જ્યારે ઉષા દેવીએ ધર્મેન્દ્ર રામને છેલ્લી વાર જોયા હતા, ત્યારે તેઓ સાવ સુકાઈ ગયા હતા. તેઓ કહે છે, “તેઓ ચીસ પાડીને રડ્યા, હાંફવા લાગ્યા અને પછી શાંત થઈ ગયા.” હું તેમને ચાનો છેલ્લો કપ પણ આપી શકી ન હતી.
અને આ રીતે ઉષાના 28 વર્ષીય પતિના જીવનનો અંત આવ્યો. તેઓ બીમાર અને ભૂખ્યા મૃત્યુ પામ્યા, કારણ કે તેમની પાસે રેશનકાર્ડ ન હતું. ધર્મેન્દ્ર રામ પાસે સૌથી મહત્ત્વનું મનાતું આધાર કાર્ડ હતું, જે રેશનની દુકાન પર તેમની ઓળખને ચકાસી શકે છે. પરંતુ વાસ્તવિક રેશનકાર્ડ વિના તે નકામું હતું.
ઓગસ્ટ 2016માં ધર્મેન્દ્રના મૃત્યુએ અલ્હાબાદના મૌઇમા બ્લોકમાં આવેલા તેમના ગામ ધરૌતા તરફ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. સ્થાનિક મીડિયાએ જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓને ગામની મુલાકાત લેવાની માંગ કરી હતી. ગ્રામ વિકાસ અધિકારી અને લેખપાલ (તલાટી)ને બરતરફ કરવામાં આવ્યા હતા. રાહત સામગ્રીની જાહેરાત કરવામાં આવી હતી (જેમાં રાષ્ટ્રીય પરિવાર લાભ યોજના હેઠળ 30,000 રૂપિયા અને પાંચ બિસવા અથવા 570 ચોરસ મીટર ખેતીની જમીનનો સમાવેશ થાય છે). માંડ 500 ઘરોના આ ગામમાં સ્થાનિક રાજકારણીઓ દોડી આવ્યા હતા. અને તેમનાં પત્ની અચાનક રાજ્ય સરકારના 500 રૂપિયાના વિકલાંગતા પેન્શન માટે પાત્ર થઈ ગયાં હતાં.
ઉષાને સાંભળવાની નબળાઈ છે, અને તેઓ આંશિક રીતે અંધ પણ છે અને તેમનો જમણો પગ તેમના ડાબા કરતાં નોંધપાત્ર રીતે ટૂંકો છે. તેમને આ બધું કઈ રીતે થયું તે બહુ ઓછું યાદ છે. પરંતુ, તેમને એટલું ચોક્કસપણે યાદ છે કે તેઓ મુલાકાતે આવેલા અધિકારી (‘મોટા સાહેબ’) ના પગે પડ્યાં હતાં. તેમને યાદ છે કે તેમણે તેમને કહ્યું હતું, “કુછ તો મદદ કરો [થોડી તો મદદ કરો].”








