કમલજીત કૌર કહે છે કે, “ન તો મારી પાસે ખેતર છે, ન તો મારા પૂર્વજો પાસે હતું. તેમ છતાં હું અહીં આપણા ખેડૂતોને મારાથી શક્ય તેટલી મદદ કરવા માટે હાજર છું, કેમ કે મને બીક છે કે જો હું આજે આવું નહિ કરું, તો આવતીકાલે મારા બાળકોને ખવડાવવા માટે મારે નિગમોના લોભ સામે લડવું પડશે.”
૩૫ વર્ષના કમલજીત પંજાબના લુધિયાણા શહેરમાં શિક્ષિકા છે, અને સિંધુ ખાતે છાંયડાવાળી જગ્યાએ એમની કેટલીક સહેલીઓ સાથે બે સીવણ મશીન ચલાવી રહયા છે. તેઓ વારાફરતી વિરોધ પ્રદર્શન સ્થળે આવે છે અને આવ્યા પછી ત્રણ દિવસ રોકાય છે, અને કોઈ પૈસા લીધા વિના આંદોલનકારી ખેડૂતોના શર્ટના તૂટેલા બટન ટાંકી આપે છે અને ફાટેલા સલવાર-કમીઝની સિલાઈ કરી આપે છે. એમની પાસે રોજના લગભગ ૨૦૦ લોકો આવે છે.
સિંધુ ખાતે આવી અનેક સેવાઓ વિભિન્ન રૂપમાં ઉપલબ્ધ છે અને ખૂબ જ ઉદાર રીતે – અને આ બધું આંદોલન સાથે સમર્થન દર્શાવવા.
સેવાઓ આપનારાઓમાં એક ઈર્શાદ (આખું નામ ઉપલબ્ધ નથી) પણ છે. સિંઘુ સરહદથી લગભગ ચાર કિલોમીટર દૂર કુંડલી ઔદ્યોગિક ક્ષેત્ર સ્થિત ટીડીઆઈ મોલની બહાર એક સાંકડા ખૂણામાં તેઓ એક શીખ આંદોલનકારીના માથામાં જોરથી માલિશ કરી રહ્યા છે. ત્યાં અન્ય લોકો પોતાનો વારો આવવાની વાટ જોઈ રહ્યા છે. કુરુક્ષેત્રના રહેવાસી ઈર્શાદ વ્યવસાયે વાળંદ છે, અને કહે છે કે તેઓ અહીં બિરાદરી – ભાઈચારાની ભાવનાથી આવ્યા છે.
પંજાબથી સિંઘુ સુધી ખીચોખીચ ભરેલી ટ્રોલીઓમાં કલાકો સુધી સફર કરવાથી દુખતા સ્નાયુઓને મફત માલિશ કરાવવા ઘણા લોકો આ જ રસ્તે પોતાની મીની-ટ્રકની બહાર બેઠેલા સરદાર ગુરમિક સિંહની આજુબાજુ બેઠા છે. પોતે અહીં મદદ કરવા શા માટે આવ્યા તે જણાવતા તેઓ (ગુરમિક સિંહ) કહે છે, “આ સમયે તેઓ (આંદોલનકારીઓ) બીજા અનેક પ્રકારની વેદનાઓમાંથી પસાર થઇ રહ્યા છે...."
ચંદીગઢના ડૉક્ટર સુરિંદર કુમાર માટે સિંઘુ ખાતે અન્ય ડૉકટરોની સાથે મળીને ચિકિત્સા શિબિર ચલાવવી એ સેવાનું જ સ્વરૂપ છે. આ વિરોધ પ્રદર્શન સ્થળે ચાલતી ઘણી ચિકિત્સા શિબિરોમાંની એક છે – જેમાંથી કેટલીક તો કોલકાતા કે હૈદરાબાદ જેવા દૂર દૂરના વિસ્તારોથી અહીં આવેલા ડૉક્ટરો દ્વારા ચલાવવામાં આવે છે. સુરિંદર કહે છે કે, “દિનપ્રતિદિન હાડ થીજાવી નાખતી ઠંડીનો સામનો કરી રહેલા વૃધ્ધો કે જેમાંથી અમુક તો ખુલ્લા રસ્તાઓ પર રહે છે તેમની સેવા કરીને અમે સ્નાતકની પદવી ગ્રહણ કરતી વેળા લીધેલી પ્રતિજ્ઞા પાળવાની કોશિશ કરીએ છીએ.”

















