ઉત્તર પ્રદેશના લખનૌમાં 7 વર્ષીય કજરી તેમનાં ફોઈના ત્રણ વર્ષના દીકરા સાથે તેમના ભાડાના ઘરની પાછળના આંગણામાં રમી રહી હતી, ત્યારે બે શખ્સોએ તેનું અપહરણ કર્યું હતું.
દસ વર્ષ પછી, ડિસેમ્બર 2020માં બેંક એજન્ટ તરીકે કામ કરતો તેમનો એક અન્ય પિતરાઈ ભાઈ કામ અર્થે શહેરમાં એક ઘરની મુલાકાત લઈ રહ્યો હતો, જ્યારે તેમણે કજરી જેવી દેખાતી એક છોકરીને જોઈ, જે ઘરમાં પોતું કરતી હતી. તેમણે તેને પૂછ્યું કે તેના પિતાનું નામ શું છે? પરંતુ એક મહિલાએ વાતચીતમાં વિક્ષેપ પાડ્યો અને તેમને વાત કરવા ન દીધી. તેણે ઘરની બહાર જઈને તરત હિંસાથી પીડિત મહિલાઓ અને છોકરીઓને ટેકો આપવા માટે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા સ્થાપિત લખનૌના વન-સ્ટોપ સેન્ટરને કૉલ કર્યો. થોડા જ કલાકોમાં, મોહનલાલગંજના પોલીસ સ્ટેશન અને વન-સ્ટોપ સેન્ટરની એક પોલીસ ટીમે, ઘરમાં દરોડો પાડ્યો, કજરીને છોડાવી અને તેના પરિવારને તેની કસ્ટડી સોંપી.
હવે 21 વર્ષની વયે પહોંચેલી કજરી એક માનસિક વિકલાંગતા સાથે જીવી રહી છે, તેના નીચેના આગળના જડબાના દાંત ગાયબ છે અને તેની પાસે તેના માનવ તસ્કરી, જાતીય હુમલા, અને બાળ મજૂરીનો ભોગ બનીને વિતાવેલાં 10 વર્ષોનાં બસ અસ્પષ્ટ સંસ્મરણો જ છે.
![](/media/images/02-IMG_4443-JM-They_would_keep_me_barefoot.max-1400x1120.jpg)
માત્ર સાત વર્ષીય , કજરીને તેના ઘરેથી અપહરણ કરવામાં આવી હતી અને માનવ તસ્કરીનો ભોગ બની હતી , પછી તેનું જાતીય શોષણ કરવામાં આવ્યું હતું અને તેને આગામી 10 વર્ષ સુધી ઘરેલું કામ કરવા માટે મજબૂર કરવામાં આવી હતી
*****
કજરીના 56 વર્ષીય પિતા ધીરેન્દ્ર સિંહ કહે છે, “પહેલાં હું માત્ર ઉદાસ હતો, હવે હું સંપૂર્ણપણે નિરાશ અને નિરસ રહું છું.” તેઓ લખનૌની એક ખાનગી કોલેજમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે કામ કરે છે અને ભાડાના મકાનમાં રહે છે. કજરી સહિત તેમનાં પત્ની અને બે પુત્રીઓ ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લામાં પોતાની માલિકીના મકાનમાં રહે છે.
ધીરેન્દ્ર કહે છે, “મેં લગભગ 15 વર્ષથી લખનૌની વિવિધ કંપનીઓ અથવા કોલેજોમાં સુરક્ષા ગાર્ડ તરીકે કામ કર્યું છે. પરંતુ 2021થી, હું એક જગ્યાએ નોકરી ટકાવી રાખી શક્યો નથી, કારણ કે મારે કજરીને પોલીસ નિવેદનો ને પરીક્ષણો વગેરે આપવા માટે આખો દિવસ રજા પાડવી પડે છે. જ્યારે હું વારંવાર રજા માગું છું ત્યારે મને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવે છે. પછી, મારે ફરીથી નવી નોકરી શોધવી પડે છે.”
ધીરેન્દ્ર મહિને 9,000 રૂપિયા કમાય છે, જે તેમના પરિવારના ખર્ચ માટે પૂરતા નથી. “હું કજરીને વારંવાર લખનૌ લાવી શકતો નથી. કારણ કે તેમાં તેની સલામતી અને હું જે થોડી ઘણી કમાણી કરું છું તે તો જોખમાય જ છે, પરંતુ પ્રશ્ન એ છે જે ત્યાં પણ કોઈ કામ કરતા નથી.”
કજરી મળી ત્યારથી છેલ્લા સાડા ત્રણ વર્ષમાં ન્યાય માટેના તેમના પ્રયત્નો સફળ રહ્યા નથી. લીગલ એઇડ ઓફિસ, મોહનલાલગંજના પોલીસ સ્ટેશન અને લખનૌના કૈસરબાગની જિલ્લા અદાલતમાં અનેક વાર ધક્કા ખાધા પછી પણ કજરીના નિવેદનને ક્રિમિનલ પ્રોસિજર કોડ (CrPC)ની કલમ 164 મુજબ મેજિસ્ટ્રેટ સમક્ષ નોંધવામાં આવ્યું નથી. આ પાછળનું કારણ સમજાવતાં ધીરેન્દ્ર કહે છે, “કોર્ટ 2020થી પોલીસને એફ.આઈ.આર. માટે પૂછી રહી છે.” કજરી 2020માં મળી આવી હતી.
ધીરેન્દ્રએ આ બાબતે એક માત્ર એફ.આઈ.આર. ડિસેમ્બર 2010માં કજરીના ગુમ થયાના બે દિવસ પછી, ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 363 અને 364 હેઠળ અપહરણના આરોપો સાથે નોંધાવી હતી. તે દસ્તાવેજ હવે ફાટી ગયો છે અને તેના પરના હસ્તાક્ષરો પણ ભુંસાવા લાગ્યા છે. 14 વર્ષ પછી તેમાંથી કંઈ વધારે વાંચી શકાતું નથી. પોલીસ પાસે આ 2010ની એફ.આઈ.આર.ની ડિજિટલ કે ફિઝિકલ કોઈ નકલ નથી. તેઓ કહે છે કે 2020માં કજરીના બચાવ પછી બહાર આવેલા તથ્યો સાથે ફોલોઅપ એફ.આઈ.આર. દાખલ કરવા માટે તે જરૂરી છે.
બીજા શબ્દોમાં કહીએ તો, કોર્ટને જે ‘2020ની એફ.આઈ.આર.’ની જરૂર છે તે અસ્તિત્વમાં જ નથી અને તેથી કજરીનો કેસ ન્યાયિક પ્રણાલીમાં (માન્ય) પણ નથી.
![](/media/images/03a-IMG_4455-JM-They_would_keep_me_barefoo.max-1400x1120.jpg)
![](/media/images/03b-IMG_4482-JM-They_would_keep_me_barefoo.max-1400x1120.jpg)
કજરીના પિતા ધીરેન્દ્રએ ન્યાય મેળવવા માટે અનેક પ્રયાસો કર્યા છે, પરંતુ કજરી મળી આવ્યાના સાડા ત્રણ વર્ષમાં તેઓ બહુ ઓછા સફળ થયા છે. લીગલ એઇડ ઑફિસ, મોહનલાલગંજના પોલીસ સ્ટેશન અને લખનૌના કૈસરબાગમાં આવેલી જિલ્લા અદાલતોમાં અનેક ધક્કા ખાવાથી પણ કંઈ થયું નથી
![](/media/images/04a-IMG_4478-JM-They_would_keep_me_barefoo.max-1400x1120.jpg)
![](/media/images/04b-IMG_4440-JM-They_would_keep_me_barefoo.max-1400x1120.jpg)
ડાબે: કજરી તેનાં માતા-પિતા સાથે. જમણે: ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લામાં આવેલું તેમનું ઘર
આ કેસની જાણકારી ધરાવતા લખનૌ સ્થિત સ્વતંત્ર વકીલ અપૂર્વ શ્રીવાસ્તવ કહે છે, “કજરીને બચાવી લેવામાં આવતાં જ તે મહિલા સામે એફ.આઈ.આર. નોંધાવી જોઈતી હતી જેના ઘરમાંથી તે મળી આવી હતી. 2010માં જ્યારે તે ગુમ થઈ હતી, ત્યારે જે એફ.આઈ.આર. દાખલ કરવામાં આવી હતી તેમાં માત્ર અપહરણના આરોપોનો જ સમાવેશ થાય છે. પરંતુ જ્યારે તેને બચાવી લેવામાં આવી ત્યારે માનવ તસ્કરી અને જાતીય હુમલાના ગુનામાં વધુ ગંભીર IPCની કલમો સાથે એફ.આઈ.આર. નોંધાવવી ખૂબ જરૂરી હતી. કજરીના નિવેદનને પોલીસ અને મેજિસ્ટ્રેટ સમક્ષ વહેલામાં વહેલી તકે નોંધવામાં આવવું જોઈતું હતું. મેજિસ્ટ્રેટ સમક્ષનું નિવેદન આજ દિન સુધી બાકી છે.”
કજરીને બચાવ્યાના 48 કલાકમાં, CrPCની કલમ 161 હેઠળ મોહનલાલગંજ પોલીસ સ્ટેશનમાં તેનું નિવેદન લેવામાં આવ્યું હતું. લખનૌની બે હોસ્પિટલમાં તેની તબીબી તપાસ પણ કરવામાં આવી હતી. પ્રથમ હોસ્પિટલે કજરીના પેટ પર એક ડાઘ હોવાનું, નીચેના જડબાના કેટલાક દાંત ન હોવાનું અને તેના જમણા સ્તન પર ઘેરો ડાઘ હોવાનું નોંધ્યું હતું. બીજી હોસ્પિટલે તેને મનોચિકિત્સા વિભાગમાં તપાસ કરાવવા કહ્યું હતું.
હોસ્પિટલના 2021ના રિપોર્ટમાં એ તારણ છે કે કજરીને 50-55ના IQ સાથે “હળવી માનસિક વિકલાંગતા” છે, જે “50 ટકા અપંગતા” દર્શાવે છે. નિદાન બાદ કજરીને સાત દિવસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં તેણે તેની માનસિક બીમારી માટે કાઉન્સેલિંગ અને સારવાર મેળવી હતી. શ્રીવાસ્તવ કહે છે, “લાંબા સમય સુધી લૈંગિક હુમલા અને માનવ તસ્કરીના કેસ માટે તે પુન:સ્થાપન અપૂરતું છે. આઘાત, અપરાધ અને પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડરના લક્ષણોમાંથી બચી ગયેલી વ્યક્તિને તેમાંથી બહાર લાવવા માટે સતત માનસિક સારવાર અને મનોવૈજ્ઞાનિક કાઉન્સેલિંગ આવશ્યક હોય છે. બાકાત અને કલંક સામે લડવા માટે સામાજિક એકીકરણની ખાતરી કરવી પણ મહત્ત્વપૂર્ણ છે.”
પર્યાપ્ત માનસિક-સામાજિક સમર્થન અને સમયસરની એફ.આઈ.આર.ની ગેરહાજરીમાં, 2010 અને 2020 વચ્ચેના કજરીના જીવનની વિગતો ધૂંધળી છે, અને સમય પસાર થતાં તે વધુ ને વધુ ધૂંધળી થતી જાય છે.
![](/media/images/05a-IMG_4446-JM-They_would_keep_me_barefoo.max-1400x1120.jpg)
![](/media/images/05b-IMG_4438-JM-They_would_keep_me_barefoo.max-1400x1120.jpg)
કજરી પર હુમલો કરવામાં આવ્યો તે વખતના શારીરિક શોષણના નિશાન
“બે લોકો મને લઈ ગયા અને મારું મોં બાંધી દીધું. તેઓ મને બસમાં ચિન્નહટ ખાતે લઈ ગયા,” કજરી ડિસેમ્બર 2010ની સવારને યાદ કરીને ભોજપુરી અને હિન્દીના મિશ્રણવાળી ભાષામાં કહે છે કે તેનું અપહરણ કરવામાં આવ્યું હતું. ચિન્નહટ લખનૌમાં આવેલો એક બ્લોક છે જ્યાંથી કજરીને બચાવી લેવામાં આવી હતી; ભોજપુરી એ ભાષા છે જે તે ઘરમાં બોલાતી હતી જ્યાં તેને બંદી બનાવવામાં આવી હતી. તે વારંવાર ‘નંગે ગોડ રખતે થે’ કહ્યા કરે છે, જેનો અનુવાદ ‘તેઓ મને ઉઘાડાપગે રાખતા’ થાય છે.
પહેલા માળના ઘરના રહેવાસીઓની વાત કરીએ તો, કજરીને રેખા નામની મહિલા સહિત ત્રણ લોકો યાદ છે. તેને ગ્રાઉન્ડ ફ્લોર પર ભાડાના મકાનમાં રહેતા કેટલાક ભાડૂતોને પણ યાદ છે.
કજરી કહે છે, “મને દિવસમાં બે વાર બે રોટલી આપવામાં આવતી. તેનાથી વધુ કંઈ આપવામાં ન આવતું. મને હંમેશાં ઉઘાડા પગે રાખવામાં આવતી હતી. શિયાળામાં પણ તેઓ મને ક્યારેય ધાબળો કે ચાદર ન આપતાં. મને જે અપાયું હતું તે હતું ફાટેલાં, જૂના કપડાં… જ્યારે મને મહીના [માસિક સ્રાવ] આવતો ત્યારે રેખા મને ગંદાં કપડાં આપતી. ક્યારેક તે મને પોછા [પોતું] વાપરવાનું પણ કહેતી.”
તેને યાદ છે કે તે કચરા-પોતું કરવાનું, રસોઈ બનાવવાનું, શૌચાલય સાફ કરવા અને કપડાં ધોવા જેવાં કામ કરતી હતી, પણ એકેય સમયે હિંસાની છાયા અને ધમકી તેનાથી દૂર નહોતી. એક વાર, રેખાએ કજરીના ચહેરા પર કથિત રીતે મુક્કો માર્યો હતો, કારણ કે તેને કજરીએ બનાવેલું ભોજન સારું નહોતું લાગ્યું. તેનાથી તેના આગળના જડબાના દાંત તૂટી ગયા હતા.
કજરી લાદી તરફ જોઈને ઉમેરે છે, “જ્યારે મને માસિક ન આવતી, ત્યારે તે મને એક ઓરડામાં લઈ જતી.” ઘરમાં રહેતો એક માણસ “ઓરડો અંદરથી બંધ કરતો, મારાં કપડાં ઉતારતો, મારા પર સૂતો અને જે ઈચ્છતો તે મારી સાથે કરતો. હું તેને રોકવાનો પ્રયત્ન કરતી, પણ તે મારી પર દબાણ કરતો અને પછી તેના ભાડૂતોને પણ આવું કરવા માટે બોલાવતો. તેઓ મને તેમની વચ્ચે સુવડાવતા.”
![](/media/images/06a-IMG_4490-JM-They_would_keep_me_barefoo.max-1400x1120.jpg)
![](/media/images/6b-IMG_4486-JM-They_would_keep_me_barefoot.max-1400x1120.jpg)
ડાબે: કજરીના પગ અને પેટ પર થયેલી ઈજાના ફોટા. જમણે: તેના પિતાએ આ કેસ અંગેના તમામ સંબંધિત દસ્તાવેજો અને માહિતી એકત્ર કરી છે અને તે લોખંડના કબાટમાં કાળજીપૂર્વક સાચવીને રાખી છે
ધીરેન્દ્ર ઉમેરે છે કે જ્યારે તેને પ્રથમ વખત બચાવી લેવામાં આવી ત્યારે કજરીએ આરોપ મૂક્યો હતો કે “રેખા તેના ઘરનાં કામ કરવા માટે અને ભાડૂતોને મારા પર બળાત્કાર કરવા દેવા તેમની પાસેથી પૈસા લીધા હતા.”
આ પિતા હવે કંટાળી ગયા છે. તેઓ કહે છે, “અમે જાન્યુઆરી 2021થી ધક્કા ખાઈ રહ્યાં છીએ.” અહીં ‘અમે’માં સ્થિર કાનૂની મદદનો સમાવેશ થતો નથી. મહિલાઓ સામેની હિંસા માટે વિના મૂલ્યે કેસ લડતી લખનૌ સ્થિત બિનનફાકારક કાનૂની સહાય સંસ્થા એસોસિયેશન ફોર એડવોકસી એન્ડ લીગલ ઇનિશિયેટિવ્સ ટ્રસ્ટ (AALI) એ 2020માં વન-સ્ટોપ સેન્ટર મારફતે તેમનો સંપર્ક કર્યો હતો. ત્યારથી, કજરીના કેસમાં ઓછામાં ઓછા ચાર વકીલો બદલાયા છે.
AALIના વર્તમાન વકીલે ધીરેન્દ્રને નવી ફરિયાદનો ડ્રાફ્ટ મોકલ્યો જેના આધારે એફ.આઈ.આર. દાખલ કરી શકાય. જ્યારે પિતાએ કેટલીક હકીકતલક્ષી ભૂલો દર્શાવી, ત્યારે વકીલે તેમને ઠપકો આપ્યો, જેનાથી મડાગાંઠ સર્જાઈ. ધીરેન્દ્રએ ડ્રાફ્ટ પર હસ્તાક્ષર કર્યા નથી, અને વકીલે સુધારેલો મુસદ્દો પણ મોકલ્યો નથી.
ધીરેન્દ્ર કહે છે, “જ્યારે કોઈ ફોન ખોવાઈ જાય છે, ત્યારે તેઓ દુનિયાને ઊંચી ચત્તી કરી નાખે છે, પરંતુ અહીં મારી પુત્રીને 10 વર્ષ સુધી માનવ તસ્કરીનો ભોગ બની હતી અને તેને ગુલામ બનાવવામાં આવી હતી, તેમ છતાં કંઈ થયું નથી.” દસ્તાવેજો, પરબિડીયાં અને છબીઓનો એક મોટો, કાળજીપૂર્વક સાચવેલ ઢગલો — 2010થી કજરીના કેસ માટે તેમણે એકત્રિત કરેલી દરેક માહિતીનો ટુકડો તેમના લોખંડના કબાટના લોકરમાં પડેલો છે, જે તેમની દ્રઢતાના સંકલ્પનો પુરાવો છે.
આ વાર્તા ભારતમાં સેસ્કયુઅલ એન્ડ જેન્ડર-બેઝ્ડ વાયોલન્સ (એસજીબીવી - જાતીય અને લિંગ આધારિત હિંસા) ના ઉત્તરજીવીઓ (બચી ગયેલ પીડિતાઓ) ની સંભાળ રાખવામાં, તેમની સુરક્ષા જાળવવામાં અને તેમની જરૂરિયાતો સંતોષવામાં નડતા સામાજિક, સંસ્થાકીય અને માળખાકીય અવરોધો પર ધ્યાન કેન્દ્રિત કરતા રાષ્ટ્રવ્યાપી અહેવાલ પ્રકલ્પ (રિપોર્ટિંગ પ્રોજેક્ટ) નો એક ભાગ છે. આ ડોકટર્સ વિથાઉટ બોર્ડર્સ ઈન્ડિયા દ્વારા સમર્થિત પહેલનો એક ભાગ છે.
ઉત્તરજીવીઓ અને તેમના પરિવારના સભ્યોના નામ તેમની ઓળખ છુપી રાખવા માટે બદલવામાં આવેલ છે.
અનુવાદક: ફૈઝ મોહંમદ