જ્યારે જ્યારે અનારુલ ઇસ્લામ તેમની જમીન પર કામ કરવા જાય છે ત્યારે તેમણે આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરવી પડે છે. આવું કરતા પહેલાં તેમણે વિસ્તૃત પ્રોટોકોલ (શિષ્ટાચાર) અનુસરવા પડે છે અને સુરક્ષા તપાસ કરાવવી પડે છે. તેમણે ઓળખનો પુરાવો જમા કરાવવો પડે છે (તેઓ તેમનું મતદારનું કાર્ડ તેમની સાથે રાખે છે), નોંધણીપત્રકમાં સહી કરવી પડે છે અને જડતી લેવડાવવી પડે છે. તેઓ જે કોઈ ખેતઓજારો સાથે લઈ જાય છે તે તમામની તપાસ કરાય છે. અને જે તે દિવસે તેમની સાથે જો તેમની ગાયો લઈ જતા હોય તો ગાયોના ફોટાની પ્રિન્ટ પણ જમા કરાવવી પડે છે.
અનારુલ કહે છે, “[એક સમયે] બે કરતા વધારે ગાયો લઈ જવાની મંજૂરી નથી. પાછા ફરતી વખતે મારે ફરીથી સહી કરવી પડે અને ત્યારબાદ મને મારા દસ્તાવેજો પાછા આપવામાં આવે. જો કોઈની પાસે ઓળખનો પુરાવો ન હોય તો, તેમને ત્યાંથી પસાર થવાની મંજૂરી અપાતી નથી.”
અનારુલ ઇસ્લામ - અહીં બધા તેને બાબુલ તરીકે ઓળખે છે - મેઘાલયના દક્ષિણ પશ્ચિમ ગારો હિલ્સ જિલ્લાના બગીચા ગામમાં તેમના પરિવાર સાથે રહે છે. વિશ્વની પાંચમી લાંબી ભૂમિ સરહદ, ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની 4140 કિલોમીટર લાંબી આંતરરાષ્ટ્રીય સરહદમાંથી - મેઘાલય રાજ્યની સરહદનો લગભગ 443 કિલોમીટર ભાગ બાંગલાદેશની સાથે જોડાયેલ છે. મેઘાલયની સરહદનો આ વિસ્તાર કાંટાળા તાર અને કોંક્રિટથી સજ્જ છે./ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 4140 કિલોમીટર લાંબી આંતરરાષ્ટ્રીય સરહદ છે અને તે વિશ્વની પાંચમી લાંબી ભૂમિ સરહદ છે. તેમાંથી 443 કિલોમીટર મેઘાલય રાજ્યની સરહદનો ભાગ છે. મેઘાલયની સરહદનો આ વિસ્તાર કાંટાળા તાર અને કોંક્રિટથી સજ્જ છે.
1980 ના દાયકાની આસપાસ વાડ ઊભી કરવાની શરૂઆત થઈ - જોકે સદીઓથી સ્થળાંતર એ આ પ્રદેશની અર્થવ્યવસ્થા અને ગ્રામીણ આજીવિકાનું અભિન્ન અંગ રહ્યું હતું. ઉપખંડના ભાગલા અને પાછળથી બાંગ્લાદેશની રચનાએ આ પ્રવૃત્તિઓ અટકાવી દીધી. બંને દેશો વચ્ચેના કરારના ભાગરૂપે વાડની આસપાસનું 150 યાર્ડનું અંતર એક પ્રકારના ‘બફર ઝોન’ તરીકે જાળવવામાં આવે છે.
47 વર્ષના અનારુલ ઇસ્લામને આ જમીન વારસામાં મળી છે. જ્યારે તેઓ સાત વર્ષના હતા ત્યારે તેમણે તેમના પિતાને ખેડાણમાં મદદ કરવા શાળા અધવચ્ચેથી છોડી દીધી હતી. તેમના ત્રણ ભાઈઓને પણ જમીનનો કેટલોક ભાગ વારસામાં મળ્યો છે, જેના પર તેઓ કાં તો જાતે ખેતી કરે છે અથવા ગણોતપટે આપે છે (અને તેમની ચારે ય બહેનો ગૃહિણીઓ છે).









