4 થી મેએ હરિન્દરસિંહે જ્યારે તેમની સાથે કામ કરતા પપ્પુને છેલ્લા બે મૃતદેહો અંતિમસંસ્કાર માટે તૈયાર કરવા કહ્યું ત્યારે તેમને સ્હેજ પણ ખ્યાલ નહોતો કે તેમના સાથી કામદારો ચોંકી જશે. તેમની શબ્દોની પસંદગી અસામાન્ય હતી.
“દો લૌંડે લેટે હુએ હૈં [બે છોકરા ત્યાં સૂતેલા છે]” હરિન્દરે કહ્યું:. તેમના ચહેરાની ગંભીરતા જોતાં તેમના સાથી કામદારોનું શરૂઆતનું આશ્ચર્ય રમૂજી હાસ્યમાં ફેરવાઈ ગયું. નવી દિલ્હીના સૌથી વ્યસ્ત સ્મશાનગૃહ - નિગમ બોધ ઘાટ પર નોકરીઓના કંટાળાજનક કામમાં આ એક રાહતની દુર્લભ ક્ષણ હતી.
પરંતુ હરિન્દરને લાગ્યું કે તેમણે મને અર્થ સમજાવવાની જરૂર હતી. તેઓ સાથી કામદારો સાથે સ્મશાનની ભઠ્ઠીઓ નજીકના એક નાનકડા ઓરડામાં રાતનું ભોજન કરતા હતા. તેમણે એક શ્વાસ લીધો - નરક જેવી આ કોવિડ મહામારીની પરિસ્થિતિમાં તેઓ શ્વાસ લઈ શકતા હતા એટલા તેઓ ભાગ્યશાળી હતા - અને કહ્યું, “તમે તેને મૃતદેહો કહો છો. અમે તેને લૌંડે [છોકરાઓ] કહીએ. "
પપ્પુએ ઉમેર્યું, "અહીં લાવવામાં આવેલ દરેક વ્યક્તિ કોઈકનો દીકરો કે દીકરી છે, મારા બાળકોની જેમ જ. તેમને ભઠ્ઠીમાં મોકલવું દુ:ખદાયક છે. પરંતુ અમારે તેમના આત્માની સદ્દગતિ માટે એ કરવું પડે છે, ખરું કે નહીં? ” એક મહિનાથી વધુ સમયથી નિગમ બોધ ખાતે - સી.એન.જી. ભઠ્ઠીઓ અને ખુલ્લી ચિતાઓમાં - રોજેરોજ 200 થી વધુ મૃતદેહોના અંતિમસંસ્કાર કરવામાં આવતા હતા.
તે દિવસે 4 થી મેએ નિગમ બોધ ઘાટ પર સીએનજી ભઠ્ઠીઓમાં 35 મૃતદેહોના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. કોવિડની બીજી લહેરે દિલ્હીને બાનમાં લીધું હતું ત્યારે એપ્રિલના પહેલા અઠવાડિયાથી રોજના સરેરાશ 45-50 મૃતદેહોના અંતિમસંસ્કારની સરખામણીએ (4 થી મેની 35 ની) આ સંખ્યા કંઈક ઓછી હતી. પરંતુ મહામારી પહેલાં સ્મશાનની સીએનજી ભઠ્ઠીઓમાં મહિનામાં માત્ર 100 જેટલા મૃતદેહોના અંતિમસંસ્કાર થતા હતા.
દિલ્હીના આ ઘાટના યમુના નદી કાંઠેના કાશ્મીર ગેટ પાસેના પ્રવેશદ્વાર પર એક વિશાળ ભીંતચિત્ર છે. જેમાં લખ્યું છે: “મને અહીં લાવવા બદલ આભાર. હવે અહીંથી આગળની સફર મારે એકલા જ કરવાની છે. ” પરંતુ આ વર્ષે એપ્રિલ-મેમાં જ્યારે કોવિડ -19 એ રાષ્ટ્રીય રાજધાનીને બાનમાં લીધી હતી ત્યારે મૃતકો એકલા ન હતા - શક્ય છે મરણોત્તર સફરમાં તેઓને એકાદ મિત્ર મળી ગયો હોય.














