પગ નીચે લીલુંછમ ઘાસ, ઉપર ખુલ્લું આકાશ, આજુબાજુ લીલાછમ વૃક્ષો અને જંગલમાંથી વહેતો પાણીનો શાંત પ્રવાહ – આ દૃશ્ય ગ્રામીણ મહારાષ્ટ્રમાં ક્યાંયનું પણ હોઈ શકે છે.
પણ રાહ જુઓ, ગીતા પાસે હજું કંઈક ઉમેરવાનું છે. ઝરણા તરફ ધ્યાન દોરતાં, તેઓ કહે છે: “અમે સ્ત્રીઓ ડાબી બાજુએ જઈએ છીએ, અને પુરુષો જમણી તરફ.” તે વસ્તી (વસાહત) ના રહેવાસીઓને શૌચક્રિયા માટે આ વ્યવસ્થા છે.
40 વર્ષીય ગીતા કહે છે, “અમારે ઘૂંટણડૂબ પાણીમાં બેસવું પડે છે – જ્યારે વરસાદ પડે ત્યારે તો છત્રી લઈને. [મારા] ,માસિકના દિવસો દરમિયાન તે કેવું હોય છે તે વિષે તો હું વાત જ શું કરું?”
પુણે જિલ્લાના શિરુર તાલુકાના કુરુલી ગામની સીમમાં આવેલી તેમની 50 ઘરોની વસાહતમાં ભીલ અને પારધી પરિવારો વસે છે. મહારાષ્ટ્રમાં અનુસૂચિત જનજાતિ તરીકે વર્ગીકૃત કરાયેલા આ બે સમુદાયો રાજ્યમાં સૌથી ગરીબ અને હાંશિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયોમાંના એક છે.
ભીલ સમુદાયનાં ગીતા, ખુલ્લામાં શૌચાલય જવામાં તેમને નડતી અગવડતા વિષે સ્પષ્ટપણે કહે છે, “અમે જ્યાં બેસીએ છીએ ત્યાં ઘાસ પેસી જાય છે, અને મચ્છરો કરડે છે... વળી પાછો સાપના ડંખનો ડર તો હંમેશાં રહે છે.”
વસાહતના રહેવાસીઓને ડગલે ને પગલે પડકારોનો સામનો કરવો પડે છે – ખાસ કરીને સ્ત્રીઓ, જેમને વનમાં જતા રસ્તામાં હુમલો થવાનો ડર સતાવે છે.




