એક પુરુષ તેની સાત વર્ષની દીકરી સાથે સામુદાયિક વાર્ષિક પદયાત્રા આષાઢી વારીમાં જોડાઈ પંઢરપુર તરફ પગપાળા મુસાફરી રહ્યો છે - અષાઢી વારી એ એક એવો તહેવાર છે જેમાં રાજ્યભરમાંથી વારકરી સંપ્રદાયના હજારો લોકો ભગવાન વિઠ્ઠલના મંદિરની મુલાકાત લે છે. રસ્તામાં તેઓ લાતુરના એક ગામ મહૈસગાંવ ખાતે રાતવાસો કરવાનું નક્કી કરે છે. જેમ જેમ સાંજ ઢળતી થાય છે તેમ તેમ વાતાવરણ કીર્તનના અવાજોથી ગૂંજી ઊઠે છે.  ખંજીરી (ખંજરી) નો ઝીણો  ઝણકાર સાંભળીને આ નાની છોકરી તેને એ કાર્યક્રમમાં લઈ જવા માટે પોતાના પિતાની પાછળ પડી જાય છે.

તેના પિતાની ખાસ ઈચ્છા નથી. દીકરીને સમજાવવાનો પ્રયાસ કરતા તેઓ કહે છે, "અહીંના લોકો આપણા જેવા મહાર અને માંગને અડકતા નથી. તેઓ આપણને નકામા માને છે. તેઓ આપણને અંદર નહીં જવા દે.” પરંતુ દીકરી માનવા તૈયાર નથી. આખરે તેઓ દૂર ઉભા રહીને રજૂઆત સાંભળશે એ શરતે પિતા દીકરીની માંગને સ્વીકારે છે. ખંજરીના ઝણકારના અવાજને પગલે-પગલે તેઓ બંને પંડાલમાં પહોંચે છે. તેઓ બંને તલ્લીન થઈને મહારાજને ખંજરી વગાડીને કીર્તન કરતા જોઈ રહે છે. થોડા વખતમાં જ આ નાનકડી છોકરી અધીરી થઈ જાય છે, તેને મંચ પર જવું છે. સાવ અચાનક, કંઈ જ કહ્યા વિના, એ દોડે છે અને પોતાનું ધાર્યું કરે છે, એ મંચ પર પહોંચી જાય છે.

આ નાનકડી છોકરી મંચ પરના સંત કલાકારને કહે છે, "મારે એક ભારુડ ગાવું છે [સામાજિક જાગૃતિ માટે રચાયેલા ગીતોમાં વ્યંગ અને રમૂજનો ઉપયોગ કરતી પ્રાચીન કવિતાનું એક સ્વરૂપ]." પ્રેક્ષકો સ્તબ્ધ છે. પણ મહારાજ એ છોકરીને ગાવા દે છે. અને પછીની થોડી મિનિટો માટે એ છોકરી મંચ પર છવાઈ જાય છે, તાલ માટે ધાતુના ઘડા પર થાપ આપી છોકરી એ જ મહારાજે લખેલું અને સ્વરબદ્ધ કરેલું એક ગીત રજૂ કરે છે.

माझा रहाट गं साजनी
गावू चौघी जनी
माझ्या रहाटाचा कणा
मला चौघी जनी सुना

કૂવા પરની ગરગડી, સજની
ચાલો ગાઈએ, આપણે ચારેય સાથે મળી
આ ગરગડી ને એની ધરી,
અને આ વહુવારુ મારા ચાર દીકરાની

આ બાળ ગાયકથી પ્રભાવિત થઈને સંત કલાકાર એ છોકરીને તેમની ખંજીરી ભેટમાં આપીને કહે છે, “મારા આશીર્વાદ હંમેશા તારી સાથે છે. તું આ જગતને ઉજાળીશ."

બહુવિધ અર્થઘટન થઈ શકે એવા વ્યંગ અને રૂપકોના ઉપયોગ માટે જાણીતું પરંપરાગત ભારુડ ગાતા મીરા ઉમપનો વીડિયો જુઓ

આ વાત હતી 1975 ની. સંત કલાકાર હતા તુકાડોજી મહારાજ હતા, જેઓ ગ્રામગીતામાં સંકલિત થયેલ તેમના પદો માટે જાણીતા હતા, આ પદોમાં ગ્રામીણજીવનની વિપદાઓ અને તેમાંથી માર્ગ કાઢી આગળ વધવાની વાત હતી. આ નાની છોકરી આજે 50 વર્ષ પછી પણ તેના અભિનયથી મંચ પર છવાઈ જાય છે. નઉવારી (નવવારી) સુતરાઉ સાડીમાં સજ્જ થઈ, કપાળ પર મોટો ચાંદલો કરી, ડાબા હાથમાં દિમડી નામનું નાનકડું તાલવાદ્ય લઈને જ્યારે મીરા ઉમપ ભીમ ગીત ગાય છે, ત્યારે તેમના જમણા હાથની આંગળીઓ ખંજરીના ચામડાના પટલ પર લયબદ્ધ રીતે ઉત્સાહપૂર્વક જાણે નૃત્ય કરતી હોય એમ થાપ આપતી રહે છે; તેમના કાંડા પરની કાચની બંગડીઓનો રણકાર તેઓ જે વાદ્ય વગાડી રહ્યા છે તેની કિનાર પર બાંધેલી ધાતુની નાની નાની તકતીઓના ઝણકાર સાથે તાલ મેળવી રહે છે. વાતાવરણ જીવંત થઈ ઊઠે છે.

खातो तुपात पोळी भीमा तुझ्यामुळे
डोईवरची
गेली मोळी भीमा तुझ्यामुळे
काल
माझी माय बाजारी जाऊन
जरीची
घेती चोळी भीमा तुझ्यामुळे
साखर
दुधात टाकून काजू दुधात खातो
भिकेची
गेली झोळी भीमा तुझ्यामुळे

ઘીમાં ઝબોળીને ખાઉં હું પોળી (રોટલી), હો ભીમ તારે કારણ
ઉપાડવી ના હવે લાકડાની ભારી, હો ભીમ તારે કારણ
મા ગઈ'તી બજાર કાલ
લાવી ચોળી જરી-ભરી રૂપાળી, હો ભીમ તારે કારણ
ખાઉં કાજુ, ખાઉં દૂધે ઘોળી સાકર મીઠી
ધરી ના મેં હાથ હવે ભીખની કટોરી, હો ભીમ તારે કારણ

*****

મીરાબાઈનો જન્મ ચોક્કસ કયા દિવસે થયો હતો એની તો ખબર નથી, પરંતુ તેઓ અમને જણાવે છે કે વર્ષ 1965 હતું. તેમનો જન્મ મહારાષ્ટ્રના અંતરવાલી ગામના ગરીબ માતંગ પરિવારમાં થયો હતો. રાજ્યમાં અનુસૂચિત જાતિમાં સૂચિબદ્ધ માતંગ સમુદાયને ઐતિહાસિક રીતે 'અસ્પૃશ્ય' ગણવામાં આવે છે અને જાતિ પદાનુક્રમમાં સૌથી નીચલો દરજ્જો આપવામાં આવે છે.

તેમના પિતા વામનરાવ અને માતા રેશ્માબાઈ બીડ જિલ્લામાં ગામેગામ ફરી સુરીલા ભજન અને અભંગ ગાતા અને અનાજ, કપડાં કે પૈસા માગતા. તેઓ ‘ગુરુ ઘરાણા’ સાથે સંકળાયેલ કુટુંબમાંથી આવતા પરિવાર તરીકે સમુદાયમાં આદર પામતા હતા, 'ગુરુ ઘરાણા' એ ગાયનની કળાને જાળવતા દલિત સમુદાયના જાણકારો અને શિક્ષકોનું અત્યંત આદરણીય જૂથ છે. તેથી મીરાબાઈ ક્યારેય શાળાએ ન ગયા હોવા છતાં તેઓ તેમને પોતાના માતાપિતા પાસેથી મળેલા અભંગ, ભજન અને કીર્તનના સમૃદ્ધ ભંડારના વારસા સાથે ઉછર્યા હતા.

PHOTO • Vikas Sontate

શાહીર મીરા ઉમપ મહારાષ્ટ્રના એકમાત્ર મહિલા છે જે દિમડી અને ખંજીરી વગાડે છે. તેઓ પરંપરાગત રીતે માત્ર પુરુષો દ્વારા વગાડવામાં આવતાં વાદ્યો વગાડવામાં અદભૂત કૌશલ્ય દાખવે છે

આ દંપતીને તેમના આઠ બાળકો - પાંચ છોકરીઓ અને ત્રણ છોકરાઓ - ના પેટ ભરવાની અને તેમની સંભાળ રાખવાની ખૂબ મુશ્કેલી પડતી હતી. બાળકોમાં સૌથી મોટા મીરાબાઈ સાત વર્ષના થયા ત્યાં સુધીમાં તો તેમણે તેમના માતા-પિતા ગાતા ગાતા અનાજ, કપડાં કે પૈસા માગવા જાય ત્યારે તેમની સાથે જવાનું શરૂ કરી દીધું હતું. વામનરાવ એકતારી વગાડતા અને તેમના નાના ભાઈ ભાઉરાવ દિમડી વગાડતા. મીરાબાઈ અમને તેમના ગાયનની વાર્તા કહે છે, "મારા પિતા અને મારા કાકા બંને સાથે અનાજ, કપડાં કે પૈસા માગવા જતા હતા. એકવાર એ દિવસે સવારે જે કંઈ મળ્યું હતું એ વહેંચવાને લઈને તેમની વચ્ચે ઝઘડો થયો. અને એ ઝગડો એ હદે પહોંચ્યો કે તેઓએ અલગ થઈ જવાનું નક્કી કર્યું.

એ દિવસ પછી મીરાબાઈના કાકા બુલડાણા ગયા અને તેમના પિતાએ તેમને પોતાની સાથે લઈ જવા લાગ્યા. પિતા ગાતા અને મીરાબાઈ તેમના કોમળ અવાજમાં એ ઝીલતા, આ રીતે એઓ ઘણા ભક્તિ ગીતો શીખ્યા. તેઓ કહે છે, "મારા પિતાને હંમેશા એમ લાગતું હતું કે હું એક દિવસ ગાયક બનીશ."

પાછળથી, દાડિયા મજૂરી માટે પશુઓ ચરાવતી વખતે તેમણે દિમડી પર હાથ અજમાવવાનું શરૂ કર્યું. મીરાબાઈ કહે છે, “હું નાની હતી ત્યારે ધાતુના વાસણો એ જ  મારા વાદ્યો હતા. પાણી લાવતી વખતે, મારી આંગળીઓએ ધાતુના એક વાસણ, કળશી પર થાપ આપ્યા કરતી. એમ કરતા એ એક આદત બની ગઈ, સાચું પૂછો તો એ એક શોખ બની ગયો. હું જીવનમાં જે કંઈ શીખી છું તે આ જ રીતે શીખી છું, બીજું કામ કરતા કરતા, નહીં કે કોઈ શાળામાં જઈને."

આડોશ-પાડોશમાં નિયમિત ભજન ગાવા માટે થોડો મેળાવડો થતો અને ટૂંક સમયમાં મીરાબાઈ એ જૂથોમાં જોડાઈ અને ઘણા ભજન કરવા લાગ્યા.

राम नाही सीतेच्या तोलाचा
राम बाई हलक्या दिलाचा

રામ કંઈ આવે ના સીતાજીની તો લે
બાઈ, રામ તો પથ્થરદિલ છે બોલે

તેઓ કહે છે, "હું ક્યારેય શાળામાં નથી ગઈ પરંતુ 40 અલગ-અલગ રામાયણો મને મોઢે છે. શ્રાવણ બાળ (બાળક શ્રવણ) ની વાર્તા, મહાભારતમાંથી પાંડવોની વાર્તાઓ અને કબીરના સેંકડો દોહાઓ, આ બધું મારા મગજમાં કોતરાયેલું છે." તેઓ માને છે કે રામાયણ એ પથ્થરમાં કોતરેલી રેખીય વાર્તા નથી, પરંતુ લોકો દ્વારા તેમની સંસ્કૃતિ, તેમની જીવનદ્રષ્ટિ અને તેમના અવલોકનોને આધારે રચાયેલી છે. ઘણા સમુદાયોને સામનો કરવા પડેલા ઐતિહાસિક પડકારો અને વેઠવી પડેલી પરેશાનીઓને કારણે આ મહાકાવ્યોમાં પરિવર્તન આવ્યા છે. પાત્રો એનાએ જ રહે છે પણ વાર્તાઓના અલગ-અલગ રંગ અને અલગ-અલગ પાસાં જોવા મળે છે.

મીરાબાઈ તેને સમાજમાં તેમની પોતાની પરિસ્થિતિ અને પોતાના સ્થાનની દ્રષ્ટિએ રજૂ કરે છે. ઉચ્ચ જાતિના હિંદુઓ તેને જે રીતે રજૂ કરે છે તેનાથી એ જૂદું પડે છે. તેમના રામાયણના કેન્દ્રમાં એક દલિત મહિલા છે. રામે સીતાને વનવાસમાં એકલી શા માટે છોડી દીધી? તેમણે શમ્બૂકનો વધ શા માટે કર્યો? તેમણે વાલીનો વધ શા માટે કર્યો? તેઓ તેમની વાર્તાઓ અને મહાકાવ્યની લોકપ્રિય વાર્તાઓની તાર્કિક સમજણ રજૂ કરતી વખતે પ્રેક્ષકો સમક્ષ ઘણા સવાલો ઊઠાવે છે. તેઓ કહે છે, "હું આ વાર્તાઓ રજૂ કરવા માટે રમૂજની મદદ પણ લઉં છું."

PHOTO • Ramdas Unhale
PHOTO • Labani Jangi

ડાબે: જ્યારે તેઓ માંડ સાત વર્ષના હતા ત્યારે તેમની રજૂઆત જોઈ કવિ તુકડોજી મહારાજે તેમને ભેટમાં આપેલી ખંજીરી સાથે મીરા ઉમપ. જમણે: દિમડીનું ચિત્ર, અને મીરાબાઈ વગાડે છે એ લાકડાની રિંગ અને ચામડાના પટલથી બનેલું એક નાનકડું તાલ વાદ્ય. દિમડીથી વિપરીત ખંજરીમાં બહારની રિંગ પર વધારાની ધાતુની પ્લેટો અથવા ઘુંઘરુ બેસાડવામાં આવે છે. લોક કલાકારો દેવી-દેવતાઓની વાર્તાઓનું વર્ણન કરે છે ત્યારે તેઓ એનો ઉપયોગ કરે છે અને એ તેમની આરાધનાનો આવશ્યક ભાગ મનાય છે

સંગીતની ઊંડી સમજ અને ટેકનિક અને પ્રસ્તુતિની સારી સમજ સાથે મીરાબાઈનું સંગીત સાવ અલગ જ તરી આવે છે. વિદર્ભ અને મરાઠવાડામાં મોટી સંખ્યામાં અનુયાયીઓ ધરાવતા પ્રભાવશાળી સંત કવિ અને સુધારક તુકડોજી મહારાજના પગલા અને શૈલીને અનુસરીને મીરાબાઈએ પણ સફળતાના ઘણા શિખરો સર કર્યા છે.

તુકડોજી મહારાજ તેમના કીર્તનના કાર્યક્રમમાં ખંજીરી વગાડતા હતી. તેમના શિષ્ય સત્યપાલ ચિંચોલીકર સપ્ત-ખંજીરી વગાડે છે જેમાં સાત ખંજીરીઓ જુદા જુદા સ્વરો અને જુદા-જુદા અવાજો ઉત્પન્ન કરે છે. સાંગલીના દેવાનંદ માળી અને સાતારાના મ્હલારી ગજભરે પણ આ જ વાદ્ય વગાડતા હતા. પરંતુ મીરાબાઈ ઉમપ એક માત્ર મહિલા છે જેઓ ખંજીરી વગાડે છે અને તે પણ આટલી કુશળતાથી.

લાતુરના શાહીર રત્નાકર કુલકર્ણી, જેમણે ગીતો લખ્યા હતા અને જેઓ ડફ (ઘણીવાર શાહીરો દ્વારા ઉપયોગમાં લેવાતું એક ફ્રેમ ડ્રમ વાદ્ય) વગાડતા હતા તેમણે મીરાબાઈને ખૂબ કુશળતાથી ખંજીરી વગાડતા જોયા હતા અને તેમના મધુર અવાજની પણ નોંધ લીધી હતી. રત્નાકરે મીરાબાઈને શાહિરી (સામાજિક જાગૃતિ લાવવા માટેના ગીતો) રજૂ કરવા માટે મદદ કરવાનું અને પ્રોત્સાહિત કરવાનું નક્કી કર્યું. મીરાબાઈ 20 વર્ષના હતા ત્યારે તેમણે શાહિરી ક્ષેત્રમાં પ્રવેશ કર્યો અને બીડમાં સરકારી કાર્યક્રમોમાં રજૂઆત કરી.

તેઓ કહે છે, “મને બધા ધાર્મિક ગ્રંથો મોઢે હતા. કથા, સપ્તાહ, રામાયણ, મહાભારત, સત્યવાન અને સાવિત્રીની વાર્તા, મહાદેવના તમામ ગીતો અને વાર્તાઓ અને પુરાણો મારી જીભના ટેરવે હતા. મેં એ બધાનો પાઠ કર્યો છે, એ ગાયા છે અને રાજ્યના ખૂણે ખૂણે રજૂ કર્યા છે. પરંતુ એનાથી ક્યારેય મને પરિપૂર્ણતા અથવા સંતોષની લાગણી થઈ નહોતી. ન તો એ ગીતો સાંભળનારા લોકોને કોઈ નવો માર્ગ ચીંધ્યો હતો."

એ બુદ્ધ, ફૂલે, શાહુ, આંબેડકર, તુકડોજી મહારાજ અને ગાડગે બાબા હતા, જેમણે સામાજિક આઘાત અને બહુજન સમુદાયોની સમસ્યાઓ વિશે વાત કરી જે મીરાબાઈના હૃદયને સ્પર્શી ગઈ. મીરાબાઈ યાદ કરે છે, "વિજયકુમાર ગવઈએ મને પહેલું ભીમ ગીત શીખવ્યું હતું અને એ મેં રજૂ કરેલું વામનદાદા કરડકનું એ પહેલું ગીત હતું."

पाणी वाढ गं माय, पाणी वाढ गं
लयी नाही मागत भर माझं इवलंसं गाडगं
पाणी वाढ गं माय, पाणी वाढ गं

મને પાણી આપો, વ્હાલા, મને પાણી આપો
હું વધારે નથી માંગતી, ફક્ત મારો નાનકડો ઘડો [માટીનું વાસણ] ભરવા જેટલું આપો
મને પાણી આપો, વ્હાલા, મને પાણી આપો

“બસ એ દિવસથી મેં બધા પોથી પુરાણ [પુસ્તિકિયું જ્ઞાન] ગાવાનું બંધ કરી દીધું અને ભીમ ગીત ગાવાનું શરૂ કર્યું. 1991 થી, બાબાસાહેબ આંબેડકરની જન્મશતાબ્દીના વર્ષથી, મીરાબાઈએ પોતાની જાતને ભીમ ગીતો માટે સમર્પિત કરી દીધી, ભીમ ગીતો બાબાસાહેબ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની સાથે સાથે તેમનો સંદેશ ફેલાવે છે. શાહીર મીરાબાઈ કહે છે, "લોકોને તે ખૂબ ગમ્યું અને લોકોએ પૂરા ઉત્સાહથી એનો પ્રતિસાદ આપ્યો."

મીરા ઉમપને ભીમ ગીત ગાતા સાંભળો

શાહીર શબ્દ ફારસી શબ્દ ‘શાયર’ અથવા ‘શાઈર’ પરથી આવ્યો છે. મહારાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારોમાં શાહીરોએ શાસકોની પ્રશંસા કરતા ગીતો લખ્યા છે અને ગાયા છે જેને પોવાડા કહેવાય છે. શાહીર આત્મારામ સાળવે એ તેમની ખંજીરી સાથે, શાહીર દાદુ સાળવે એ તેમના હાર્મોનિયમ સાથે અને શાહીર કાદુબાઈ ખરાતે તેમની એકતારી સાથે ગાયેલા તેમના ગીતો દ્વારા દલિત ચેતના જગાવી છે. મીરાબાઈ તેમની દિમડી સાથે મહારાષ્ટ્રના ગણ્યાગાંઠ્યા મહિલા શાહીરો સાથે જોડાય છે. ત્યાં સુધી દિમડીને યુદ્ધનું સાધન માનવામાં આવતું હતું, જે ફક્ત પુરુષો દ્વારા વગાડવામાં આવતું હતું. મીરાબાઈએ પોતાની દિમડી સાથે આ એક વધુ પરંપરા તોડી હતી.

તેમને ગાતા અને એ વાદ્ય વગાડતા સાંભળવા એ એક લ્હાવો છે, તેઓ તેમની આંગળીઓ વડે ચપળતાપૂર્વક પટલના જુદા જુદા ભાગો પર થાપ આપી જુદા જુદા  સ્વરો ઉત્પન્ન કરે છે, અલગ-અલગ પ્રકારના ગાયન- કીર્તન, ભજન અને પોવાડા માટે જરૂરી પરિવર્તન લાવે છે. તેમનું ગાયન ધીમે ધીમે ગતિ પકડે છે; એ અવાજ, એ રજૂઆત હંમેશથી આ જમીન સાથે જોડાયેલા છે, એ બેફિકરાઈ અથવા નીડરતાની ભાવનાને પ્રતિધ્વનિત કરે છે. એ તેમનું સમર્પણ છે જે દિમડી અને ખંજીરીની કળાને આજે પણ જીવંત અને સમૃદ્ધ રાખે છે.

મહારાષ્ટ્રના ઘણા સંત કવિઓ દ્વારા ઉપયોગમાં લેવાતા લોક સ્વરૂપ ભારુડ રજૂ કરતા  ગણ્યાગાંઠ્યા મહિલા શાહીરોમાંથી મીરાબાઈ એક છે. ભારુડ  બે પ્રકારના હોય છે - ભજની ભારુડ જેમાં ધર્મ અને આધ્યાત્મિકતાની સંબંધિત વાત હોય છે, અને સોંગી ભારુડ જેમાં પુરૂષો મહિલાઓનો વેશ ધારણ કરે છે અને મંચ પર રજૂઆત કરે છે. સામાન્ય રીતે પુરુષો જ ઐતિહાસિક અને સામાજિક વિષયવસ્તુ પર તેમજ ભારુડ પર પોવાડા કરે છે. પરંતુ મીરાબાઈએ આ વિભાજનને પડકાર્યું અને એ જ જોમ અને જુસ્સા સાથે તમામ કલા સ્વરૂપો રજૂ કરવા લાગ્યા. વાસ્તવમાં તેમની રજૂઆતો બીજા પુરૂષ કલાકારો કરતાં વધુ લોકપ્રિય રહી છે.

મીરાબાઈ માટે દિમડી, ગીતો, રંગભૂમિ અને પ્રેક્ષકો માટે એક સંદેશ સાથેની રજૂઆત એ મનોરંજન કરતા ઘણું વિશેષ છે.

*****

આ દેશમાં કલા તેના સર્જકની જાતિ સાથે ગાઢ રીતે સંકળાયેલી છે અને સર્જકની જાતિના આધારે જ તેને મૂલવવામાં આવે છે. વ્યક્તિ સંગીત અને બીજી કળા સહિતની પોતાની જાતિની પરંપરાઓ શીખે છે. શું કોઈ બિન-દલિત, બિન-બહુજન આ વાદ્યો માટેના નોટેશન બનાવીને, તેને અનુસરીને, આ વાદ્યો વગાડતા શીખી શકશે? અને, જો કોઈ બહારની વ્યક્તિ દિમડી અથવા સાંબલ અથવા ઝુમ્બરુક પર પોતાનો હાથ અજમાવવા માગે તો પણ ત્યાં કોઈ પદ્ધતિસરના નિયમો નથી.

મુંબઈ યુનિવર્સિટીના સંગીત વિભાગના વિદ્યાર્થીઓ ખંજીરી અને દિમડી કેવી રીતે વગાડાય એ શીખી રહ્યા છે. જાણીતા કલાકારો કૃષ્ણા મુસળે અને વિજય ચવ્હાણે આ તાલ વાદ્યો માટે નોટેશન બનાવ્યા છે. પરંતુ યુનિવર્સિટીના લોક-કલા એકેડમીના ડિરેક્ટર ગણેશ ચંદનશિવેનો દાવો છે કે એ તેના પોતાના પડકારો સાથે આવે છે.

PHOTO • Medha Kale
PHOTO • Ramdas Unhale

ડાબે: મુંબઈ યુનિવર્સિટીના લોક-કલા એકેડમીના ડિરેક્ટર ગણેશ ચંદનશિવે. તેઓ સ્વીકારે છે કે દિમડી કે સાંબલને પોતાનું સંગીતશાસ્ત્ર નથી. તેઓ કહે છે, 'નથી એ વાદ્યો માટે કોઈએ નોટેશન્સ લખ્યા નથી કે નથી કોઈએ એને શાસ્ત્રીય વાદ્યોનો દરજ્જો આપતું એનું કોઈ "વિજ્ઞાન" સર્જ્યું." જમણે: મીરાબાઈએ આ વાદ્યોની જાણકારી તેના સંગીતનું કોઈ વિજ્ઞાન, નોટેશન અથવા બંધારણ જાણ્યા વિના જ મેળવી છે

તેઓ કહે છે, "બીજા શાસ્ત્રીય વાદ્યો જે રીતે શીખવવામાં આવે છે એ રીતે તમે દિમડી, સાંબલ કે ખંજીરી શીખવી ન શકો."  તેઓ સમજાવે છે, "એ રીતે કોઈ વ્યક્તિ ફક્ત તબલા શીખવી અથવા શીખી શકે છે કારણ કે એ વાદ્ય માટે આપણે નોટેશન્સ લખી શકીએ છીએ. દિમડી અથવા તો સાંબલ શીખવવા માટે લોકોએ એવા જ નોટેશન્સનો ઉપયોગ કરવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ આમાંથી કોઈ પણ વાદ્યનું પોતાનું સંગીતશાસ્ત્ર નથી. નથી એ વાદ્યો માટે કોઈએ નોટેશન્સ લખ્યા નથી કે નથી કોઈએ એને શાસ્ત્રીય વાદ્યોનો દરજ્જો આપતું એનું કોઈ 'વિજ્ઞાન' સર્જ્યું."

મીરાબાઈએ તેમની દિમડી અને ખંજીરી પરની નિપુણતા એ તેના સંગીતનું કોઈ વિજ્ઞાન, નોટેશન અથવા બંધારણને જાણ્યા વિના જ હાંસલ કરી છે. તેઓ એ વગાડતા શીખ્યા ત્યારે તેમને ખબર નહોતી કે એ ધા છે કે તા. પરંતુ તેમની ગતિ અને લય અને સૂરની પરિપૂર્ણતા શાસ્ત્રીય વાદ્ય વગાડતા કોઈપણ કલાકાર સાથે મેળ ખાય એવી છે. આ વાદ્ય તેમનું છે. લોક-કલા એકેડમીમાંની કોઈ પણ વ્યક્તિ મીરાબાઈની દિમડી વગાડવાની કુશળતાને ન પહોંચી શકે.

જેમ જેમ બહુજન જાતિઓ મધ્યમ વર્ગમાં આવી રહી છે તેમ તેમ તેઓ તેમની પોતાની પરંપરાગત કલા અને અભિવ્યક્તિ ગુમાવી રહ્યા છે. શિક્ષણ અને કામ માટે શહેરોમાં સ્થળાંતર કરીને તેઓ હવે તેમના પરંપરાગત વ્યવસાયો અને તેની સાથે સંબંધિત કલા સ્વરૂપોની રજૂઆતથી દૂર જઈ રહ્યા છે. આપણી સામે ઊભા થતા અનેક પ્રશ્નોના નિરાકરણ માટે, આ કલા સ્વરૂપોના મૂળ અને તેની પ્રસ્થાપિત પ્રથાના ઐતિહાસિક અને ભૌગોલિક સંદર્ભોને સમજવા, તેમનું દસ્તાવેજીકરણ કરવું અત્યંત આવશ્યક છે. દાખલા તરીકે, જાતિના સંઘર્ષ અને બીજા સંઘર્ષો તેમની અભિવ્યક્તિઓમાં પ્રતિબિંબિત થાય છે ખરા? જો હા, તો એ કયા સ્વરૂપોમાં અભિવ્યક્ત થાય છે? આ સ્વરૂપોને સૈદ્ધાંતિક રીતે જોતી વખતે યુનિવર્સિટીઓ કે શૈક્ષણિક સંસ્થાઓ આવી કોઈ દ્રષ્ટિ રાખતા નથી.

દરેક જાતિની એક વિશિષ્ટ લોક કલા હોય છે અને તેથી તેની વિવિધતા જબરજસ્ત છે. આ પ્રકારના ખજાનાઓ અને પરંપરાઓનો અભ્યાસ કરવા અને તેને સંગ્રહિત કરવા માટે સમર્પિત સંશોધન કેન્દ્રની ખરેખર જરૂર છે. જો કે, કોઈપણ બિન-બ્રાહ્મણવાદી ચળવળની કાર્યસૂચિમાં આ નથી. પરંતુ મીરાબાઈ આ પરિસ્થિતિ બદલવા માગે છે. તેઓ કહે છે, "હું એક સંસ્થા શરૂ કરવા માગુ છું જ્યાં યુવાનો ખંજીરી, એકતારી અને ઢોલકી શીખી શકે."

આ માટે તેમને સરકાર તરફથી કોઈ જ પ્રકારની મદદ મળી નથી. શું તેમણે સરકારને ઔપચારિક રૂપે કોઈ અરજી કરી છે? તેઓ જવાબ વાળે છે, "મને ક્યાં લખતા-વાંચતા આવડે છે? જ્યારે પણ અને જ્યાં પણ હું કોઈ કાર્યક્રમ માટે જાઉં છું ત્યારે ત્યાં જો કોઈ સરકારી અધિકારી હોય તો હું તેમને અનુરોધ કરું છું, મને આ સપનું સાકાર કરવામાં મદદ કરવા વિનંતી કરું છું. પરંતુ શું તમને લાગે છે કે સરકાર ગરીબ લોકોની આ કળાને કોઈ મહત્ત્વ આપે છે ખરી?”

PHOTO • Labani Jangi
PHOTO • Labani Jangi

ડફ, પોવાડા (વિજય ગીતો) રજૂ કરતા શાહીરો દ્વારા ઉપયોગમાં લેવાતું એક તાલ વાદ્ય અને તુણતુણે, ગોંધળી (સમુદાય) દ્વારા 'ભવાની આઈ' (તુળજાભવાની) ના આશીર્વાદ મેળવવા માટે વપરાતું એકતારી વાદ્ય. જમણે: કિંગરી ડક્કલવાર સમુદાયે બનાવ્યું છે, કિંગરી એ માટીના અનુનાદક બોક્સ સાથેનું એકતારી વાદ્ય છે, આ અનુનાદક બોક્સમાંથી તેના હાથાની એક લાકડી પસાર કરવામાં આવે છે. બીજા એક પ્રકારની કિંગરીમાં તેના સૂર મેળવવા અને તેને વગાડવા માટે ત્રણ અનુનાદક અને લાકડાનો મોર હોય છે

PHOTO • Labani Jangi
PHOTO • Labani Jangi

ડાબે: સાંબલનો ઉપયોગ દેવીઓની પૂજામાં કરવામાં આવતી ધાર્મિક વિધિ, ગોંધળમાં થાય છે. આ વાદ્યમાં લાકડાના બે ડ્રમ્સ હોય છે જે એક બાજુ પરથી જોડાયેલા હોય છે, બંને ડ્રમની ઉપર ચામડાનું પટલ હોય છે. આ વાદ્ય બે લાકડીઓ વડે વગાડવામાં આવે છે, જેમાં એક લાકડી વળાંકવાળી હોય છે. ગોંધળી સમુદાયના લોકો આ વાદ્ય વગાડે છે. જમણે: હલગી એ માંગ સમુદાયના પુરુષો દ્વારા તહેવારો, લગ્નના વરઘોડા અને મંદિરો અને દરગાહમાં બીજી ધાર્મિક વિધિઓ દરમિયાન વગાડવામાં આવતું લાકડાની ગોળ ફ્રેમવાળું ડ્રમ છે

*****

જોકે સરકારે મીરાબાઈને આમંત્રણ આપ્યું હતું. મીરાબાઈની શાહિરી અને ગાયકીએ વિશાળ શ્રોતાગણને અસરકારક રીતે મંત્રમુગ્ધ કરવા માંડ્યા ત્યારે મહારાષ્ટ્ર સરકારે તેમને રાજ્ય દ્વારા હાથ ધરવામાં આવેલા ઘણા જાગૃતિ કાર્યક્રમો અને અભિયાનોમાં યોગદાન આપવા કહ્યું હતું.  એ પછી થોડા જ સમયમાં રાજ્યના  ખૂણેખૂણે મુસાફરી કરીને તેમણે આરોગ્ય, વ્યસન મુક્તિ, દહેજ-પ્રતિબંધ અને દારૂ-બંધીના મુદ્દાઓ પર લોક સંગીતના ઘટકો સાથે નાના-નાના વ્યંગ નાટકો રજૂ કર્યા.

बाई दारुड्या भेटलाय नवरा
माझं नशीब फुटलंय गं
चोळी अंगात नाही माझ्या
लुगडं फाटलंय गं

મારો ધણી રહ્યો વ્યસની
આ જો મારી ફૂટી કરણી
ના રહી પહેરવાને ચોળી
ચિથરેહાલ છે સાડી ઓઢી

વ્યસન મુક્તિ અંગેના તેમના જાગૃતિ કાર્યક્રમો માટે તેમને મહારાષ્ટ્ર સરકાર તરફથી વ્યસનમુક્તિ સેવા પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. તેમને ઓલ ઈન્ડિયા રેડિયો અને દૂરદર્શન દ્વારા કાર્યક્રમ રજૂ કરવા માટે પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું.

*****

પરંતુ આટલા બધા સારા કામ કરવા છતાં મીરાબાઈનું જીવન કઠિન રહ્યું છે. તેઓ તેમની તાજેતરની કમનસીબીની વાત કહે છે, "હું બેઘર બની ગઈ હતી અને મને મદદ કરવાવાળું કોઈ નહોતું. લોકડાઉન [2020] દરમિયાન મારા ઘરમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી. અમે એટલા ગભરાઈ ગયા હતા કે એ ઘર વેચી કાઢવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો. અમે રસ્તા પર આવી ગયા હતા.  તેઓ જેમાં અમે બેઠા છીએ એ પતરાની દિવાલો અને છતવાળા તેમના નવા ઘરનો ઉલ્લેખ કરતા કહે છે, " ઘણા આંબેડકરવાદી અનુયાયીઓએ મને આ ઘર બનાવવામાં મદદ કરી."

PHOTO • Ramdas Unhale
PHOTO • Ramdas Unhale

એક લોક કલાકાર અને ખૂબ પ્રશસ્તિ અને અનેક પુરસ્કારો મેળવનાર કલાકાર શાહીર મીરા ઉમપ સંઘર્ષભર્યું જીવન જીવે છે. અહીં છત્રપતિ સંભાજી નગરના ચિકલથાણામાં આવેલા તેમના પતરાથી બનેલા નાનકડા ઘરની તસવીરો છે

અન્નાભાઉ સાઠે, બાલ ગાંધર્વ અને લક્ષ્મીબાઈ કોલ્હાપુરકર જેવા અનેક દિગ્ગજ કલાકારોની યાદમાં અપાતા અનેક પ્રતિષ્ઠિત પુરસ્કારોથી સન્માનિત થયેલા કલાકારની આ હાલત છે. મહારાષ્ટ્ર સરકારે તેમના સાંસ્કૃતિક યોગદાન માટે રાજ્ય પુરસ્કારથી પણ તેમનું સન્માન કર્યું હતું. આ પુરસ્કારો એક સમયે તેમના ઘરની દિવાલોને શોભાવતા હતા.

મીરાબાઈ આંસુભરી આંખે કહે છે, "સાચું કહું? આ પુરસ્કારો ફક્ત તમારી આંખોને ખુશ કરે છે. એ  જોઈને કોઈનું પેટ ભરાતું નથી. કોરોના દરમિયાન અમે ભૂખે મરતા હતા. એ વિકટ સમયમાં નાઈલાજે મારે એક ટંક પેટ ભરવા રાંધવા માટેના લાકડા તરીકે એ પુરસ્કારોનો ઉપયોગ કરવો પડ્યો હતો. આ પુરસ્કારો કરતાં ભૂખનું જોર વધુ છે."

પોતાની કદર થાય કે ન થાય, માનવતા, પ્રેમ અને કરુણાનો સંદેશ ફેલાવવા માટે મીરાબાઈ અતૂટ ભક્તિભાવપૂર્વક સુપ્રસિદ્ધ સુધારકોના માર્ગે ચાલીને.પોતાની કળાને આગળ ધપાવે છે. તેઓ પોતાની કલા અને તેની રજૂઆતનો ઉપયોગ સાંપ્રદાયિક અને વિભાજનકારી આગને ઓલવવા માટે કરી રહી છે. તેઓ કહે છે, "હું મારી કળા વેચવા માગતી નથી. સંભાળલી તર તી કલા આહે, નાહિ તર બલા છે [જો તેને માન આપીએ તો એ કળા છે. નહીં તો, તે એક અભિશાપ છે].

મેં મારી કળાને તેની પ્રતિષ્ઠા ગુમાવવા દીધી નથી. છેલ્લા 40 વર્ષથી આ દેશના ખૂણેખૂણે  ફરીને મેં કબીર, તુકારામ, તુકડોજી મહારાજ અને ફુલે-આંબેડકરનો સંદેશ ફેલાવ્યો છે. હું તેમના ગીતો ગાતી રહી છું અને મારી રજૂઆત દ્વારા તેમનો વારસો જીવંત રહે છે.

“હું મારા છેલ્લા શ્વાસ સુધી ભીમ ગીત ગાતી રહીશ. એ જ મારા જીવનનો અંત હશે અને એ જ મને અપાર સંતોષ આપે છે.”

ગુજરાતી અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક

આ વીડિયો ‘ઈન્ફ્લુન્શિયલ શાહિર્સ, નેરેટિવ્સ ફ્રોમ મરાઠવાડા’ નામના સંગ્રહનો એક ભાગ છે, આ યોજના ઈન્ડિયા ફાઉન્ડેશન ફોર ધ આર્ટસ દ્વારા તેમના આર્કાઈવ્સ એન્ડ મ્યુઝિયમ્સ પ્રોગ્રામ હેઠળ પીપલ્સ આર્કાઈવ ઓફ રુરલ ઈન્ડિયાના સહયોગથી અમલમાં મૂકવામાં આવી છે. ગોથે-ઇન્સ્ટીટ્યુટ/મેક્સ મુલર ભવન નવી દિલ્હીના આંશિક સહયોગથી આ શક્ય બન્યું છે.

Keshav Waghmare

Keshav Waghmare is a writer and researcher based in Pune, Maharashtra. He is a founder member of the Dalit Adivasi Adhikar Andolan (DAAA), formed in 2012, and has been documenting the Marathwada communities for several years.

Other stories by Keshav Waghmare
Editor : Medha Kale

Medha Kale is based in Pune and has worked in the field of women and health. She is the Translations Editor, Marathi, at the People’s Archive of Rural India.

Other stories by Medha Kale
Editor : Pratishtha Pandya

Pratishtha Pandya is a Senior Editor at PARI where she leads PARI's creative writing section. She is also a member of the PARIBhasha team and translates and edits stories in Gujarati. Pratishtha is a published poet working in Gujarati and English.

Other stories by Pratishtha Pandya
Illustrations : Labani Jangi

Labani Jangi is a 2020 PARI Fellow, and a self-taught painter based in West Bengal's Nadia district. She is working towards a PhD on labour migrations at the Centre for Studies in Social Sciences, Kolkata.

Other stories by Labani Jangi
Translator : Maitreyi Yajnik

Maitreyi Yajnik is associated with All India Radio External Department Gujarati Section as a Casual News Reader/Translator. She is also associated with SPARROW (Sound and Picture Archives for Research on Women) as a Project Co-ordinator.

Other stories by Maitreyi Yajnik