રત્નવ્વા એસ. હરિજન કહે છે, “હું જન્મી ત્યારથી આવું જ છે. મેં શ્રમિક તરીકે કામ કર્યું છે." ઓગસ્ટની એક ધૂંધળી સવારે રત્નવ્વા ઝડપભેર પોતાને ઘેરથી ખેતરમાં જઈ રહ્યા છે, ત્યાં તેઓ દાડિયા મજૂરી કરે છે. ઊંચા અને સહેજ ઝૂકેલા શરીરે તેઓ ઝડપભેર આગળ વધે છે, તેમની આ ઝડપ તેમને કિશોર વયથી જ થયેલી પગની તકલીફ ઢાંકવા પૂરતી છે.
ખેતરમાં પહોંચ્યા પછી તેઓ પોતાની સાથે લાવેલા કામ કરતી વખતે પહેરવાના કપડા બહાર કાઢે છે. સૌથી પહેલા તેઓ સાડી ઉપર પહેરેલા ફાટેલા મેલા વાદળી શર્ટમાં હાથ નાખે છે, અને પછી પરાગરજથી બચવા તેમની કમરની આસપાસ લાંબી, છાપવાળી પીળી - નાઈટી લપેટે છે. તેની ઉપર તેઓ ભીંડાના છોડના થોડાક ગંડુ હુવુ ('નર પુષ્પ') લઈ જવા વાદળી શિફોન કાપડ થેલીની માફક બાંધે છે. પોતાના માથાની ફરતે ઝાંખા સફેદ ટુવાલ સાથે 45 વર્ષના રત્નવ્વા તેમના ડાબા હાથમાં દોરાનું ઝૂમખું પકડીને પોતાનું કામ શરૂ કરે છે.
તેઓ એક ફૂલ પસંદ કરે છે, અને નરમાશથી પાંખડીઓને વાળે છે અને નર શંકુમાંથી દરેક પુષ્પયોનિમાં પરાગરજ ફેલાવે છે. તે પોલિનેટેડ (પરાગાધાન) કરેલા પુષ્પયોનિની આસપાસ દોરો બાંધીને તેમને ચિહ્નિત કરે છે. પોતાની પીઠ વાળેલી રાખીને તેઓ ખેતરમાં ભીંડાના છોડની હરોળમાંના દરેક ફૂલને લયબદ્ધ રીતે પોલિનેટ/ પરાગાધાન કરે છે. તેઓ હાથેથી પરાગનયન કરાવવામાં કુશળ છે - નાનપણથી તેઓ આ વ્યવસાયમાં છે.
રત્નવ્વા કર્ણાટકના દલિત જાતિના મડીગા સમુદાયના છે. તેઓ કર્ણાટકના હવેરી જિલ્લાના રાણીબેન્નુર તાલુકાના કોનાનાટલી ગામના માડીગરા કેરી (મડીગા ક્વાર્ટર) માં રહે છે.












