"મિર્ચી, લેહસુન, અદ્રક... દૂધીના પાન, કરેલા...ગોળ."
આ મરચાં, લસણ, આદુ, કારેલામાંથી બનાવવાની ખાવાની વાનગીની રેસીપી નથી…પરંતુ જૈવિક ખેતી કરતા ખેડૂત ગુલાબરાનીના અસરકારક ખાતર અને જંતુનાશકની રેસિપી છે જે તેઓ અહીં પન્ના ટાઈગર રિઝર્વ (વાઘ અભ્યારણ્ય) ની ખૂબ નજીક આવેલા ચુંગુના ગામમાં બનાવે છે.
આ યાદી પહેલી વખત સાંભળી હતી ત્યારે તેઓ મોટેથી હસી પડ્યા હતા એ વાત આ 53 વર્ષના મહિલા યાદ કરે છે. તેઓ ઉમેરે છે, “મેં વિચાર્યું હતું, આ બધું મને મળશે ક્યાંથી? પરંતુ મારી પાસે જંગલમાં ઉગતી દૂધી તો હતી...” ગોળ જેવી બીજી સામગ્રી તેમણે બજારમાં ખરીદવી પડી હતી.
તેઓ શું ઉકાળી રહ્યા છે એ જાણવા ઉત્સુક વહેમી પડોશીઓએ મદદ કરી નહોતી. પરંતુ બીજા લોકો શું વિચારશે એવું વિચારીને ગુલાબરાની ક્યારેય પરેશાન નથી થયા - અને તેથી જ તેમના લગભગ 500 લોકોની વસ્તી ધરાવતા ગામમાં જૈવિક ખેતી તરફ આગળ વધનાર તેઓ સૌથી પહેલા હતા એ વાત નવાઈ પમાડે એવી નથી.
ઘરમાં ચાર વર્ષ પહેલાં થયેલી વાતચીત યાદ કરતાં તેઓ કહે છે, "આપણે બજારમાંથી જે ખાદ્યપદાર્થો ખરીદીએ છીએ તેમાં દવાઓ હોય છે અને તેમાં જાતજાતના રસાયણોના ઈંજેક્શન આપવામાં આવે છે, તેથી અમે વિચાર્યું કે એવું શા માટે ખાવું."
તેઓ ઉમેરે છે, “મારા પરિવારે વિચાર્યું કે જૈવિક ખેતી એ એક સારો વિચાર હતો. અમે બધાએ વિચાર્યું કે જો અમે જૈવિક [પદ્ધતિથી ઉગાડવામાં આવેલો] ખોરાક ખાઈશું તો અમારા સ્વાસ્થ્યને પણ ફાયદો થશે." તેઓ મજાક કરતા કહે છે, "જૈવિક ખાતરોથી જીવાતોનું સ્વાસ્થ્ય બગડે છે, આપણું સ્વાસ્થ્ય સુધરે છે!”
















