કોઈએ જીવવિજ્ઞાનમાં એમ.એસ.સી. કર્યું છે, કોઈ આર્મીમાં જવાન છે, કોઈ ગૃહિણી છે, તો કોઈએ ભૂગોળમાં સ્નાતક કર્યું છે.
અત્યારે ઉનાળાના દિવસો છે અને રાંચીના વ્યસ્ત વિસ્તારમાં, ખાસ કરીને સંવેદનશીલ આદિવાસી સમુદાયો (પી.ટી.વી.જી.) નું આ જૂથ આદિવાસી ભાષાઓ પરની એક લેખન કાર્યશાળામાં ભાગ લેવા માટે ઝારખંડના આદિવાસી સંશોધન કેન્દ્ર (ટી.આર.આઈ.) માં આવ્યું છે.
માલ પહાડિયા આદિમ જાતિના માવણો-ભાષી 24 વર્ષીય જગન્નાથ ગિરહી કહે છે, “અમે ઇચ્છીએ છીએ કે અમારા ઘરનાં બાળકો તેમની ભાષામાં જ અભ્યાસ કરે.” તેઓ ડુમલા જિલ્લાના પોતાના ગામથી 200 કિમીથી વધુની મુસાફરી કરીને રાંચી આવ્યા છે અને ટી.આર.આઈ.માં તેમની માવણો ભાષાનું વ્યાકરણ લખી રહ્યા છે, જેને લુપ્તપ્રાય ભાષા માનવામાં આવે છે.
જગન્નાથ કહે છે, “અમે પણ ઇચ્છીએ છીએ કે અમારી ભાષામાં કોઈ પુસ્તક લખાય.” તેઓ તેમના ગામમાં એક માત્ર વ્યક્તિ છે જેઓ આટલું બધું ભણેલા છે, અને જીવવિજ્ઞાનમાં એમ.એસ.સી.ની પદવી મેળવી છે. તેઓ કહે છે, “યુનિવર્સિટીમાં જે સમુદાયની સંખ્યા વધારે હોય, તે સમુદાયની ભાષામાં શિક્ષણ આપવામાં આવે છે. ઝારખંડ સ્ટાફ પસંદગી આયોગ (જે.એસ.એસ.સી.) નો અભ્યાસક્રમ ખોરઠા અને સંતાલી જેવી ભાષાઓમાં સરળતાથી ઉપલબ્ધ છે, પરંતુ અમારી ભાષા [માવણો]માં તે ઉપલબ્ધ નથી.”
“જો આવું જ ચાલતું રહેશે, તો અમારી ભાષા ધીરે ધીરે લુપ્ત થઈ જશે.” ઝારખંડમાં, માલ પહાડિયા બોલતી વસ્તી લગભગ 15 ટકા છે; બાકીની વસ્તી પડોશી રાજ્યોમાં રહે છે.
તેમની ભાષા, માવણો, દ્રવિડિયન પ્રભાવ ધરાવતી ઈન્ડો-આર્યન ભાષા છે, જેને 4,000થીય ઓછા લોકો બોલે છે અને તેથી તેને લુપ્તપ્રાય ભાષા ગણવામાં આવે છે. તેને સત્તાવાર ભાષાનો દરજ્જો નથી મળ્યો. ઝારખંડમાં હાથ ધરાયેલા ભારતીય ભાષા સર્વેક્ષણ (એલ.એસ.આઈ.) અનુસાર, માવણોનો ઉપયોગ શાળાઓમાં ભણાવવા માટે નથી થતો, કે તેની પોતાની અલગ લિપિ પણ નથી.









