ કરવા પડ્યા.” રઉફ અને એમનો પરિવાર ત્યારથી દ્વીપ પર એક આશ્રયસ્થાનમાં રહે છે.
જેમના ઘર બરબાદ થઇ ગયા હતા તેવા લોકોને કામચલાઉ આશ્રયસ્થળોએ લઇ જવામાં આવ્યા. મંદિરતલા ગામના રહેવાસીઓને દ્વીપ પર સૌથી ઉંચાણ વાળા સ્થળ મંદિરતલા બજાર પાસે ટેંક ગ્રાઉન્ડમાં આશ્રય સ્થળે રાખવામાં આવ્યા છે. એમાંથી અમુક લોકો નજીકના સાંકડા રસ્તા પર પડાવ નાખીને બેઠા છે. દ્વીપના હાટખોલા, ચુનપુરી, અને ખાસીમારા વિસ્તારના 30 પરિવારોને ઘોરામારાના દક્ષીણમાં આવેલા સાગર દ્વીપ પર કામચલાઉ આશ્રયસ્થળે રાખવામાં આવ્યા હતા. ત્યારપછી તેમને ત્યાં પુનર્વસન માટે જમીન આપવામાં આવી છે.



























