લગભગ ૩૦૦૦ વર્ષ સુધી બ્લડ લેટિંગ (વૈદ્યકીય ઉપચાર તરીકે શરીરમાંથી લોહી કાઢવું) સામાન્ય તબીબી ઈલાજ હતો.

તેની શરૂઆત હિપ્પોક્રેટસ દ્વારા થઇ હતી અને પછી તે મધ્ય સદીમાં યુરોપમાં પ્રચલિત બની ગઈ હતી: તેનો ઉદ્ભવ એ વિચાર પર થયો હતો કે શરીરમાંના ચાર રસો લોહી, કફ, કાળો પિત્ત અને પીળા પિત્ત વચ્ચેનું અસંતુલન બીમારીમાં પરિણમે છે. હિપ્પોક્રેટસના લગભગ ૫૦૦ વર્ષ પછી ગેલને આ પૈકી લોહીને સૌથી મહત્વનો પદાર્થ ગણાવ્યો. શસ્ત્રક્રિયા એમજ અંધશ્રદ્ધાથી દોરવાયેલા આ અને આવાં બીજા અનેક વિચારો બ્લડ લેટિંગ માટે જવાબદાર હતાં, જેમાં દર્દીને બચાવવા માટે ખરાબ લોહીને વહેવા દેવામાં આવતું હતું.

બ્લડ લેટિંગ  માટે જળોનો ઉપયોગ કરવામાં આવતો હતો, જેમાં ઔષધીય જળો હિરુડો મેડીસીનાલીસનો પણ સમાવેશ થાય છે. આપણને જાણ નથી કે આ સારવારના ૩૦૦૦ વર્ષ દરમિયાન કેટલાં લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો, કેટલાં લોકો લાશોમાં ફેરવાઈ ગયા અને કેટલાં લોકો તેમના તબીબની બ્લડ લેટિંગની માન્યતાઓને કારણે લોહી વહેવડાવતા મોતને ભેટી ગયા. પણ આપણે એ જાણીએ છીએ કે ઈંગ્લેંડના રાજા  ચાર્લ્સ દ્વિતીયનું મૃત્યું થયું એ પહેલાં તેમના શરીરમાંથી ૨૪ ઔન્સ (૬૮૦ ગ્રામ) લોહી કાઢી લેવામાં આવ્યું હતું. જ્યોર્જ વોશિંગ્ટનના ત્રણ ડૉકટરોએ તેમને ગળાના ચેપનો ઇલાજ કરવા માટે (તેમની પોતાની વિનંતી પર) પુષ્કળ પ્રમાણમાં લોહી કાઢ્યું હતું – જેનાં થોડા સમય બાદ તેમનું મોત નીપજ્યું હતું.

કોવીડ-૧૯ એ આપણને નિયો-લિબરલિઝમ (નવા-ઉદારતાવાદ)નું કે ખરા અર્થમાં મૂડીવાદનું સંપૂર્ણ અને ઊંડાણમાં શબપરીક્ષણ કરી આપ્યું છે. લાશ ટેબલ પર પડેલી છે, ધોળા અજવાળામાં, દરેક નસ, ધમની, અવયવ અને હાડકાં આપણી સામે તાકી રહ્યાં છે. તમે તમામ જળોને જોઈ શકો છો --- પ્રાઈવેટાઇઝેશન, કોર્પોરેટ વૈશ્વિકતા, પૈસાનું એક જગ્યાએ વધુ પડતું જમા થવું, જીવંત સ્મૃતિમાં ન જોઈ હોય એવી અસમાનતા વગેરે. સામાજિક અને આર્થિક બિમારીઓ તરફના બ્લડ લેટિંગના અભિગમે સમાજના કામદાર વર્ગના લોકોના ઉચિત અને આદરભર્યા માનવીય જીવનના મૂળભૂત અધિકારોથી વંચિત રાખ્યા છે.

આ ૩૦૦૦ વર્ષ જૂની તબીબી પ્રથા ૧૯મી સદીમાં યુરોપમાં ચરમ સીમાએ હતી. તેની બદનામી ૧૯મી સદીના અંતમાં અને ૨૦મી સદીમાં થઈ, પરંતુ આ વિચારધારા અને પ્રથા અર્થશાસ્ત્ર, ફિલોસોફી, વ્યવસાય અને સમાજ જેવી શાખાઓમાં હજુ પણ પ્રચલિત છે.

PHOTO • M. Palani Kumar

હવે માનવતાના ભાવિ વિશેની કોઈપણ ચર્ચામાં અસમાનતા કેન્દ્રસ્થાને છે

આપણી આસપાસનાં સામાજિક અને આર્થિક ડૉક્ટરો તેમની આગળ પડેલી લાશનું મધ્યયુગના યુરોપના ડોકટરોની જેમ જ વિશ્લેષણ કરે છે. એલેક્ઝાન્ડર કોકબર્નના કહેવા મુજબ, જયારે મધ્ય યુગના તબીબો તેમના દર્દીનો જીવ ખોઈ બેસતા ત્યારે તેઓ નિરાશાથી માથું હલાવી કહેતાં કે: “આપણે તેમનું વધુ લોહી વહેવા ન દીધું.” દાયકાઓથી વિશ્વ બેંક અને આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ કકળીને કહી રહયાં છે તેમ તેમની આઘાત અને દહેશત ની રીતથી લાવેલી  સ્ટ્રક્ચરલ એડજેસ્ટમેન્ટની નીતિઓને કારણે થયેલું પારાવાર નુકશાન, અમુકવાર નરસંહાર નજીકની પરિસ્થિતિ, એટલા માટે નથી કે તેમના સુધારાઓ પર વધુ પડતો અમલ કરવામાં આવ્યો, પરંતુ એટલા માટે છે કારણ તેમના સુધારાઓ પર જોઈએ એટલો અમલ કરવામાં ન આવ્યો. કે પછી એમ કહી શકાય કે ધમાલખોર અને અજ્ઞાની લોકોએ તેમના પર અમલ ન થવા દીધો.

અસમાનતા, વિચારસરાણીઘેલા લોકોની દલીલ મુજબ, એટલી ઘૃણાજનક વસ્તુ નહોતી. તે સ્પર્ધાત્મકતા અને વ્યક્તિગત પહેલને પ્રોત્સાહન આપે છે. માટે આપણને આની વધારે જરૂર છે.

અસમાનતા હવે માનવતાના ભાવિ વિશેની કોઈપણ ચર્ચામાં કેન્દ્રસ્થાને રહેશે અને નેતાઓ આ જાણે છે.

૨૦ વર્ષથી તેઓ બણગાં  ફૂંકી રહ્યાં  છે કે અસમાનતાને માનવજાતિના પ્રશ્નો સાથે કોઈ લેવાદેવા નથી. આ મિલેનિયમની શરૂઆતમાં, બ્રુકિંગ્સ સંસ્થાએ અસમાનતા અંગેની આ નબળી ચર્ચા સામે ચેતવણી આપી હતી. કોવીડ-૧૯ એ દુનિયાને પોતાની બાનમાં લીધી એના ૯૦ દિવસ પૂર્વે નિયો-લિબરલિઝમમાં જેને ઓરેકલ ઓફ ડેલ્ફી તરીકે માનવામાં આવે છે તેવાં ઇકોનોમીસ્ટ મેગેઝીને તેમની સામે પડ્યા બલિના મરઘાંનું પેટ ચીરી હાથ ધરેલી તપાસ કરતા હોય એમ આવી વેધક કવર સ્ટોરી ચલાવી હતી:

અસામનતાની ભ્રમણાઓ : શા કારણે સંપત્તિ અને આવકના તફાવતો દેખાય છે તેવા નથી.

આ શબ્દો ટારઝનના “હુ ગ્રેઇઝ્ડ ધ ગ્રેપ વાઈન?” પછીના સૌથી પ્રખ્યાત શબ્દો બની શકે છે.

ત્યારબાદ તેઓ આવક અને સંપત્તિને લગતાં અમુક આંકડાઓનો ખુરદો કરે છે , તેમનાં સ્ત્રોતોને બદનામ કરવાનો પ્રયત્ન કરે છે અને કહે છે કે આવી હાસ્યાસ્પદ માન્યતાઓ “ધ્રુવીકરણ, ફેક ન્યુઝ અને સોશિયલ મીડિયાની દુનિયામાં પણ” પ્રસરે છે.

કોવિડ-૧૯ એ નિયો-લિબરલિઝમના ભૂવાઓનો પર્દાફાશ કર્યો છે અને આપણને અધિકૃત શબપરીક્ષણ કરી આપ્યું છે. તેમ છતાં કોર્પોરેટ મિડિયાના એ પુરવાર કરવાના પ્રયત્નો કે છેલ્લા ૩ મહિનાના વિનાશને મૂડીવાદથી કોઈ લેવાદેવા નથી તે સાબિત કરે છે કે ભૂવાઓની વિચારધારા હજુપણ વર્ચસ્વ ધરાવે છે.

આપણે મહામારી અને માનવજાતિના શક્યતઃ અંત વિષે ચર્ચા કરવા કેટલાં તૈયાર છીએ. આપણે નિયો-લિબરલિઝમ અને મૂડીવાદના અંત વિષે ચર્ચા કરવા કેટલી આનાકાની કરીએ છીએ.

શોધ ચાલુ છે: આપણે કેટલી ઝડપથી સમસ્યા દૂર કરીને “નોર્મલ તરફ પાછા ફરી શકીએ છીએ”. એની. પરંતુ, સમસ્યા નોર્મલ તરફ પાછા ફરવાની નહોતી. નોર્મલ જ સમસ્યારૂપ હતું. (શંકિત ભદ્ર સમાજના શાસકો ‘ન્યૂ નોર્મલ’ શબ્દ વિષે વારંવાર ચર્ચા કરી રહ્યા છે.)

નોર્મલ જ સમસ્યારૂપ હતું. (શંકિત ભદ્ર સમાજના શાસકો ‘ન્યૂ નોર્મલ’ શબ્દ વિષે વારંવાર ચર્ચા કરી રહ્યા છે.)

Two roads to the moon? One a superhighway for the super-rich, another a dirt track service lane for the migrants who will trudge there to serve them
PHOTO • Satyaprakash Pandey
Two roads to the moon? One a superhighway for the super-rich, another a dirt track service lane for the migrants who will trudge there to serve them
PHOTO • Sudarshan Sakharkar

ચંદ્ર તરફનાં બે રસ્તા? ધનાઢ્ય માટે એક સુપરહાઇવે અને સ્થળાંતરિત શ્રમિકો માટે માટીનો સર્વિસ લેન કે જેમાં તેઓ ઘસડાતા ઘસડાતા તેમની સેવા કરવાં પહોંચશે

કોવિડ પહેલાનું નોર્મલ: જાન્યુઆરી ૨૦૨૦માં, ઓક્સફાર્મ દ્વારા આપણને જાણવા મળ્યું કે દુનિયાનાં ૨૨ સૌથી ધનવાન વ્યક્તિઓ પાસે આફ્રિકાની તમામ સ્ત્રીઓ કરતાં વધુ સંપત્તિ છે.

કે વિશ્વના ૨૧૫૩ અબજોપતિઓ આ ગ્રહની ૬૦ ટકા વસ્તી કરતા વધારે સંપત્તિ ધરાવે છે.

ન્યૂ નોર્મલ: વોશિંગ્ટન ડીસીની ઇન્સ્ટીટયુટ ઓફ પોલીસી સ્ટડીઝ આપણને બતાવે છે કે અમેરિકી અબજોપતિઓએ તેમની પાસે ૧૯૯૦માં જેટલી સંપત્તિ (૨૪૦ અબજ ડોલર) હતી એના કરતાં વધુ સંપત્તિ (૨૮૨ અબજ ડોલર) ફક્ત મહામારીના ત્રણ અઠવાડિયામાં જ એકઠી કરી લીધી.

એવું નોર્મલ કે જ્યાં અબજો લોકો ખોરાકથી છલકાતા વિશ્વમાં ભૂખમરામાં રહેતા હતા. એક તરફ ભારતમાં ૨૨ જુલાઈ સુધી ૯૧ મિલિયન ટન અનાજ બફર સ્ટોક્સમાં એટલે કે વધારાનું સરકાર પાસે પડી રહ્યું તો બીજી તરફ ભારત દુનિયાની સૌથી વધારે ભૂખ્યા લોકોની આબાદી ધરાવતો  દેશ રહ્યો. ન્યૂ નોર્મલ? સરકાર તે અનાજમાંથી ખૂબ ઓછાં અનાજનું વિતરણ કરે છે, પણ મોટા જથ્થાઓમાં ડાંગરનું  ઇથેનોલમાં રૂપાંતર કરી હેન્ડ સેનીટાઈઝર બનાવવા માટે મંજૂરી આપે છે.

પ્રોફેસર જીન ડ્રેઝે ૨૦૦૧માં જૂના નોર્મલનો ખૂબ સરસ નિષ્કર્ષ કાઢ્યો હતો કે જયારે આપણી પાસે લગભગ વધારાનું ૫૦ મિલિયન ટન અનાજ ગોડાઉનમાં પડી રહ્યું હતું: જો આપણા અનાજના કોથળાઓને  “એક હરોળમાં ગોઠવવામાં આવ્યા હોત તો તે લાખો કિલોમીટર સુધી ફેલાતા  – જેની લંબાઈ પૃથ્વીથી ચંદ્રના અંતરથી બમણા કરતાં પણ વધુ થાય.” ન્યૂ નોર્મલ – જૂન મહિનાની શરૂઆતમાં એ આંકડો ૧૦૪ મિલિયન ટન સુધી પહોંચી ગયો. ચંદ્ર તરફના બે રસ્તા? ધનાઢ્ય માટે એક સુપરહાઇવે અને સ્થળાંતરિત શ્રમિકો માટે માટી સર્વિસ લેન કે જેમાં તેઓ ઘસડાતા ઘસડાતા તેમની સેવા કરવાં પહોંચશે.

નોર્મલ એ હતું કે જેમાં ભારતમાં ૧૯૯૧થી ૨૦૧૧ વચ્ચેના ૨૦ વર્ષો દરમ્યાન  દર ૨૪ કલાકે લગભગ ૨૦૦૦ પૂર્ણકાલીન ખેડૂતો પોતાનો પૂર્ણકાલીન ખેડૂત હોવાનો દરજ્જો ગુમાવતા હતાં.  બીજા શબ્દોમાં કહીએ તો, દેશમાં પૂર્ણ રીતે ખેતી કરતાં ખેડૂતોની સંખ્યામાં ૧૫ મિલિયનનો ઘટાડો થયો હતો.

વિશેષમાં: રાષ્ટ્રીય ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરોના આંકડાઓ (આ  ખૂબ  મોટું અધોમૂલ્યન હોઈ શકે છે) અનુસાર ૧૯૯૫ થી ૨૦૧૮ વચ્ચે ૩,૧૫,૦૦૦ ખેડૂતોએ પોતાનો જીવ લીધો હતો. લાખો લોકો ક્યાંતો ખેતમજૂર બની ગયા ક્યાંતો ખેતીને લગતા અન્ય વ્યવસાયો પણ ડૂબી જતા નોકરીની શોધમાં પોતાનું ગામ છોડીને ચાલ્યાં ગયા.
The ‘normal’ was an India where full-time farmers fell out of that status at the rate of 2,000 every 24 hours, for 20 years between 1991 and 2011. Where at least 315,000 farmers took their own lives between 1995 and 2018
PHOTO • P. Sainath
The ‘normal’ was an India where full-time farmers fell out of that status at the rate of 2,000 every 24 hours, for 20 years between 1991 and 2011. Where at least 315,000 farmers took their own lives between 1995 and 2018
PHOTO • P. Sainath

નોર્મલ એ હતું કે જેમાં ભારતમાં ૧૯૯૧થી ૨૦૧૧ વચ્ચેના ૨૦ વર્ષો દરમ્યાન  દર ૨૪ કલાકે લગભગ ૨૦૦૦ પૂર્ણકાલીન ખેડૂતો પોતાનો પૂર્ણકાલીન ખેડૂત હોવાનો દરજ્જો ગુમાવતા હતાં. અને ૧૯૯૫ થી ૨૦૧૮ વચ્ચે ૩,૧૫,૦૦૦ ખેડૂતોએ આત્મહત્યા કરી હતી

ન્યૂ નોર્મલ: ૧.૩ અબજ લોકોની વસ્તીવાળા દેશને પ્રધાનમંત્રી દ્વારા સંપૂર્ણ લોકડાઉન કરવાના ૪ કલાક પહેલાં સૂચના આપતા લાખો કરોડો સ્થળાંતરિત મજૂરો શહેરો અને નગરોમાંથી પોતાનાં ગામોમાં પરત ફર્યા. ઘણાઓને એમની ગણતરી પ્રમાણે જ્યાં તેમના જીવવાની સૌથી વધુ  સંભાવનાઓ હતી એવા એમના ગામ સુધી પહોંચવા હજારો કિલોમીટરની મુસાફરી કરવી પડી હતી. તેમણે મે મહિના નાની ૪૩-૪૭ ડીગ્રી સેલ્સિયસ કાળઝાળ ગરમીમાં ઢસડાવું પડ્યું.

ન્યૂ નોર્મલ એ છે કે આપણા દ્વારા છેલ્લાં ત્રણ દાયકાઓમાં નાશ કરેલી આજીવિકાની શોધમાં ઘણા લાખો લોકો પાછા ફરે છે.

ફક્ત મે મહિનામાં, લોકડાઉનના એક મહિના બાદ અને સરકારની ઘણી આનાકાની બાદ ગોઠવવામાં આવેલી ટ્રેનમાં લગભગ ૧૦ મિલિયન લોકો પરત ફર્યા હતા. સરકારી માલિકીની ટ્રેનમાં પરત ફરી રહેલાં નિરાધાર અને ભૂખે મરતાં સ્થળાંતરિત મજૂરો પૂરું ભાડું વસુલવામાં આવ્યું હતું.

આરોગ્ય કાળજીના ક્ષેત્રનું મોટાપાયે ખાનગીકરણ નોર્મલ હતું. જેના કારણે મોંઘી થતી આરોગ્ય સેવાઓ અને તબીબી ખર્ચા અમેરિકામાં મોટી સંખ્યામાં જાહેર થયેલ વ્યક્તિગત નાદારીનું કારણ હતું.  ભારતમાં, આ દાયકામાં એક જ વર્ષમાં આરોગ્ય પરના ખર્ચને કારણે ૫૫ મિલિયન લોકો ગરીબી રેખાની નીચે સરકી ગયા.

ન્યૂ નોર્મલ: આરોગ્ય ક્ષેત્રમાં હજુ પણ વધુ કોર્પોરેટનો કાબુ. અને ભારત જેવા દેશમાં ખાનગી હોસ્પિટલો દ્વારા નફાખોરી. જેમાં બીજી વસ્તુઓની સાથે સાથે કોવિડ ટેસ્ટમાંથી પૈસા બનાવવાનો પણ સમાવેશ થાય છે. જયારે સ્પેન અને આયર્લેન્ડ જેવાં કેટલાક મૂડીવાદી દેશો બધી ખાનગી આરોગ્ય સેવાઓનું રાષ્ટ્રીયકરણ કરી રહયાં છે ત્યારે આપણે વધુ ખાનગીકરણ તરફ જઈ રહ્યાં છીએ. ૧૯૯૦ના દાયકાની શરૂઆતમાં સ્વીડને બેંકોને રાષ્ટ્રીયકૃત કરી, જાહેર સ્ત્રોતોથી તેમની કાળજી લઇ તેમને પગભેર કરીને ખાનગી માલિકીમાં પરત કરી દેવામાં આવી. સ્પેન અને આયર્લેન્ડ પણ આરોગ્ય ક્ષેત્ર સાથે લગભગ આવું જ કરશે

નોર્મલ હતું વ્યક્તિઓ અને રાષ્ટ્રનું વધતું અને વધતું દેવું. હવે અંદાજો લગાવો ન્યૂ નોર્મલ કેવું હશે?

Left: Domestic violence was always ‘normal’ in millions of Indian households. Such violence has risen but is even more severely under-reported in lockdown conditions. Right: The normal was a media industry that fr decades didn’t give a damn for the migrants whose movements they were mesmerised by after March 25
PHOTO • Jigyasa Mishra
Left: Domestic violence was always ‘normal’ in millions of Indian households. Such violence has risen but is even more severely under-reported in lockdown conditions. Right: The normal was a media industry that fr decades didn’t give a damn for the migrants whose movements they were mesmerised by after March 25
PHOTO • Sudarshan Sakharkar

ડાબે: લાખો ભારતીય ઘરોમાં ઘરેલું હિંસા હંમેશાં ‘નોર્મલ’ જ કહેવાતી હતી. આવા ઘરેલુ હિંસાના બનાવો વધ્યા છે. પરંતુ, લોકડાઉનને કારણે અહેવાલ ઓછા નોંધાય છે. જમણે: ન્યૂ નોર્મલમાં રૂપિયા બે ટ્રિલિયનનું કુલ કદ ધરાવતો (ન્યૂઝ અને એન્ટરટેનમેન્ટ) મિડિયાઉદ્યોગ ૨૫મી માર્ચ પછી એ સ્થળાંતરિત લોકોથી મોહિત અને ચકિત્ હતો

ઘણી રીતે, ભારતમાં ન્યૂ નોર્મલ એ જૂના નોર્મલ જેવું જ હશે. રોજીંદા જીવનમાં, આપણે એ રીતે વર્તીએ છીએ કે આ ગરીબો જ વાયરસના સ્ત્રોત અને વાહકો છે, નહીં કે એ લોકો જેઓ વિમાનમાં આમતેમ ફરે છે અને જેમણે બે દાયકાઓ પહેલા સંક્રામક રોગોના વૈશ્વીકરણનો ચીલો પડ્યો હતો.

લાખો ભારતીય ઘરોમાં ઘરેલું હિંસા હંમેશાં ‘નોર્મલ’ જ કહેવાતી હતી.

ન્યૂ નોર્મલ? કેટલાક રાજ્યોમાં પુરૂષ પોલીસ વડા પણ હવે ઘરેલુ હિંસા વધ્યા હોવાની દહેશત વ્યક્ત કરી રહ્યા છે.  અત્યારે અગાઉ કરતા વધુ ગંભીર બનાવો હોવા છતાંય અહેવાલ ઓછા નોંધાય છે , કારણ કે લોકડાઉનને કારણે "હિંસા કરનાર હવે [વધારે સમય] ઘરે રહે છે."

નવી દિલ્હી માટે નોર્મલ બાબત એ હતી કે તેણે ઘણા સમય પહેલા વિશ્વની સૌથી પ્રદૂષિત રાજધાની બનવાની હોડમાં બેઇજિંગને હરાવી દીધું હતું. આપણી હાલની કટોકટીનું એક સુખદ પરિણામ એ છે કે દિલ્હી પરનું આકાશ ઘણા દાયકાઓ કરતાં વધુ સ્વચ્છ છે, કારણકે સૌથી વધુ ઝેરી અને જોખમી ઔદ્યોગિક પ્રવૃત્તિઓ અટકી ગઈ છે.

ન્યૂ નોર્મલ: ચોખ્ખી હવા માટેનો ઘોંઘાટ બંધ કરો. મહામારી વચ્ચે આપણી સરકારનું સૌથી મોટું પગલું દેશના કોલસા બ્લોક્સની હરાજી અને તેનું ખાનગીકરણ કરવાની હતી, જેથી તેનાં ઉત્પાદનમાં મોટાપાયે વધારો થઇ શકે.

જાહેર અથવા રાજકીય ચર્ચાઓમાં વાતાવરણના પરિવર્તનો (ક્લાઈમેટ ચેન્જ) જેવા શબ્દોની ગેરહાજરી નોર્મલ હતી. જો કે માણસો દ્વારા કરવામાં આવેલ વાતાવરણના પરિવર્તનોએ ઘણાં સમયથી ભારતીય કૃષિઉદ્યોગનો વિનાશ કરી દીધો છે.

ન્યૂ નોર્મલ એ ઘણુંખરું વિષ પાઈને મોટી કરેલ જુના નોર્મલનું જ વિકરાળ સ્વરૂપ લાગે છે.

ભારતમાં એક પછી એક રાજ્યમાં શ્રમિક કાયદાઓ ક્યાંતો દબાવી દેવામાં આવ્યાં છે ક્યાંતો તેનું હળાહળ ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. શ્રમિક કાયદાઓનું મુખ્ય પાસું – દિવસની આઠ કલાકની નોકરી – ઘણા રાજ્યોમાં રદ્દ કરીને તેને ૧૨ કલાકની કરી દેવામાં આવી. ઘણા રાજ્યોમાં, એ વધારાના ચાર કલાકનો ઓવરટાઈમ પણ ચુકવવામાં નથી આવતો. ઉત્તરપ્રદેશે સંગઠિત અથવા વ્યક્તિગત વિરોધની કોઈ સંભાવના ન રહે તે માટે હાલના ૩૮ શ્રમિક કાયદા સ્થગિત કરી દીધા છે.

૧૯૧૪માં દિવસનાં ૮ કલાકનું કામ અપનાવનાર મુડીવાદીઓમાંના પહેલાં હેન્રી ફોર્ડ હતાં. ફોર્ડ મોટર કંપનીનો નફો બે વર્ષમાં બમણો થઇ ગયો. તેમની ચતુરાઈએ પારખી લીધું હતું કે એ ૮ કલાક પછી ઉત્પાદકતામાં મોટો ઘટાડો જોવા મળે છે. ન્યૂ નોર્મલ: ભારતનાં મુડીવાદો તો જાણે  મજુરોને બાંધેલી મજુરીએ રાખી શકાય  એવા વટહુકમની આશા રાખી રહ્યા છે. અગ્રણી મિડિયા તંત્રીઓ દ્વારા આપણને “સારી કટોકટીને વેડફી નાખવી ન જોઈએ” એવી ઉત્સાહભરી સલાહ આપવામાં આવે છે. તેઓ તર્ક આપે છે કે, છેવટે આપણે આ દમાશ મજૂરોને તેમના ઘૂંટણો પર લાવી જ દીધા છે. હવે જળોને ખુલ્લી છોડી દો. ‘મજૂર સુધારણા’ માં ફેરબદલ કરી દેવાની આ તક ગુમાવવી એ ગાંડપણ છે.

Millions of marginal farmers across the Third World shifted from food crops like paddy (left) to cash crops like cotton (right) over the past 3-4 decades, coaxed and coerced by Bank-Fund formulations. The old normal: deadly fluctuations in prices crippled them. New normal: Who will buy their crops of the ongoing season?
PHOTO • Harinath Rao Nagulavancha
Millions of marginal farmers across the Third World shifted from food crops like paddy (left) to cash crops like cotton (right) over the past 3-4 decades, coaxed and coerced by Bank-Fund formulations. The old normal: deadly fluctuations in prices crippled them. New normal: Who will buy their crops of the ongoing season?
PHOTO • Sudarshan Sakharkar

ત્રીજા વિશ્વના લાખો નાના અને સીમાંત ખેડુતો પાછલા ત્રણ-ચાર દાયકામાં ડાંગર જેવા (ડાબે) ખાદ્ય પાકોને બદલે રોકડ પાક (જમણે) તરફ વળ્યાં છે. એક લાક્ષણિક બેંક-ફંડ ફોર્મ્યુલેશન દ્વારા ફોસલાવી ધમકાવીને  તેમને આવું કરવા માટે આ રીતે આગળ ધપાવાય છે. જૂનું નોર્મલ: કિંમતમાં મોટો ઉતાર ચઢાવે તેમને ભાંગી નાખ્યા. ન્યૂ નોર્મલ: ચાલું સીઝનનો તેમનો પાક કોણ ખરીદશે?

ખેતીવાડીમાં એક ભયજનક સ્થિતિ ઉદ્ભવી રહી છે. આપણને  યાદ રહે કે ત્રીજા વિશ્વના લાખો નાના અને સીમાંત ખેડુતો પાછલા ત્રણ-ચાર દાયકામાં રોકડ પાક તરફ વળ્યાં છે. એક લાક્ષણિક બેંક-ફંડ ફોર્મ્યુલેશન દ્વારા ફોસલાવી ધમકાવીને  તેમને આવું કરવા માટે આ રીતે આગળ ધપાવાય છે: રોકડ પાક નિકાસમાં જશે, તમને રોકડ રકમ મળશે, ડોલર તમારા દેશમાં આવશે અને તમને ગરીબીથી ઉગારશે.

આપણે જાણીએ છીએ કે તેનો અંત કેવો આવ્યો. અમુક રોકડ પાક ખેડૂતો, એમાંય ખાસ કરીને કપાસ પકવતા ખેડૂતો, આત્મહત્યામાં સૌથી વધુ અસરગ્રસ્ત સમૂહ બન્યા. અને સૌથી વધુ દેવાદાર સમૂહ પણ.

હજુ તો હાલત વધુ ખરાબ થઇ રહી છે. આપણે જેને રવિ પાક કહીએ છીએ – જેની લણણી મોટે ભાગે માર્ચ એપ્રિલ દરમિયાન કરવામાં આવે છે – એ ક્યાંતો વેચાયા વગર પડી રહ્યા છે અને જો બગડી જાય એવાં  હોય તો લોકડાઉનને લીધે ખેતરોમાં બગડી ગયા છે. કપાસ, શેરડી સહિત હજારો લાખો ક્વિન્ટલ રોકડ પાકના ખેડૂતોના છાપરાઓ પર ઢગલા થઇ રહ્યા છે (ખાસ કરીને કપાસના).

જૂનું નોર્મલ: કિંમતોમાં ભયજનક વધઘટને લીધે ભારત અને ત્રીજાવિશ્વના નાના રોકડ પાકના ખેડુતો પાંગળા થઇ ગયા. ન્યૂ નોર્મલ: હવેથી થોડાક મહિનામાં લણણી કરવામાં આવશે ત્યારે આ સીઝનના તેમના પાક કોણ ખરીદશે?

સંયુક્ત રાષ્ટ્રોના જનરલ સેક્રેટરી એન્ટોનિયો ગુટેર્રેસના શબ્દો માં, “આપણે બીજા વિશ્વ યુદ્ધ પછીની સૌથી પ્રચંડ મંદીનો અને ૧૮૭૦ પછી આવકમાં સૌથી મોટા ઘટાડાનો સામનો કરી રહ્યાં છીએ.” દુનિયાભરમાં આવક અને વપરાશમાં પડી રહેલી ખાધ ભારતને પણ નહિ બક્ષે અને અહીંના રોકડિયા પાક લેતા ખેડૂતોની હાલત કફોડી કરી મૂકશે. ગયા વર્ષે, આપણા કપાસનું સૌથી મોટું નિકાસ કેન્દ્ર ચીન હતું. આજે, ચીન સાથેના સબંધો દાયકાઓમાં સૌથી નીચલા સ્તરે છે અને બંને દેશો મુશ્કેલીમાં છે. ભારત સહીત ઘણા દેશોમાં કપાસ, શેરડી, વેનીલા અને અન્ય પાક જથ્થાઓ પડી રહેલાં છે તેને કોણ ખરીદશે? અને કેટલી કિંમતે?

અને જયારે મોટા ભાગની જમીનમાં રોકડિયા પાક ઉગાડાય છે, ત્યારે વધતી જતી બેરોજગારીમાં, જો અનાજ ખૂટી પડ્યું તો શું? ગુટેર્રેસ આપણને ચેતવે છે કે: “આપણે ઐતિહાસિક કદનો દુકાળ કે ભૂખમરો જોઈ શકીએ છીએ.”
A normal where billions lived in hunger in a world bursting with food. In India, as of July 22, we had over 91 million metric tons of foodgrain ‘surplus’ or buffer stocks lying with the government – and the highest numbers of the world’s hungry
PHOTO • Purusottam Thakur
A normal where billions lived in hunger in a world bursting with food. In India, as of July 22, we had over 91 million metric tons of foodgrain ‘surplus’ or buffer stocks lying with the government – and the highest numbers of the world’s hungry
PHOTO • Yashashwini & Ekta

એવું નોર્મલ કે જ્યાં અબજો લોકો ખોરાકથી છલકાતા વિશ્વમાં ભૂખમરામાં રહેતા હતા. એક તરફ ભારતમાં ૨૨ જુલાઈ સુધી ૯૧ મિલિયન ટન અનાજ બફર સ્ટોક્સમાં એટલે કે વધારાનું સરકાર પાસે પડી રહ્યું તો બીજી તરફ ભારત દુનિયાની સૌથી વધારે ભૂખ્યા લોકોની આબાદી ધરાવતો  દેશ રહ્યો

ગુટેર્રેસે બીજી એક વાત કહી, કે કોવિડ-૧૯ વાયરસ “દરેક જગ્યાએ ખોટી માન્યતાઓ અને જૂઠાણાંને ખુલ્લા પાડી રહ્યો છે: એ જુઠ્ઠાણું કે, મુક્ત બજાર વ્યવસ્થા સૌને આરોગ્ય સેવાઓ પૂરી પાડી શકે છે; એ કાલ્પનિક ધારણા કે વેતન લીધા વગર કરવામાં આવતી સેવા એ કામ નથી.”

નોર્મલ: ભારતનો ઉપલો વર્ગ તેમના ઈન્ટરનેટના કૌશલ્યની, આપણી સોફ્ટવેર સુપરપાવર તરીકે ઉભરાતી પ્રતિભાની, કર્ણાટકના બેંગલુરુમાં વિશ્વની બીજી સૌથી મોટી સિલિકોનવેલી ઉભી કરવાની તેમની દૂરંદેશી અને ચપળતાની વાતો કરતા થાકતા જ નથી. (અને તદુપરાંત, પ્રથમ સિલિકોન વેલીમાં આમ પણ બધો વિકાસ ભારતીઓના બળે જ થયો છે.) આવો જાતપ્રેમ છેલ્લાં ત્રીસ વર્ષથી નોર્મલ છે.

બેંગલુરુની બહાર કર્ણાટકના ગ્રામ્ય વિસ્તારમાં પગ માંડો અને નેશનલ સેમ્પલ સર્વેમાં નોંધવામાં આવેલ વાસ્તવિકતા જુઓ. ૨૦૧૮માં કર્ણાટકના ગ્રામ્ય વિસ્તારમાં ફક્ત ૨ ટકા ઘરોમાં જ કમ્પ્યુટર હતા. (આ બાબતે જેની મજાક ઉડાવવામાં આવે છે એવા ઉત્તર પ્રદેશની સ્થિતિ આના કરતા સારી છે, ત્યાં એ આંકડો ચાર ટકા હતો).  કર્ણાટકના ગ્રામીણ વિસ્તારમાં માત્ર ૮.૩ ટકા ઘરો માં જ ઈન્ટરનેટની સુવિધા હતી. કર્ણાટકના ગ્રામીણ વિસ્તારમાં રાજ્યની ૬૧ ટકા અથવા ૩૭.૪ મિલિયન વસ્તી વસે છે. બેંગલુરુ, બીજી સિલિકોન વેલી, માં ફક્ત ૧૪ ટકા જ લોકો રહે છે.

ન્યૂ નોર્મલમાં કંપનીઓ ‘ઓનલાઈન શિક્ષણ’ ને આગળ ધપાવી અબજો રૂપિયા બનાવવા જઈ રહી છે. તેઓ આમ પણ ખૂબ  કમાતા હતા પણ હવે તેઓ તેમનો નફો સરળતાથી બમણો કરી દેશે. સમાજ, જાતિ, વર્ગ, લિંગ અને પ્રદેશના લીધે એક બહોળા વર્ગેને શિક્ષણથી બાકાત રાખવામાં આવેલો એને હવે મહામારીના કારણે તર્કસંગત કરી દેવામાં આવ્યું છે. (બાળકોનું શિક્ષણ તો ન અટકાવી શકાય ને?) દેશભરમાં શહેરોની બહાર ગમે ત્યાં જાઓ, સૌથી ધનાઢ્ય રાજ્ય મહારાષ્ટ્રમાં પણ જુઓ, કે કેટલાં બાળકો પાસે સ્માર્ટફોન છે કે જેમાં તે તેમનાં પીડીએફ ‘લેસન’ ડાઉનલોડ કરી શકે. કેટલાં પાસે નેટની સુવિધા છે અને તેમણે નેટનો ઉપયોગ છેલ્લે ક્યારે કર્યો હતો?

એ પણ વિચારો કે કેટલી દીકરીઓ શાળા છોડી રહી છે, કારણ કે તેમના વાલીઓ રોજગાર વિહોણા થઈ ગયા છે અને ફી ભરી શકે એમ નથી? જૂના નોર્મલમાં પણ નાણાકીય ભીડના વખતમાં દિકરીઓને શાળાએથી ઉઠાડી લેવાતી, હવે લૉકડાઉનના કારણે એ વલણ આગળ વધ્યું છે.

Stop anywhere in the Indian countryside and see how many children own smartphones on which they can download their pdf ‘lessons’. How many actually have access to the net – and if they do, when did they last use it? Still, the new normal is that corporations are pushing for ‘online education'
PHOTO • Parth M.N.
Stop anywhere in the Indian countryside and see how many children own smartphones on which they can download their pdf ‘lessons’. How many actually have access to the net – and if they do, when did they last use it? Still, the new normal is that corporations are pushing for ‘online education'
PHOTO • Yogesh Pawar

દેશભરમાં શહેરોની બહાર ગમે ત્યાં જાઓ ને જુઓ કે કેટલાં બાળકો પાસે સ્માર્ટફોન છે કે જેમાં તે તેમનાં પીડીએફ ‘લેસન’ ડાઉનલોડ કરી શકે. કેટલાં પાસે નેટની સુવિધા છે અને તેમણે નેટનો ઉપયોગ છેલ્લે ક્યારે કર્યો હતો? છતાંય, નવી સામાન્યતા એ છે કે હજુ પણ કોર્પોરેશનો ‘ઓનલાઈન શિક્ષણ’ માટે દબાણ કરી રહ્યાં છે

મહામારીના પૂર્વે ભારત એક મૈત્રી-કરાર પર ચાલતું હતું જેમાં સામાજિક-ધાર્મિક રૂઢિવાદીઓ અને બજારુ રૂઢિવાદીઓનું સુખી પરણિત યુગલ કોર્પોરેટ મિડિયાના ખાટલે સહશયન કરતું હતું હતા. ઘણા નેતાઓ વિચારધારાની દ્રષ્ટિએ બંને તંબુમાં ખુશહાલ હતા.

ન્યૂ નોર્મલમાં રૂપિયા બે ટ્રિલિયનનું કુલ કદ ધરાવતો (ન્યૂઝ અને એન્ટરટેનમેન્ટ) મિડિયાઉદ્યોગ ૨૫મી માર્ચ પછી એ સ્થળાંતરિત લોકોથી મોહિત અને ચકિત્ હતો, જેમની તરફ એણે દાયકાઓથી જોયું સુદ્ધાં નહોતું. કોઈ કહેવાતા રાષ્ટ્રીય અખબાર કે ચેનલ પાસે પૂરા સમયના લેબર કોરસપોન્ડન્ટ નહોતા (જે શ્રમિકોની બાબતો પર નિષ્ણાત હોય), પૂરા સમયના ખેતીવાડી સંવાદદાતા નહોતા (હાસ્યાસ્પદ વાત તો એ છે કે કૃષિ સંવાદદાતા હવે કૃષિ મંત્રાલય અને કૃષિ વેપારના સમાચાર લખે છે). આવી ક્ષેત્રવિશેષ સમાચારની જગ્યા હતી જ નહિ. બીજા શબ્દોમાં કહીએ તો, ભારતની ૭૫ ટકા વસતિની જિંદગી સમાચારને લાયક જ નહોતી ગણાતી.

રસ્તા વચ્ચે ભટકાઈ જાય તો ય સ્થળાંતરિત મજૂરોને ઓળખી ના શકે એવા તંત્રીઓ અને એન્કરો ૨૫મી માર્ચ પછી આ વિષય પર જ્ઞાન આપવા લાગ્યા. અમુકે ખેદપૂર્વક સ્વીકાર્યું કે આપણે મિડિયાવાળાઓએ સ્થળાંતરિત મજૂરોની વ્યથાની સારી રીતે રજુ કરવાનો પ્રયત્ન કરવો રહ્યો. બરાબર એ જ સમયે, કોર્પોરેટ સમાચારગૃહોના માલિકોએ એક હજારથી વધુ પત્રકારો અને પત્રકારત્વ સાથે સંકળાયેલા કર્મચારીઓને છૂટા કર્યા, જેથી કરીને આગળ જતા પણ  સ્થળાંતરિત મજૂરોની વ્યથા સતત અને ઊંડાણપૂર્વક વર્ણવી શકવાની કોઈ શક્યતા બાકી રહી નહિ. ઘણી જગ્યાએ કર્મચારીઓને બરતરફ કરવાનું આયોજન મહામારી થયાના ઘણા સમય પહેલાં થઈ ગયેલું અને આમાં સૌથી મોટા અપરાધી કોઈ હોય તો એ એવી કંપનીઓએ છે કે જે સૌથી વધુ નફો કમાય છે અને જેની પાસે સૌથી વધુ અનામત ભંડોળ છે.

નોર્મલને કોઈ પણ બીજા નામે બોલાવો તે એટલું જ ઘૃણાસ્પદ છે.

અત્યારે એક માણસ છૂટાછવાયા રિયાલિટી ટીવી શોમાં દેશ ચલાવે છે. બાકીની બધી ચેનલો પણ આ સ્વપ્રશંસાનાં ઠઠ્ઠાચિત્રો પ્રાઈમટાઈમમાં આમ જ ચલાવે છે. પ્રધાનમંડળ, સરકાર, સંસદ, અદાલતો, વિધાનસભાઓ, વિપક્ષો – એ બધાનું કાંઈ મહત્ત્વ નથી. આપણે ટેકનોલોજીમાં જાદૂગર હોવા છતાં એક સત્રના એક દિવસ જેટલી પણ સંસદની કાર્યવાહી કરી શક્યા નથી. લોકડાઉનને લગભગ 140 દિવસો થવા છતાંય ન તો વર્ચ્યુઅલ કે ઓનલાઈન કે ન તો ટેલિવાઈઝ્ડ સંસદ યોજી શક્યા છે. આપણી કહેવાતી ટેક્નોલોજીની શક્તિ  કરતા સાવ નહિવત શક્તિ ધરાવતા બીજા દેશોએ  આ તમામ ખૂબ સરળતા પૂર્વક કર્યું છે.

શક્ય છે કે યુરોપના કેટલાક દેશોમાં ૪ દાયકાઓ સુધી લોકકલ્યાણતરફી શાસનવ્યવસ્થાનો વાળીઝૂડીને સફાયો કર્યા પછી પણ હવે કોવિડના કારણે સરકારો ખચકાટથી વેલ્ફેર સ્ટેટના અમુક પાસાઓ પરત લાવી રહી છે. પણ આપણે ત્યાં બજારુ વૈદોનો માનીતો ઈલાજ, બ્લડલેટિંગ, જ ચાલી રહ્યો છે. જળો કહેર ફેલાવવા તૈયાર થઈને ફરી બહાર આવી ગઈ છે. તેમણે અત્યાર સુધી ગરીબોનું જેટલું લોહી ચૂસ્યું તેટલું પૂરતું નથી. પરોપજીવી કીડાઓએ તેમની ઉત્ક્રાંતિ જે માટે થઇ છે એ તો કરવું જ રહ્યું.

આવા સંજોગોમાં પ્રગતિશીલ ચળવળોએ શું કરવું? તેમને તો જૂનું  નોર્મલ પણ ક્યારેય સ્વીકાર્ય નહોતું. પરંતુ એમની પાસે જૂના નોર્મલથી પણ પુરાણું એવું કૈક છે જે તરફ તેમણે પાછા ફરવું રહ્યું  – ન્યાય માટેનો સંઘર્ષ, સમાનતા, પૃથ્વીને વધુ નુકસાન થવા દીધા વિના સન્માનથી જીવવાનો હક્ક.

‘સમાવેશક વિકાસ’ એ જળોનું નામ છે જે મરી ગઈ છે અને એને ફરી જીવિત ન કરવામાં જ ભલાઈ છે. માળખું માત્ર ન્યાયનું અને હેતુ અસમાનતાનો અંત લાવવાનો છે. આપણી ચિંતા એ તરફ પહોંચવાની રીત છે-- કેટકેટલા રસ્તા, કેટલાક આપણે લઈ ચૂકેલા, કેટલાક પડતા મૂકેલા, કેટલાક શોધવાના.

It was always normal that the words climate change were largely absent in public, or political, discourse. Though human agency-led climate change has long devastated Indian agriculture. The new normal: cut the clean air cacophony
PHOTO • Chitrangada Choudhury
It was always normal that the words climate change were largely absent in public, or political, discourse. Though human agency-led climate change has long devastated Indian agriculture. The new normal: cut the clean air cacophony
PHOTO • P. Sainath

જાહેર અથવા રાજકીય ચર્ચાઓમાં વાતાવરણના પરિવર્તનો (ક્લાઈમેટ ચેન્જ) જેવા શબ્દોની ગેરહાજરી નોર્મલ હતી. જો કે માણસો દ્વારા કરવામાં આવેલ વાતાવરણના પરિવર્તનોએ ઘણાં સમયથી ભારતીય કૃષિઉદ્યોગનો વિનાશ કરી દીધો છે. ન્યૂ નોર્મલ: ચોખ્ખી હવા માટેનો ઘોંઘાટ બંધ કરો

દાખલા તરીકે, ખેડૂતો અને ખેતમજૂરોની ચળવળો જો વાતાવરણના પરિવર્તનોને (કે જેને લીધે ભારતીય કૃષિઉદ્યોગનો વિનાશ થઇ ગયો છે) ગણતરીમાં નહિ લે, તેમની લડતને કૃષિપર્યાવણના અભિગમમાં કેન્દ્રિત કરી અને આગળ નહિ વધારે તો ગંભીર સમસ્યાઓ સર્જાશે. શ્રમિકોની ચળવળોએ માત્ર કેકના મોટા ટુકડા માટે નહિ, પણ તરછોડી દીધેલી એ જૂની અસામન્ય લડત પ્રમાણે બેકરીની માલિકી માટે લડવાનું છે.

અમુક લક્ષ્યો સ્પષ્ટ છે. જેમ કે, ત્રીજા વિશ્વનું દેવું રદ કરો. ભારતમાં આપણા પોતાના ચોથા વિશ્વનું દેવું રદ કરો.

કોર્પોરેટ ઈજારાશાહીઓ તોડી પાડો. તેની શરૂઆત કરવા આરોગ્ય, અન્ન, કૃષિ અને શિક્ષણનાં ક્ષેત્રોમાંથી વર્ચસ્વ સંપૂર્ણપણે દૂર કરો.

આવશ્યકતા એવી ચળવળની છે જે સરકારોને સંસાધનોની વહેંચણીમાં આમૂલ પરિવર્તન કરવાની ફરજ પાડે. એની શરૂઆત થાય સૌથી વધુ ધનાઢ્ય એક ટકા લોકો પર સંપત્તિવેરાથી. જે બહુરાષ્ટ્રીય કંપનીઓ કોઈપણ પ્રકારના કરવેરા ચૂકવ્યા વિના નીકળી જાય છે તેમના પર વેરા લાદવામાં આવે. ઘણા દેશો જે કરવેરાની વ્યવસ્થાઓને દાયકાઓથી નષ્ટ કરી રહ્યા છે તેને ફરી પુનસ્થાપિત કરી અને તેમાં સુધારા લાવવામાં આવે.

માત્ર જન આંદોલનો જ સરકારોને આરોગ્ય અને શિક્ષણમાં રાષ્ટ્રવ્યાપી સાર્વજનિક વ્યવસ્થા ઊભી કરવાની ફરજ પાડી શકે છે. આરોગ્ય, અન્ન અને બીજી બાબતોમાં ન્યાય માગતાં જન આંદોલનોની આપણને જરૂર છે. એવાં અમુક તો પ્રેરણાદાયી કામ કરી જ રહ્યાં છે પણ કોર્પોરેટ મિડિયાના સમાચારજગતમાં તેમને સંપૂર્ણપણે અવગણવામાં આવ્યાં છે.

આપણે અહીં તેમજ સમગ્ર વિશ્વના દેશોએ યુએનની માનવ અધિકાર ઘોષણામાં લેખાયેલા એ સૌ અધિકારો પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે  જેને જાહેર ચર્ચાવિચારણામાંથી કોર્પોરેટ મિડિયાએ સાવ બાકાત કરી દીધા છે. જેમ કે, અધિકાર આર્ટિકલ ૨૩-૨૮ જે આવરી લે છે મજૂર સંઘ સ્થાપવાનો અને તેમાં જોડાવાનો, કામ કરવાનો અને સમાન કામ માટે સમાન વેતનનો અધિકાર, જે માનવસહજ સન્માન, આરોગ્ય વગેરે સુનિશ્ચિત કરે.

આપણા દેશમાં બંધારણમાં આલેખાયેલા રાજ્ય નીતિના દિશાસૂચક સિદ્ધાન્તો (Directive Principles of State Policy) ના વિચારોને ફેલાવવાની જરૂર છે. તેમાંના અમુક જેવા કે રોજી, શિક્ષણ, અન્ન ઈત્યાદિ મેળવવાના અધિકારના સંદર્ભમાં ન્યાય અને અમલીકરણનો આગ્રહ રાખવો પડશે. આ સિદ્ધાંતો આપણી સ્વાતંત્ર્ય ચળવળના ફળસ્વરૂપે મળેલ આપણા બંધારણનો આત્મા છે. છેલ્લાં ૩૦-૪૦ વર્ષમાં સર્વોચ્ચ અદાલતના એકથી વધારે ચુકાદામાં કહેવાયું છે કે આ દિશાસૂચક સિદ્ધાન્તો મૂળભૂત અધિકારો જેટલા જ મહત્ત્વના છે.
PHOTO • Labani Jangi

ચિત્ર (ઉપરનું અને કવર): પશ્ચિમ બંગાળના નાદિયા જીલ્લાના નાનકડા નગરના લબાની જંગી, કે જેઓ કોલકાતામાં સેન્ટર ફોર સ્ટડીઝ ઇન સોશિઅલ સાયન્સીસ માં બંગાળી મજદૂર સ્થાનાંતર વિષે પીએચડીનો અભ્યાસ કરી રહ્યાં છે. તેઓ જાતે શીખેલ ચિત્રકાર છે અને તેમને મુસાફરી કરવી પસંદ છે

કોઈ વ્યક્તિગત ઢંઢેરાના બદલે આપણા બંધારણને અને આપણી સ્વાતંત્ર્ય ચળવળને કેન્દ્રમાં રાખીશું તો પ્રજાનું સમર્થન મળશે.

છેલ્લાં ૩૦ વર્ષથી દરેક સરકારે રોજેરોજ આ સિદ્ધાંતો અને અધિકારોનું ઉલ્લંઘન કર્યું છે – બજારને સિદ્ધાંત તરીકે લાદીને અને નીતિમત્તાને અભરાઈએ ચડાવીને. વિકાસના રસ્તા પર પ્રજાની, તેમની સામેલગીરીની, તેમની ભાગીદારીની અને તેમની માલિકીની-- બધાની બાદબાકી કરવામાં આવી હતી

તમે પ્રજાની ભાગીદારી વિના આ સાંપ્રત મહામારીનો મુકાબલો ના કરી શકો – આવનારી ભાવિ મહામારીની તો વાત જ શી કરવી. કેરળ કોરોના વાઇરસનો સામનો કરવામાં સફળ રહ્યું એનું મુખ્ય કારણ સ્થાનિક સમુદાયોમાં પ્રજાની ભાગીદારીને આપતું પ્રોત્સાહન છે. પ્રજા સરકારની પડખે ભહ રહી જેથી લોકો સામૂહિક રસોડા ચલાવીને જરૂરતમંદોને ખાણું પહોંચાડી શક્યા, કોન્ટેક્ટ ટ્રેસિંગ, આઈસોલેશન અને કન્ટ્રોલમાં સરકારને મદદ મળી. આ બોધપાઠો આ મહામારી સિવાય પણ કામમાં આવે એવા છે.

દરેક પ્રગતિશીલ ચળવળના હાર્દમાં છે ન્યાય અને સમાનતામાં વિશ્વાસ. આપણા બંધારણના આમુખમાં ન્યાયના ઉલ્લેખ સાથે સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાયની વાત કરી છે, જેમાં આપણે આજના સમય પ્રમાણે જેન્ડર જસ્ટિસ અને ક્લાઈમેટ જસ્ટિસ પણ ઉમેરવા જોઈએ. આ ન્યાય અને સમાનતાને કોણ જાળવશે, કોણ આગળ ધપાવશે, તે બંધારણે ઠીક પારખ્યું હતું -- બજારો નહિ, કંપનીઓ નહિ, પણ “આપણે લોકો. વી, ધ પીપલ”.

પરંતુ દરેક પ્રગતિશીલ આંદોલનમાં એક સર્વોપરી માન્યતા એ રહેલી છે કે આપણી સામેની દુનિયા નિર્માણ થઇ ચૂકેલી વસ્તુ નથી, પરંતુ સતત નિર્માંણમાં છે -- ઘણી હતાશા ને ઘણા અધૂરા પ્રયાસો છે.

આ જુનમાં જેમને ૯૭ વરસ થયા તે સ્વાતંત્ર્ય સેનાની કેપ્ટન ભાઉએ એક વાર મને રહેલું, “આપણે સ્વાતંત્ર્ય અને આઝાદી માટે લડ્યા. આપણે સ્વાતંત્ર્ય મેળવ્યું.”

સ્વાતંત્ર્યની ૭૩મી જયંતિ તરફ પ્રયાણ કરતા આઝાદીના અધૂરા અરમાન માટે આપણે લડી છૂટવું રહ્યું.

આભારઃસ્વીકૃતિ: અનુવાદક અમદાવાદના આશિષ મેહતા દ્વારા મળેલ મદદને બિરદાવે છે, કે જેમણે આ લેખના અનુવાદનમાં મદદ કરેલ છે.

આ લેખ સૌ પ્રથમ ફ્રન્ટલાઇન સામયિકમાં પ્રકાશિત થયો હતો.

અનુવાદ: ફૈઝ મોહંમદ

P. Sainath is Founder Editor, People's Archive of Rural India. He has been a rural reporter for decades and is the author of 'Everybody Loves a Good Drought' and 'The Last Heroes: Foot Soldiers of Indian Freedom'.

Other stories by P. Sainath
Translator : Faiz Mohammad

Faiz Mohammad has done M. Tech in Power Electronics Engineering. He is interested in Technology and Languages.

Other stories by Faiz Mohammad