વિનાશના ભયાનક દ્રશ્ય વચ્ચે તેઓ સૂકા ઘાસના મોટા ભારા પર બેઠા છે. વાંસની તૂટેલી લાકડીઓ, તાડપત્રીની ફાટેલી શીટ્સ, પ્લાયવુડના પાટિયા, દોરડાના ટુકડા, ચોળાયેલી સાડીઓ, વાસણો, કાદવથી ખરડાયેલા કપડાં અને બીજી રોજબરોજની વસ્તુઓ બિલકુલ અવ્યવસ્થિત હાલતમાં પડેલી છે. આ એ જગ્યા છે જેને તેઓ ઘર કહેતા હતા. એ હજી પણ તેમનું ઘર છે. પરંતુ દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટીના બુલડોઝરોએ તેમના કામચલાઉ ઘરોને જમીનદોસ્ત કર્યાના બે દિવસ પછી હવે સાવ અલગ દેખાય છે. ચિલ્લા સરોદા ખાદરના જનગણનાની આ વસાહતની અંદર આવેલી 10 થી 15 ઝૂંપડીઓમાંની એક ઝૂંપડી રીટા દેવીની હતી.
જો કે, એક હાથમાં લગભગ એક ઈંચ પહોળું સોનેરી-ભૂખરા રંગનું ઘાસનું પાંદડું પકડીને બીજા હાથમાં પકડેલા દાતરડાથી તેને બે કે ત્રણ પાતળી પટ્ટીઓમાં ચીરતા રીટા તેનાથી ખાસ અસ્વસ્થ હોય તેમ લાગતું નથી. યમુના ક્ષેત્ર નજીકની તેમની વસાહતમાં રહેતા રીટા કે બીજા કોઈપણ લોકો માટે તેમના દરવાજે બુલડોઝર આવે એ નવું નથી અને હવે ડરામણું પણ નથી, સરકાર અહીં યમુના ક્ષેત્રમાં સરકાર દિલ્હીના છ જૈવવિવિધતા ઉદ્યાનોમાંનું એક વિકસાવવાની યોજના ધરાવે છે. "યહ ઝમીન સરકારી હૈ ઈસલિયે તો ઝુગ્ગી-વુગ્ગી તોડ દેતા હૈ. પટ્ટે પર જમીન યહ વહી લોગ સાલ ભર કે લિયે લેતે હૈ જો ખેતી કરતે હૈ. [આ જમીન સરકારની છે, તેથી તેઓ અમારી ઝૂંપડીઓ તોડી નાખે છે. જે લોકો ખેતી કરે છે તેઓ જ આ જમીન એક વર્ષ માટે જમીન ગણોતપટે લે છે.]"
રીટા કહે છે, "અમે અક્ષરધામ નજીક હતા ત્યારે પણ આવું જ બન્યું હતું. કોઈ માછલી સાફ કરી રહ્યું હતું, અને એક કાગડો માછલીનો કચરો મંદિરની અંદર લઈ ગયો. તેથી તેઓએ આખી ઝુગ્ગી [વસાહત] તોડી નાખી. 2015 માં એ બન્યું હતું. પછી અમે ચિલ્લા ખાદર નજીકના આ વિસ્તારમાં આવ્યા. અહીં પણ 4-5 વખત આવું જ બન્યું છે. પણ અમે અહીં રહીએ છીએ." તેમણે મહિને 500 રુપિયાના ભાડે લીધેલી જમીન પર તેમના પરિવારે 8X10 ફૂટની એક નાની ઓરડી બનાવી છે.
રીટા કહે છે, "અમે એક ગુજજરને ભાડું આપીએ છીએ. એનું નામ રાજવીર છે. એ પણ ચિલ્લામાં જ રહે છે. એના દાદાએ આ જમીન સરકારને વેચી દીધી હતી. એ માટે એને વળતર પણ મળ્યું હતું. પરંતુ હજી પણ એ આ જમીનના માલિક હોવાનો દાવો કરે છે. એ અમને ગરીબ લોકોને મારે છે અને ધમકાવે છે અને અમારી પાસેથી પૈસા પડાવે છે. તુમ્હારા ખેત, તુમ્હારી જમીન, તુ જાન. હમારા તો રહેને સે મતલબ હૈ [તમારું ખેતર, તમારી જમીન, તમે જાણો. અમારે શું? અમારે તો ફક્ત રહેવા માટે એક જગ્યા જોઈએ છે]. અમે ક્યારેય પાકા ઘર બનાવતા નથી. દર વખતે જ્યારે તેઓ તોડી પાડે ત્યારે નવું ઘર કોણ બનાવે?" તેઓ પોતે ચીરેલી ઘાસની પટ્ટીઓની એક નાની ઝૂડી બાંધી રહ્યા છે.
તાજેતરની ડિમોલિશન ડ્રાઈવ પછી રીટાનો પરિવાર તેમની ઝૂંપડીની બે બાજુની દિવાલો અને એક પ્લાસ્ટિકની છત ફરીથી બનાવી શક્યો છે. આ વસાહતના મોટાભાગના લોકો દાડિયા શ્રમિકો તરીકે કામ કરતા ઉત્તર પ્રદેશ અને બિહારના સ્થળાંતરિતો છે. રીટા પોતે બિહારના સુપૌલ જિલ્લાના છે. 1993માં તેમના માતાપિતા આજીવિકાની શોધમાં બસ્પિતી ગામથી દિલ્હી આવ્યા હતા ત્યારથી તેઓ દિલ્હીમાં છે. 2011 ની વસ્તી ગણતરી મુજબ બિહારના લગભગ 93 લાખ લોકો આ જ કારણોસર બીજા રાજ્યોમાં સ્થળાંતર કરે છે. રીટા મલ્લાહ સમુદાયના છે, તે એક માછીમાર સમુદાય છે જેને નિષાદ અને ધિમર તરીકે પણ ઓળખવામાં આવે છે, બિહારમાં હવે તે અનુસૂચિત જાતિ તરીકે સૂચિબદ્ધ છે.




















