વાંસની નાની છાપરીમાં એક સાંકડા પલંગ પર મોહીની કૌરને જેમાં ફેરફાર કરવાનો હતો અથવા તેમણે જે સીવવાના હતા એવા કપડાંનો ઢગલો હતો. નવેમ્બર 2020 માં સિંઘુ વિરોધ સ્થળ પર આવેલા નવી દિલ્હીના સ્વરૂપ નગરના 61 વર્ષના મોહિનીએ કહ્યું, “હું સિલાઈકામમાં બહુ સારી તો નથી, પણ હું જે કંઈ થોડુંઘણું કરી શકું છું તે કરું છું. હું અહીં વિરોધ કરી રહેલા ખેડૂતો માટે સેવા કરવા આવી છું. ખેડૂતો આપણે માટે અનાજ ઉગાડે છે, હું તેમના માટે બીજું કઈ નહિ તો આટલું (સિલાઈકામ) તો કરી જ શકું તેમ હતી." 9 મી ડિસેમ્બર, 2021 ના રોજ ખેડૂત સંગઠનોએ તેમનું આંદોલન પાછું ન ખેંચ્યું ત્યાં સુધી મોહિની એક પણ વાર ઘેર પાછા ગયા નહોતા.
દિલ્હી-હરિયાણા સરહદ પર સિંઘુ ખાતે સ્વયંસેવક તરીકેના તેમના કામના સમાચાર પંજાબી અખબાર અજીતમાં આવ્યા ત્યારે (તે સમાચાર વાંચીને) પંજાબના એક વાચકને મોહિનીને મદદ કરવાનો વિચાર આવ્યો. આ વર્ષે જુલાઈમાં 22 વર્ષના યુવક હરજીત સિંહ મોહિનીની સાથે છાપરીમાં તેમના કામમાં જોડાયા.
પંજાબના લુધિયાણા જિલ્લાના ખન્ના શહેરમાં હરજીતની સિલાઈકામની દુકાન છે. તેમના પિતા ખેડૂત છે, તેઓ તેમના ચાર એકરના ખેતરમાં ચોખા, ઘઉં અને મકાઈ ઉગાડે છે. “મેં મારા બે કારીગરો [કારીગર કામદારો] ને ભરોસે મારી દુકાન છોડી દીધી અને આ વર્ષે જુલાઈમાં મોહિનીજીને મદદ કરવા હું અહીં સિંઘુ આવ્યો. અહીં કેટલું બધું કામ છે; તેઓ એકલા શી રીતે આટલું બધું કરી શકે?"
પલંગ અને વર્કટેબલ (કામ કરવાના ટેબલ) ઉપરાંત બે સિલાઈ મશીન અને એક પેડેસ્ટલ ફેન (ઊભા પંખા) થી છાપરીમાંની જગ્યા ભરાઈ ગયા પછી હરવાફરવા માટે બહુ થોડી જગ્યા બચી હતી. દૂધ ઉકાળવા જમીન પર પોર્ટેબલ ગેસ સ્ટવ હતો. મોહિની અથવા હરજીત સાથે વાત કરવા માટે એક સમયે માત્ર એક જ વ્યક્તિ અંદર આવી શકે તેમ હતું. વિરોધ સ્થળે 'ગ્રાહકો' - ખેડૂતો અને બીજા લોકો - દરવાજે ઊભા રહેતા.







