કુંડલી ઔદ્યગિક વિસ્તારમાં ઘરેલુ ઉપકરણો બનાવતા કારખાનામાં સુરક્ષા નિરીક્ષક તરીકે કામ કરતા ૨૨ વર્ષના નિઝામુદ્દીન અલી કહે છે, “અહીં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનથી કંપનીના લોકો ચોક્કસ નારાજ છે. વિરોધ પ્રદર્શનને કારણે વાહનવ્યવહારને ભારે અસર પહોંચી છે અને ધંધાની હાલત પણ ખરાબ છે/ધંધો ઠપ્પ થઈ ગયો છે." તેઓ હરિયાણા-દિલ્હી સરહદ પર સિંઘુ ખાતેના ખેડૂતોના વિરોધ સ્થળથી લગભગ ૬ કિલોમીટર દૂર રહે છે. (કુંડલી એક જુનું ગામ છે, જે હવે હરિયાણાના સોનીપત જીલ્લામાં નગર પરિષદ છે.)
વિક્ષેપોને લીધે નિઝામુદ્દીનને તેમની કંપનીએ બે મહિના કરતાં પણ વધુ સમયથી તેમનો પગાર ચૂકવ્યો નથી, છતાં તેઓ આંદોલનકારી ખેડૂતોનું સમર્થન કરી રહ્યા છે. નિઝામુદ્દીન કહે છે કે, “મારી કંપની અત્યારે જે મુશ્કેલીઓ માંથી પસાર થઇ રહી છે એ હું જાણું છું અને એ જ કારણે મારા પગારને પણ અસર પહોંચી છે. આ સાથે જ હું ખેડૂતોનું પણ સમર્થન કરું છું,” પણ તેમની નિષ્ઠા બંનેની તરફેણમાં સરખી રીતે વહેંચાયેલી નથી. – “જો હું મારા કારખાનાને ૨૦ ટકા સમર્થન આપતો હોઉં, તો ખેડૂતોને ૮૦ ટકા સમર્થન આપું છું.”
નિઝામુદ્દીન થોડાક વર્ષો પહેલાં બિહારના સિવાન જીલ્લાના એક ગામથી કુંડલી આવ્યા હતા. ત્યાં ૬.૫ વીઘા જમીન (બિહારમાં લગભગ ૪ એકર) પર એમનો પરિવાર ઘઉં, ચોખા, તુવેર દાળ, રાઈ, મગ દાળ અને તમાકુની ખેતી કરે છે. તેઓ કહે છે કે, “આજીવિકા રળવા માટે ખેડૂતો જ આ પાક ઉગાડે છે, નહીં કે સરકાર કે અંબાણી અને અદાણી . હું ભારતભરના ખેડૂતોનું દુઃખ સમજુ છું. જો આ નવા કાયદાઓ અમલી બનશે તો અમને રેશન પણ નહીં મળે. શાળાઓમાં મધ્યાહ્ન ભોજન પણ બંધ થઇ જશે.”
“[થોડાક વર્ષો પહેલાં] બિહારમાં અમને કહેવામાં આવ્યું હતું કે ઘઉંના પ્રતિ કિલો 25 રુપિયા ભાવ મળશે. બિહારમાં દરેક ખેડૂત પરિવારને એમના ખાતામાં [પીએમ-કિસાન યોજના અંતર્ગત] 2000 રુપિયા મળ્યા હતા. પણ પાછળથી એ દર 25 રુપિયાથી ઘટીને 7 રુપિયા થઈ ગયો. અમે આગળ વધવા માગીએ છીએ, પણ સરકાર અમને પાછળ ધકેલી રહી છે.”










