“અમારો સંબંધ યમુના સાથે છે. અમે હંમેશા નદીની નજીક રહેતા આવ્યા છીએ.
પોતના પરિવારના આ નદી સાથેના ગાઢ સંબંધ વિશે વાત કરી રહેલ આ છે વિજેન્દર સિંહ. મલ્લાહ (નાવિકોનો) સમુદાય પેઢીઓથી દિલ્હીમાં યમુનાને અડીને આવેલા પૂરના મેદાનોની નજીક રહેતો આવ્યો છે અને આ મેદાનોમાં ખેતી કરતો આવ્યો છે. 1376 કિલોમીટર લાંબી આ નદી 22 કિલોમીટર સુધી નેશનલ કેપિટલ ટેરીટરી (રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ) માં થઈને વહે છે અને અહીં તેના પૂરના મેદાનો લગભગ 97 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલા છે.
વિજેન્દર જેવા 5000 થી વધુ ખેડૂતોને આ જમીનની 99 વર્ષ સુધીની માલિકી આપતા પટ્ટા (જમીનના બહાનાખત) હતા.
આ બુલડોઝરો આવ્યા એ પહેલાંની વાત છે.
જાન્યુઆરી 2020 ના હાડ થીજાવી દેતા શિયાળામાં મ્યુનિસિપલ સત્તાવાળાઓએ પ્રસ્તાવિત જૈવવિવિધતા ઉદ્યાન (બાયોડાયવર્સિટી પાર્ક) માટે જગ્યા કરવા માટે ઊભા પાકો સાથેના તેમના ખેતરો પર બુલડોઝર ફેરવી દીધા હતા. વિજેન્દરે પોતાના પરિવારને તાત્કાલિક નજીકની ગીતા કોલોનીમાં ભાડાના મકાનમાં ખસેડવો પડ્યો હતો.
38 વર્ષના આ ખેડૂતે રાતોરાત તેમની આજીવિકા ગુમાવી દીધી હતી અને તેમના પાંચ જણના પરિવાર - તેમની પત્ની અને 10 વર્ષથીય નાના ત્રણ દીકરાઓ - નું પાલનપોષણ કરવા શહેરમાં ડ્રાઇવિંગ કરવાનું શરૂ કરવું પડ્યું હતું. (આ પરિસ્થિતિમાં મૂકાયેલ) તેઓ એકલા નહોતા. પોતાની જમીન પરથી વિસ્થાપિત થયેલા અને (પરિણામે) આજીવિકા ગુમાવી બેઠેલા બીજા અનેક લોકો ચિત્રકાર, માળી, ચોકીદાર અને (મેટ્રો સ્ટેશનો પર) સફાઈ કામદારો તરીકે નોકરીઓ મેળવવા માટે મજબૂર થઈ ગયા હતા.
તેઓ કહે છે, "તમે લોહા પુલથી આઈટીઓ સુધીના રસ્તા પર નજર નાખો તો (તમને ખ્યાલ આવશે કે) સાયકલ પર કચોરી વેચનારાઓની સંખ્યા વધી ગઈ છે. આ બધા ખેડૂતો છે. તેઓ પૂછે છે, "એકવાર જમીન જતી થઈ રહેપછી ખેડૂત બિચારો કરે શું?"










