અમરાવતી જિલ્લાના તાલેગાંવ દશાસર પોલીસ સ્ટેશનના પ્રભારી ઇન્સ્પેક્ટર અજય અકારે ભારપૂર્વક જણાવે છે, "અમે આ 58 ઊંટ જપ્ત નથી કર્યા. મહારાષ્ટ્રમાં આ પશુઓ પ્રત્યેની ક્રૂરતા સામે કોઈ ચોક્કસ કાયદો નથી તેથી અમારી પાસે આવું કરવાની સત્તા નથી."
તેઓ કહે છે, "(અમે) ઊંટને અટકાયતમાં લીધેલ છે."
અમરાવતીના સ્થાનિક જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની મદદ ન હોત તો તેમના પાલકો પણ અટકાયતમાં હોત. આ પાંચ રખેવાળ ગુજરાતના કચ્છના વિચરતા સમુદાયના પશુપાલકો છે, ચાર રબારી સમુદાયના અને એક ફકીરણી જાટ. બંને સામાજિક જૂથો પેઢીઓથી અને સદીઓથી પરંપરાગત રીતે ઊંટ-પાલકો છે. જાતે બની-બેઠેલા 'પ્રાણી અધિકાર કાર્યકરો'ની ફરિયાદ પરથી પોલીસ દ્વારા અટકાયતમાં લેવાયા બાદ મેજિસ્ટ્રેટે પાંચેયને તાત્કાલિક અને બિનશરતી જામીન આપ્યા હતા.
અકારે કહે છે, "આરોપી પાસે ઊંટની ખરીદી અને કબજાને લગતા કોઈ કાગળો અથવા તેમના પોતાના કાયમી વસવાટની જગ્યાને લગતા કોઈ કાનૂની દસ્તાવેજો નહોતા." તેથી આ પછી પારંપરિક પશુપાલકોને અદાલત સમક્ષ ઊંટના આઈડી કાર્ડ (ઓળખપત્રો) અને તેમની માલિકીના દસ્તાવેજો રજૂ કરવા પડે એવી વિચિત્ર પરિસ્થિતિ ઊભી થઈ હતી. આ ઓળખપત્રો અને માલિકીના દસ્તાવેજો તેમના સંબંધીઓ અને બે વિચરતા પશુપાલક જૂથોના અન્ય સભ્યો દ્વારા મોકલાવવામાં આવી રહ્યા છે.
તેમના પાલકોથી અલગ થઈ ગયેલા ઊંટ હવે ગૌરક્ષા કેન્દ્ર, ગાયો માટેના આશ્રયસ્થાન, ખાતે તેમની સંભાળ રાખવા અને ખવડાવવાની બાબતે તદ્દન અજાણ લોકોના કબજામાં દુઃખી રહે છે. ઊંટ અને ગાય બંને વાગોળનારા પ્રાણીઓ છે પરંતુ બંનેનો આહાર ખૂબ જ અલગ છે. અને જો કેસ લંબાયા કરશે તો ગાયો માટેના આશ્રયસ્થાનમાં ઊંટની હાલત ઝડપથી કથળવાની શક્યતા છે.




















