સવારના 6 વાગ્યા છે અને સરન્યા બલરામન ગુમડીપુંડી ખાતેના તેમના ઘેરથી નીકળી રહ્યાં છે. ચેન્નાઈ નજીક તિરુવલ્લુર જિલ્લાના આ નાનકડા શહેરમાં રેલવે સ્ટેશન પર, તેઓ તેમનાં ત્રણ બાળકો સાથે લોકલ ટ્રેનમાં ચઢે છે. લગભગ બે કલાક પછી તેઓ 40 કિલોમીટર દૂર ચેન્નાઈ સેન્ટ્રલ સ્ટેશને પહોંચે છે. અહીંથી, આ માતા અને તેમનાં બાળકો શાળાએ પહોંચવા માટે લોકલ ટ્રેન દ્વારા વધુ 10 થી 12 કિલોમીટરની મુસાફરી કરે છે.
સાંજે 4 વાગ્યે, આનાથી અવળી દિશામાં મુસાફરી થાય છે, અને તેઓ ઘેર પાછાં ફરે ત્યાં સુધીમાં સાંજના 7 વાગી જાય છે.
ઘરથી શાળા અને શાળાથી ઘરની 100 કિલોમીટરથી વધુની આ મુસાફરી અઠવાડિયામાં પાંચ વખત કરવામાં આવે છે. સરન્યા માટે આ એક સિદ્ધિ છે, જેવું કે તેઓ સમજાવે છે: “અગાઉ [તેમના લગ્ન પહેલાં], મને ખબર નહોતી કે બસ કે ટ્રેનમાં જવા માટે ક્યાંથી ચડવું. અથવા તો ક્યાં નીચે ઉતરવું.”

























