૧ એપ્રિલ, ૨૦૨૨ના શુક્રવારની સવાર રમા માટે એક સામાન્ય સવાર જ હતી. તેઓ સવારે ૪:૩૦ વાગ્યાની આસપાસ ઉઠ્યાં, પાણી ભરવા માટે નજીકના કૂવા પર ગયાં, કપડા ધોયા, ઘર સાફ કર્યું, અને પછી તેમનાં માતા સાથે કંજી પીધી. તે પછી તેઓ તે મના ગામથી ૨૫ કિલોમીટર દૂર ડિંડીગલ જિલ્લાના વેદસંદુર તાલુકામાં આવેલા નૈચી એપેરલમાં કામ કરવા નીકળ્યાં. પરંતુ તે દિવસે બપોર સુધીમાં, આ ૨૭ વર્ષીય મહિલા અને તેમની સાથી મહિલા કામદારોએ ઈતિહાસ રચી દીધો હતો – જે માટે તેમણે તેમની કાપડની ફેક્ટરીમાં જાતીય સતામણીનો અંત લાવવા માટે એક વર્ષથી વધુ સમય સુધી સંઘર્ષ કર્યો હતો.
તે દિવસે ઈસ્ટમેન એક્સપોર્ટ્સ ગ્લોબલ ક્લોથિંગ (નૈચી એપેરલની તિરુપુર સ્થિત પેરેન્ટ કંપની) અને તમિલનાડુ ટેક્સટાઇલ એન્ડ કોમન લેબર યુનિયન (ટીટીસિયુ) દ્વારા જેના પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા તે ડિંડીગલ કરાર વિષે રમા કહે છે, “સાચું હતું તો, મને લાગે છે કે અમે અશક્ય કામ કરી દેખાડ્યું છે.” તે કરાર તમિલનાડુના ડિંડીગલ જિલ્લામાં ઈસ્ટમેન એક્સપોર્ટ દ્વારા સંચાલિત ફેક્ટરીઓમાં લિંગ-આધારિત હિંસા અને ઉત્પીડનનો અંત લાવવા માટે કરવામાં આવ્યો હતો.
આ સીમાચિહ્નરૂપ કરારના ભાગ રૂપે, ટીટીસિયુ-ઈસ્ટમેન એક્સપોર્ટ્સને ટેકો આપવા અને લાગુ કરવા માટે બહુરાષ્ટ્રીય ફેશન બ્રાન્ડ, એચએન્ડએમ દ્વારા ‘લાગુ કરી શકાય તેવો બ્રાન્ડ કરાર’ અથવા ઇબીએ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ઇસ્ટમેન એક્સપોર્ટ્સનું નૈચી એપેરલ એ સ્વીડન ખાતે મુખ્યમથક ધરાવતી ક્લોથિંગ કંપની (એચએન્ડએમ) માટે કપડાંનું ઉત્પાદન કરે છે. એચએન્ડએમ દ્વારા હસ્તાક્ષર કરાયેલ કરાર એ વિશ્વભરમાં આ પ્રકારનો બીજો ઉદ્યોગ કરાર છે, જે ફેશન ઉદ્યોગમાં લિંગ-આધારિત થતી હિંસાને રોકવા માટે કરવામાં આવ્યો છે.
દલિત મહિલાઓની આગેવાની વાળા કાપડ કામદારોના વેપાર સંઘ ટીટીસિયુના સભ્ય અને છેલ્લા ચાર વર્ષથી નૈચી એપેરલમાં કામ કરતાં રમા કહે છે, “મેં ક્યારેય વિચાર્યું નહોતું કે મેનેજમેન્ટ અને [એચએન્ડએમ] બ્રાન્ડ દલિત મહિલા વેપાર સંઘ સાથે કોઈ કરાર કરશે. કેટલાક ખોટા પગલાં ભર્યા પછી, હવે તેઓએ યોગ્ય પગલું ભર્યું છે.” આ સંઘ સાથે એચએન્ડએમ એ કરેલ કરાર એ ભારતમાં હસ્તાક્ષર કરાયેલ પ્રથમ ઇબીએ છે. તે કાયદેસર રીતે બંધનકર્તા કરાર છે જે અંતર્ગત જો સપ્લાયર (ઈસ્ટમેન એક્સપોર્ટ્સ) ટીટીસિયુ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાઓનું ઉલ્લંઘન કરે તો એચએન્ડએમ ઈસ્ટમેન એક્સપોર્ટ્સ પર દંડ લાદવા માટે બંધાયેલ છે.
પરંતુ ઇસ્ટમેન એક્સપોર્ટ્સ જ્યારે વાતચીત કરવા તૈયાર થયા, ત્યારે નૈચી એપેરલના ૨૦ વર્ષીય દલિત કામદાર જેયસ્રે કથીરાવેલ સાથે થયેલ બળાત્કાર અને હત્યાની ઘટનાને એક વર્ષથી વધુ સમય વીતી ગયો હતો. જાન્યુઆરી ૨૦૨૧માં તેણીની હત્યા કરવામાં આવી તે પહેલાં, જેયસ્રેની ફેક્ટરીમાં તેણીના સુપરવાઇઝરે મહિનાઓ સુધી જાતીય સતામણી કરી હતી, જે એક ઉચ્ચ જાતિનો હતો. સુપરવાઇઝર પર એ ગુનાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
જેયસ્રેની હત્યાથી કાપડની ફેક્ટરી અને તેની મૂળ કંપની, ઈસ્ટમેન એક્સપોર્ટ્સ સામે આક્રોશ ફેલાયો, જે ભારતના સૌથી મોટા કાપડ ઉત્પાદકો અને નિકાસકારોમાંની એક છે, જે એચએન્ડએમ, ગેપ અને પીવીએચ જેવી બહુરાષ્ટ્રીય કપડાંની કંપનીઓને સપ્લાય કરે છે. જેયસ્રે માટે ન્યાય મેળવવાની ઝુંબેશના ભાગરૂપે, સંઘો, મજૂર જૂથો અને મહિલા સંગઠનોના વૈશ્વિક ગઠબંધનોએ ફેશન કંપનીઓ “શ્રીમતી કથીરાવેલના પરિવાર સામે ઇસ્ટમેન એક્સપોર્ટ્સ જે બળજબરીભર્યા પગલાં ભરી રહ્યા છે તેના ઉપર કાર્યવાહી કરે” તેવી માંગ કરી હતી.







