રૂપચંદ દેવનાથ પોતાની વાંસની ઝૂંપડીમાં હાથશાળ પર વણાટ કરવાથી વિરામ લેતાં કહે છે, “અહીં કાગળ પર વણકરોની કોઈ અછત નથી, પરંતુ મારા મૃત્યુ પછી આ બધું [વ્યવહારીક રીતે] ખતમ થઈ જશે.” ત્યાં મોટાભાગની જગ્યા હાથશાળ લે છે. તે ઉપરાંત, ત્યાં તૂટેલું ફર્નિચર, ધાતુના ફાજલ ભાગો, અને વાંસના ટુકડાઓના ઢગલા પડેલા છે. આ તંગ જગ્યામાં રૂપચંદ એકલા જ બેસી શકે તેમ છે.
73 વર્ષીય રૂપચંદ ત્રિપુરા રાજ્યમાં ભારત અને બાંગ્લાદેશની સરહદ પર ધર્મનગર શહેરની બહારના ગોવિંદપુરમાં રહે છે. એક સાંકડો રસ્તો ગામ તરફ દોરી જાય છે, જ્યાં એક સમયે 200 વણકર પરિવારો અને 600થી વધુ કારીગરો રહેતા હતા. ગોવિંદપુર હેન્ડલૂમ વીવર્સ એસોસિએશનનું કાર્યાલય સાંકડી ગલીઓમાં આવેલા થોડા ઘરોમાંનું એક છે, તેની જર્જરીત દિવાલો મોટાભાગે વિસરાઈ ગયેલા વૈભવની યાદ અપાવે છે.
નાથ સમુદાય (રાજ્યમાં અન્ય પછાત વર્ગો તરીકે સૂચિબદ્ધ) સાથે સંબંધ ધરાવતા રૂપચંદ કહે છે, “અહીં એક પણ ઘર એવું નહોતું કે જેમાં હાથશાળ ન હોય.” ધગધગતા તાપમાં કામ કરતાં તેઓ તેમના ચહેરા પરથી પરસેવો લૂછે છે. લાગણીથી થરથરતા અવાજમાં તેઓ પૂછે છે, “સમાજમાં અમારું માનસન્માન હતું. હવે, કોઈને કંઈ નથી પડી. મને કહો ને કે જે વ્યાવસાયમાં પૈસાની કમાણી ન થતી હોય તેનું કોણ સન્માન કરશે?”
આ પીઢ વણકરને હાથથી વણેલી નકશી સાડીઓ બનાવવાનું યાદ છે, જેમાં ફૂલોની વિસ્તૃત ભાત હતી. પરંતુ રૂપચંદ કહે છે કે 1980ના દાયકામાં, “જ્યારે પુરબાશા [ત્રિપુરા સરકારના હસ્તકલા એમ્પોરિયમ] એ ધર્મનગરમાં એક દુકાન ખોલી ત્યારે તેમણે અમને નકશી સાડીઓ બનાવવાનું બંધ કરવા અને સાદી સાડીઓ બનાવવાનું શરૂ કરવા કહ્યું હતું. તેમાં ઓછી ભાત અને રહેતી અને એકંદર ગુણવત્તા પણ ઓછી જ રહેતી, અને તેથી તે સસ્તી હતી.
તેઓ કહે છે કે ધીમે ધીમે આ પ્રદેશમાં નકશી સાડીઓની માંગ ઘટી ગઈ અને આજે, તેઓ ઉમેરે છે કે, “ન તો તેને બનાવનારા કોઈ કારીગરો બાકી છે કે ન તો એવી હાથશાળ માટેના સ્પેરપાર્ટ્સનો પુરવઠો મળે છે.” તેમના શબ્દો સાથે છેલ્લા ચાર વર્ષથી વણકર સંઘના કાર્યકારી પ્રમુખ રવીન્દ્ર દેવનાથ સહમત થાય છે. તેઓ કહે છે કે, “અમે જે કપડાં બનાવતા હતા તેને ખરીદનારું કોઈ વધ્યું નહોતું.” 63 વર્ષની ઉંમરે, તેઓ વણાટમાં જે તનતોડ મહેનત કરવી પડે છે, તે કરી શકતા નથી.














