અહીં માજુલીમાં ગાયના છાણ, માટી અને વાંસનો ઉપયોગ કરીને મહોરાં બનાવવામાં આવે છે. બ્રહ્મપુત્રાના આ ટાપુ પર કારીગરોની પેઢીઓની પેઢીઓ આ કૌશલ્યનો અભ્યાસ કરે છે. કારીગર અનુપમ ગોસ્વામી કહે છે, “અમારી સંસ્કૃતિ માટે મહોરાં મહત્વપૂર્ણ છે, અને અમે હજી આજે પણ મહોરાં બનાવી રહેલા કેટલાક છેલ્લા થોડાઘણા પરિવારોમાંથી એક છીએ.” અહીં બનાવેલા સરળ મહોરાં અને ઝીણવટપૂર્વક તૈયાર કરેલા જટિલ મહોરાં બ્રહ્મપુત્રાના આ ટાપુ પર ઉજવાતા વાર્ષિક નાટ્યકાર્યક્રમોમાં અને દેશભરના તહેવારોમાં પહેરાય છે.
25 વર્ષના અનુપમ કહે છે, “મારી પારિવારિક પરંપરાને આગળ લઈ જવાની મારી જવાબદારી છે." તેમનો પરિવાર પેઢીઓથી આ કામ કરી રહ્યો છે અને નવ જણના આ પરિવારની દરેક વ્યક્તિ આ હસ્તકલા સાથે સંકળાયેલ છે.
44 વર્ષના ધીરેન ગોસ્વામી કહે છે, “દુનિયાભરમાંથી ઘણા પ્રવાસીઓ માજુલીની મુલાકાતે આવે છે અને સંભારણા તરીકે તેઓ મહોરાં ખરીદે છે." તેઓ અનુપમના કાકા છે, તેઓ પરિવારની માલિકીની દુકાનમાં વિવિધ કદના મહોરાં વેચે છે. એક મહોરાની કિંમત 300 રુપિયા હોય છે પણ ખાસ જરૂરિયાત પ્રમાણે ફેરફારો કરીને બનાવેલા મોટા મહોરાની કિંમત 10000 રુપિયા જેટલી ઊંચી પણ જઈ શકે છે.
માજુલી એ ભારતનો સૌથી મોટો નદી-ટાપુ છે અને 2011 ની વસ્તી ગણતરી મુજબ તેને '62 સત્રો [વૈષ્ણવ મઠો] સાથે આસામી વૈષ્ણવ ધર્મ અને સંસ્કૃતિનું મુખ્ય કેન્દ્ર માનવામાં આવે છે'.












