વારાણસીમાં, મતદાનના દિવસે, સલમાએ જોયું કે ત્યાં બે કતારો હતી — એક પુરુષો માટે અને બીજી મહિલાઓ માટે. બંગાળી ટોળા મતદાન મથક એક સરકારી શાળામાં સેટ અપ કરવામાં આવ્યું હતું, જે પ્રખ્યાત વિશ્વનાથ મંદિર તરફ જતી એક સાંકડી ગલીમાં આવેલી છે.
25 વર્ષીય પરલૈગિંક મહિલા મહિલાઓની કતારમાં ઊભાં હતાં, પરંતુ, તેઓ કહે છે, “આંખેં બડી હો ગયી થી સબકી [બધાં આંખો ફાડીને તાકી રહ્યાં હતાં]. પુરુષોએ જાણે મને જોઈ જ ન હોય તેવો ડોળ કરતા હતા અને જ્યારે હું તેમની કતારના છેડે ઊભી રહી હતી ત્યારે સ્ત્રીઓ હસવા લાગી અને બબડાટ કરવા લાગી.”
પણ સલમાને તેની પરવા નહોતી. તેઓ કહે છે, “હું કોઈપણ રીતે અંદર ગઈ. મને [મત આપવાનો] અધિકાર છે અને મેં તેનો ઉપયોગ આજે અમને જરૂરી પરિવર્તન લાવવા માટે કર્યો છે.”
ભારતીય ચૂંટણી પંચનો ડેટા દર્શાવે છે કે ભારતમાં 48,044 “તૃતીય લિંગના મતદારો” છે. આટલી મોટી સંખ્યા હોવા છતાં, પરલૈંગિક વ્યક્તિ તરીકે મતદાર ઓળખપત્ર બનાવવું હંમેશાં સરળ નથી હોતું. વારાણસીમાં, બિન-સરકારી સંસ્થા પ્રિઝમેટિકનાં સ્થાપક-નિર્દેશક નીતિ કહે છે, અહીં લગભગ 300 પરલૈંગિક વ્યક્તિઓ છે, અને તેમના માટે મતદાર ઓળખપત્ર મેળવવું સંઘર્ષભર્યું રહ્યું છે. તેઓ ઉમેરે છે, “અમે લગભગ 50 પરલૈંગિક વ્યક્તિઓ માટે મતદાર ઓળખપત્ર મેળવવામાં સફળ રહ્યાં હતાં. પરંતુ ચૂંટણીપંચે ખરાઈ માટે ઘેર આવીને ફરજિયાતપણે તપાસ કરી હતી, જે સમુદાયના ઘણા સભ્યો માટે સમસ્યા હતી જેઓ ઇચ્છતાં ન હતાં કે લોકો ઘેર આવીને તેમના લિંગની ચકાસણી કરે.”
જોકે, સલમાને તેનું મતદાર ઓળખપત્ર બનાવવામાં કોઈ અડચણનો સામનો કરવો પડ્યો ન હતો. તેઓ કહે છે, “હું મારા પરિવાર સાથે કે મારી ઓળખ ન જાણતી કોઈ વ્યક્તિ સાથે નથી રહેતી.”







