તમિળનાડુના વડનમ્મેલી ગામમાં મોડી સાંજનો સમય છે. શ્રી પુન્નીઅમ્મન તેરુક્કૂત મન્ડ્રમના સભ્યો કારિયક્કૂતની રજૂઆત માટે તૈયાર થઈ રહ્યા છે. હંમેશની જેમ, આ પણ અનેક પાત્રો અને બહુવિધ વેશભૂષાના બદલાવ સાથેનો એક સાંજથી શરુ કરીને સવાર સુધી ચાલનારો ખેલ છે.
નેપથ્યમાં 33 વર્ષના શર્મીએ મેક-અપ કરવાનું શરૂ કરી દીધું છે. પોતાની લિપસ્ટિક બનાવવા તેલમાં લાલ પાવડર ભેળવતી વખતે તેઓ અરિદારમ (મેક-અપ) ના કેટલાક મૂળભૂત નિયમો સમજાવે છે: “પુરુષો અને મહિલાઓ માટેના અરિદારમ અલગ-અલગ હોય છે. પાત્ર અને ભૂમિકાની લંબાઈ પ્રમાણે પણ તે અલગ-અલગ હોય છે.”
શર્મી, તમિળનાડુના સૌથી જૂના પર્ફોર્મિંગ આર્ટ સ્વરુપોમાંના એક મનાતા તેરુક્કૂતને સમર્પિત રંગભૂમિ કંપની શ્રી પુન્નીઅમ્મન તેરુક્કૂત મન્ડ્રમ ખાતે 17-સભ્યોની ટીમના ચાર પરલૈંગિક કલાકારોમાંના એક છે. શર્મી કહે છે, “મારી પહેલાની પેઢીના લોકો પણ તેરુક્કૂત કરતા હતા. એ કેટલું જૂનું છે એનો મને ચોક્કસ ખ્યાલ નથી."
તેરુક્કૂત અથવા શેરી નાટક, મહાકાવ્યોની, સામાન્ય રીતે મહાભારત અને રામાયણની વાર્તાઓ પર આધારિત હોય છે, તેના ખેલ આખી રાત ચાલતા હોય છે. તેરુક્કૂતની સીઝન સામાન્ય રીતે પંગુનિ (એપ્રિલ) અને પુરટ્ટાસિ (સપ્ટેમ્બર) મહિનાની વચ્ચે આવે છે. આ સમયગાળા દરમિયાન શર્મી અને તેમની ટુકડી લગભગ દર અઠવાડિયે તેરુક્કૂતના ખેલ કરે છે, એક મહિનામાં તેઓ લગભગ 15-20 ખેલ કરે છે. એક ખેલના 700-800 રુપિયા લેખે કલાકાર દીઠ 10000-15000 ની આવક થાય.
જો કે, એકવાર સીઝન પૂરી થઈ જાય પછી આ કલાકારોને આવકના વૈકલ્પિક સ્ત્રોતો શોધવાની ફરજ પડે છે, જેમાં તેરુક્કૂતની ધાર્મિક વિધિ-આધારિત આવૃત્તિ, કારિયક્કૂત, જેના ખેલ માત્ર અંતિમ સંસ્કાર વખતે જ કરવામાં આવે છે તેનો પણ સમાવેશ થાય છે. શર્મી કહે છે, “કોઈનું મૃત્યુ થાય તો અમને અઠવાડિયાના એક કે બે ખેલ મળે." તેઓ તિરુવલ્લુર જિલ્લામાં પટ્ટરઈપેરુમ્બુદુરમાં આવેલા તેમની નાટક કંપનીના ઘરથી લગભગ 60 કિલોમીટર દૂર વડનમ્મેલીમાં કારિયક્કૂતના ખેલની તૈયારી કરી રહ્યા હતા.
























