"હું સરકારને વિનંતી કરું છું કે હવે ઊંઘતી ના રહે..."
તે હતા અપ્રતિમ હૌસાબાઈ પાટિલ, આઝાદીના ઉલ્કાસ્વરૂપ લડવૈયા, એક પ્રભાવશાળી નેતા, ખેડૂતો, ગરીબો અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા સૌના અણનમ વકીલ. આ શબ્દો નવેમ્બર 2018 માં સંસદભવન સુધી નીકળેલી ખેડૂતોની વિશાળ રેલીને સંબોધતા તેમણે મોકલેલા વીડિયો સંદેશના હતા.
"ખેડૂતોને તેમના પાક માટે સારા ભાવ મળવા જોઈએ," તેઓ વીડિયોમાં ઊંચા સાદે બોલ્યા. "આ ન્યાય મેળવવા માટે, હું જાતે ત્યાં આવીશ" અને રેલીમાં જોડાઈશ, તેઓએ પ્રદર્શનકારીઓને કહ્યું. ભલે એ સમયે તેઓ લગભગ 93 વર્ષના હતા અને તેમની તબિયત પણ સારી નહોતી. તેમણે સરકારને ચેતવણી આપી કે "ઊંઘતા ના રહેવું અને ગરીબોને માટે જાગ્રત થઈને કામ કરવું."
23 સપ્ટેમ્બર, 2021 ના રોજ, 95 વર્ષની ઉંમરે હંમેશા જાગૃત અને સતર્ક હૌસાબાઈ જ્યારે સાંગલીમાં પોતાની આખરી નિદ્રામાં પોઢી ગયા ત્યારે તેમની ઉમર 95. મને એમની ખોટ કોણ જાણે કેટલી સાલશે.
1943 અને 1946 ની વચ્ચે, હૌસાબાઈ (મોટેભાગે હૌસાતાઈ તરીકે ઓળખાય છે; 'તાઈ' મરાઠીમાં મોટી બહેન માટે આદરણીય સંદર્ભ છે) ક્રાંતિકારીઓની એ ટુકડીના સાથી હતા જે બ્રિટીશ ટ્રેનો પર હુમલો કરતી, પોલીસના શસ્ત્રાગારો લૂંટતી તેમજ બ્રિટીશ રાજ દ્વારા કોર્ટરૂમથી માંડીને અનેક જુદા જુદા વહીવટીય હેતુઓ માટે ઉપયોગમાં લેવામાં આવતા ડાક બંગલાને આગ લગાવતી. તેમણે પ્રતિ સરકારની સશસ્ત્ર પાંખ તરીકે જોડાયેલા એક ક્રાંતિકારી જૂથ, તુફાન સેના ('વ્હર્લવિન્ડ આર્મી') સાથે કામ કર્યું, જે જૂથે સાતારાની વચગાળાની ભૂગર્ભ સરકાર સ્થાપી 1943 માં બ્રિટીશ શાસનથી સ્વતંત્રતા જાહેર કરી હતી.
1944 માં, તેમણે એ સમય પોર્ટુગીઝ શાસન હેઠળના ગોવામાં ભૂગર્ભ કાર્યોમાં પણ ભાગ લીધો, અને મધ્યરાત્રિએ બે તરવૈયા સાથીઓની સંગાથે લાકડાની પેટી ઉપર બેસીને માંડોવી નદીની પાર કરી. પરંતુ તેમણે હંમેશા ભારપૂર્વક કહેતા, "મેં સ્વતંત્રતા સંગ્રામમાં થોડું નાનું મોટું કામ કરેલું ... મેં કોઈ વિશેષ કે મહાન કામ કર્યું નથી." તેમના વિષે વધુ જાણવા માટે કૃપા કરીને આ વાંચો- મારી પોતાની અને મને પ્રિય એવી વાર્તાઓમાંની એક: હૌસાબાઈનું ના ગવાયેલું સાહસ


