પાર્વતીને છેલ્લી વખત મનરેગા હેઠળ એક વર્ષ પહેલાં, મે 2023 માં કામ મળ્યું હતું. એ માત્ર પાંચ દિવસ માટે હતું.
પાર્વતીએ (તેઓ ફક્ત આ જ નામનો ઉપયોગ કરે છે) એ સમય તેમના ગામ ગૌર મધુકર શાહપુરમાં એક રસ્તો સમતળ કરવામાં સમય પસાર કર્યો હતો. સરકાર દ્વારા મનરેગા (મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંયધરી અધિનિયમ) હેઠળ વર્ષમાં 100 દિવસ કામની ખાતરી આપવામાં આવી હતી, જે જાટવ (અનુસૂચિત જાતિ) સમુદાયના આ 45 વર્ષના દાડિયા મજૂરીનું કામ કરતા શ્રમિકને ક્યારેય નસીબ થયા નહોતા. તેઓ કહે છે, "અમે અમારું અડધું પેટ ભરીને જેમતેમ કરીને નભાવીએ છીએ."
2020 માં પ્રધાન મંત્રી આવાસ યોજના હેઠળ ઘર માટે આ દંપતીની અરજી નકારી કાઢવામાં આવી ત્યારે સરકારે ફરીથી તેમને નિરાશ કર્યા હતા. હવે વધુ રાહ જોઈ ન શકતા પાર્વતી અને તેમના પતિ છોટે લાલે બે રૂમનું પાકું મકાન બાંધવા સંબંધીઓ પાસેથી 90000 રુપિયાની લોન લીધી હતી.
ખિન્ન થયેલા પાર્વતી ઉમેરે છે, "કોઈ મત માંગવા આવે તો મારે જાણવું છે કે મતદાર યાદીમાં મારું નામ છે તેઓ પછી ઘર માટેના લાભાર્થીઓની યાદીમાંથી મારું નામ ગાયબ શી રીતે થઈ ગયું?" પાર્વતીના પતિ, જેઓ પણ મનરેગા હેઠળ કામ કરતા હતા, તેમને પાંચ વર્ષ પહેલાં લકવોનો હુમલો આવ્યો એ પછી તેઓ કામ કરી શકતા નથી. આજે તેઓ ક્યારેક ક્યારેક વારાણસી શહેરમાં એક લેબર મંડીમાં જાય છે જ્યાં 400-500 રુપિયા દાડિયું મળે છે.
મનરેગા ગ્રામીણ અકુશળ શ્રમિકોને 100 દિવસની રોજગારીની બાંયધરી આપે છે. પરંતુ અહીં સમગ્ર વારાણસી જિલ્લાના ગામડાઓમાં એક સામાન્ય ફરિયાદ છે કે “છેલ્લી બે પ્રધાની” થી - અહીં સરપંચની છેલ્લી બે ટર્મ અથવા આશરે 10 વર્ષનો સંદર્ભ છે - વર્ષેદહાડે માત્ર 20-25 દિવસનું કામ મળે છે.
પાર્વતી હવે એવા દેવામાં ડૂબી ગયા છે જે ખરું પૂછો તો તેમણે ક્યારેય કરવા જેવું જ નહોતું. સરકારની કોઈ મદદ વિના, તેઓ ઠાકુર સમુદાયના ખેતરોમાં દાડિયા મજૂરીનાકામ પર આધાર રાખે છે, જેઓ લણણી અને વાવણીની મોસમ દરમિયાન લગભગ 15 દિવસના કામ માટે તેમને 10 કિલોગ્રામ અનાજ આપે છે.




















