જયા કહે છે, “બીજુ [નવા વર્ષના તહેવાર] ને દિવસે અમે બધા વહેલા ઊઠીને ફૂલો ચૂંટવા નીકળી જઈએ. પછી અમે ફૂલોને તરતા મૂકીને નદીમાં ડૂબકી લગાવીએ. એ પછી અમે ગામમાં દરેક ઘેર જઈ, લોકોને મળીને તેમનું અભિવાદન કરીએ." આ વાતને અડધી સદીથી વધુ સમય વીતી ગયો છે પરંતુ તેમની તે દિવસની યાદ હજી એવી ને એવી તાજી છે.
તેઓ કહે છે, “અમે [સારા નસીબના પ્રતીક તરીકે] મુઠ્ઠીભર ચોખા ભેટ આપીએ અને બદલામાં દરેક ઘરમાં અમને લાંગી [ચોખાની બિયર] ધરવામાં આવે. દરેક ઘેર અમે માત્ર થોડી જ ચુસ્કીઓ લઈએ, પરંતુ અમે એટલાં બધા ઘેર જઈએ કે દિવસના અંત સુધીમાં તો અમે ખાસ્સા નશામાં હોઈએ." ઉપરાંત, "તે દિવસે ગામના પુખ્ત વયના યુવાનો આદરના પ્રતીકરૂપે વડીલોને નદીના પાણીથી સ્નાન કરાવે." વાર્ષિક ઉજવણીની યાદોથી જયાના ચહેરા પર ચમક આવી જાય છે.
હવે એક આંતરરાષ્ટ્રીય સરહદની પાર અને એ ઘરથી સેંકડો કિલોમીટર દૂર જે બચ્યું છે તે છે લાંગી - આ એ દોર છે જે ઘણા શરણાર્થીઓને તેમના ચકમા સમુદાયની ધાર્મિક વિધિઓ અને તેમના રીતરિવાજો સાથે જોડે છે. બાંગ્લાદેશમાં રંગામતીમાં ઉછરેલા જયા કહે છે, “તે અમારી સંસ્કૃતિનું અભિન્ન અંગ છે." આ પ્રદેશની બીજી જાતિઓ પણ ધાર્મિક વિધિઓમાં અને પ્રસાદમાં લાંગીનો ઉપયોગ કરે છે.
તેઓ ઉમેરે છે, “હું મારા માતા-પિતાનું જોઈને આ [લાંગી] બનાવતા શીખી. મારા લગ્ન પછી મારા પતિ સુરેને અને મેં સાથે મળીને લાંગી બનાવવાનું શરૂ કર્યું." આ દંપતી બીજી ત્રણ પ્રકારની બીયર - લાંગી, મોદ અને જોગોરા - કેવી રીતે બનાવવી તે જાણે છે.
જોગોરા પણ ચોખામાંથી બનાવવામાં આવે છે, એ બનાવવાની તૈયારી ચૈત્ર મહિનાના (બંગાળી કેલેન્ડર વર્ષના છેલ્લા મહિનાના) પહેલા દિવસે શરૂ થાય છે. જયા કહે છે, “અમે બિરોઈન ચાલ (વધારે સારી જાતના ચીકણા ચોખા) નો ઉપયોગ કરીએ છીએ અને તેને ગાળતા પહેલા અઠવાડિયાઓ સુધી વાંસમાં(થી બનાવેલા વાસણમાં) આથો આવવા દઈએ છીએ. હવે અમે વારંવાર જોગોરા બનાવતા નથી." એ માટેનું કારણ આપતા તેઓ કહે છે તેને બનાવવામાં ઓછામાં ઓછો એક મહિનો લાગે છે અને એ ચોખા પણ ખૂબ મોંઘા થઈ ગયા છે. "પહેલાં અમે આ ચોખા ઝુમ [પહાડી ખેતી] માં ઉગાડતા હતા, પરંતુ હવે જે જમીન પર આ ચોખાની ખેતી કરવામાં આવતી હોય એવી જમીન ખાસ રહી નથી."
















