શુક્લા ઘોષ કહે છે, “અમારા ગામમાં છોકરીઓ સલામત નથી. તેઓ રાત્રે આઠ કે નવ વાગ્યા પછી ઘરની બહાર નીકળતી નથી.” તેઓ પશ્ચિમ મેદિનીપુરના કુઆપુર ગામનો ઉલ્લેખ કરી રહ્યાં છે. “છોકરીઓ ડરેલી છે. પરંતુ તેઓ પ્રતિકાર અને વિરોધ કરવાની જરૂર પણ અનુભવે છે.”
ઘોષ અને કુઆપુરની છોકરીઓ પશ્ચિમ બંગાળના ગામડાઓ અને નાના શહેરોના હજારો ખેડૂતો, ખેતમજૂરો અને કામદારોમાં સામેલ છે, જેઓ કોલકાતાની આર. જી. કાર હોસ્પિટલમાં એક યુવાન તાલીમાર્થી તબીબી ડૉક્ટર સાથે કરાયેલા ક્રૂર બળાત્કાર અને હત્યાના વિરોધમાં મોટી સંખ્યામાં બહાર આવ્યાં હતાં.
44 દિવસ પછી 21 સપ્ટેમ્બર, 2024ના રોજ યોજાયેલી વિરોધ કૂચ મધ્ય કોલકાતાની કોલેજ સ્ટ્રીટથી શરૂ થઈ હતી અને લગભગ 3.5 કિલોમીટરના અંતરે આવેલા શ્યામબઝાર તરફ આગળ વધી હતી.
પ્રદર્શનકારીઓની માગણીઓમાં ઝડપી ન્યાય અને ગુનેગારો માટે દાખલો બેસાડે એવી સજા, કોલકાતાના પોલીસ કમિશનરનું રાજીનામું (ડૉક્ટરોએ પણ વિરોધ કરીને આ માંગ કરી હતી જેને સરકાર દ્વારા સ્વીકારવામાં આવી છે), અને મુખ્યમંત્રી મમતા બેનર્જીનું રાજીનામું જેઓ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તેમ જ ગૃહ અને પર્વતીય બાબતોના મંત્રાલયની જવાબદારી સંભાળે છે.












