"હું ઈચ્છું છું કે શાળામાં બીજી વાર પીરસવામાં આવે."
સાત વર્ષનો બસવરાજુ તેલંગાણામાં સેરીલિંગમપલ્લી મંડળની મંડળ પરિષદ પ્રાથમિક શાળામાં ભણે છે. રંગા રેડ્ડી જિલ્લાની આ શાળા દેશભરની એવી ૧૧.૨ લાખ શાળાઓમાંની એક છે જ્યાં બાળકોને ગરમ રાંધેલું ભોજન મળે છે. બસવરાજુની શાળાની સાથી, ૧૦ વર્ષીય અંબિકા, જે શાળાએ જતા પહેલાં માત્ર એક પ્યાલો ગાંજી (રાંધેલા ચોખાનું પાણી) પીવે છે, તેના માટે તે દિવસનું પ્રથમ ભોજન છે.
ભારતની મધ્યાહ્ન ભોજન યોજના સરકારી અને સરકાર–સહાયિત શાળાઓમાં તથા સર્વ શિક્ષા અભિયાન દ્વારા સમર્થિત રાજ્ય સંચાલિત શિક્ષણ કેન્દ્રોમાં અભ્યાસ કરતા ૧ થી ૮ ધોરણના લગભગ ૧.૧૮ કરોડ વિદ્યાર્થીઓને કામકાજના દિવસોમાં કોઈપણ શુલ્ક વિના ભોજન પૂરું પાડે છે. ભોજન આપવા પાછળ કોઈ એવી દલીલ કરી શકતું નથી કે પેટ ભરેલું હોવાથી ગણિતના સરવાળા કરવામાં અને જોડણી સાથે ગમ્મત કરવામાં સરળતા રહે છે, પરંતુ મધ્યાહ્ન ભોજન મુખ્યત્વે બાળકોને શાળાએ ખેંચી લાવવા માટે છે. (કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું તે મુજબ, ભારતમાં ઓછામાં ઓછાં ૧.૫૦ કરોડ બાળકો અને યુવાનો ઔપચારિક શિક્ષણ પ્રણાલીથી બહાર છે.)
અમે રાજસ્થાનના ભિલવાડા જિલ્લાના જોધગઢ ગામમાં આવેલી તેમની શાળા, રાજકીય પ્રાથમિક વિદ્યાલયની મુલાકાત લીધી ત્યારે દસ વર્ષીય દક્ષ ભટ્ટે તેમની શાળામાં આવતા પહેલાં ફક્ત થોડાં બિસ્કિટ જ ખાધાં હતાં. હજારો કિલોમીટર દૂર, આસામના નલબારી જિલ્લામાં, અલીશા બેગમ અમને કહે છે કે તેણે તેની શાળા નં. ૮૫૮ નિઝ ખગાતા એલપી સ્કૂલ માટે નીકળતા પહેલાં રોટલી ખાધી હતી અને કાળી ચા પીધી હતી. તેના પિતા શેરી વિક્રેતા છે અને માતા ગૃહિણી છે.


































