એક સમયે પોતાની ખેતીની જમીન પર પરિવારે જે ઘર બનાવ્યું હતું તેના કાટમાળમાંથી રસ્તો કાઢતા 70 વર્ષના બલદેવ કૌર આગળ વધે છે. જે ઓરડાઓ હજુ ઊભા હતા તેની દિવાલો પર મોટી તિરાડો પડી ગઈ હતી.
બલદેવે કહ્યું, “વરસાદ અને કરા જોર જોરથી છત પર પટકાતા હતા ત્યારે અમે બધા આખી રાત જાગતા વિતાવી હતી. અમને ખબર નહોતી પડતી કે આ બધું શું થઈ રહ્યું છે." બલદેવના વાળ ધોળા થઈ ગયેલા હતા, તેમણે સુતરાઉ સલવાર કમીઝ પહેરેલા હતા અને પોતાના દુપટ્ટાથી માથું ઢાંકેલું હતું. તેઓ કહે છે, "પછી સવારે, જ્યારે છતમાંથી પાણી ટપકવા લાગ્યું, ત્યારે અમે બધા બહાર દોડ્યા."
બલદેવના નાના (દીકરાના) વહુ 26 વર્ષના અમનદીપ કૌરે કહ્યું કે જેમ જેમ દિવસ ઊગતો ગયો તેમ તેમ ઘર ઘર તૂટીને નીચે પડવા લાગ્યું. બલદેવના મોટા દીકરા 35 વર્ષના બલજિંદર સિંહે કહ્યું, "સારે પાસે ઘર હી પત્ત ગયા. [અમારી ચારેય તરફ અમારું ભાંગી પડેલું ઘર હતું]."
બલદેવ કૌર અને ત્રણ નાના બાળકો સહિતના તેમના સાત જણના પરિવારે આવો વિનાશ આ પહેલા અગાઉ ક્યારેય જોયો ન હતો. માર્ચ 2023 ના અંતમાં કરા સાથે પડેલા કમોસમી વરસાદે શ્રી મુક્તસર સાહિબ જિલ્લાના ગિદ્દરબાહા બ્લોકમાં ભલાઈઆના ગામમાં ફસલ અને ઘર બરબાદ કરી નાખ્યા હતા. દક્ષિણ-પશ્ચિમ પંજાબનો આ પ્રદેશની દક્ષિણ સરહદે રાજસ્થાન અને પૂર્વ સરહદે હરિયાણા આવેલ છે.
વરસાદ અને કરા ત્રણ દિવસ સુધી ચાલુ રહેતાં બલજિંદર પરેશાન થઈ ગયા હતા. તેઓએ પરિવારની માલિકીની 5 એકર જમીન ઉપરાંત 10 એકર ખેતીની જમીન ગણોતપટે લેવા માટે એક અર્થિયા (આડતિયા) પાસેથી 6.5 લાખ રુપિયા ઉધાર લીધા હતા. તેમનો ઘઉંનો પાક નિષ્ફળ જતા હવે પરિવારનો જીવનનિર્વાહ શી રીતે કરવો એ સવાલ થઈ ગયો હતો અને લોન ભરપાઈ કરવાનો કોઈ રસ્તો રહ્યો નહોતો.
બલજિંદરે કહ્યું, “જે ફસલ પાકવાની શરૂઆત થઈ હતી તે પહેલા અતિવૃષ્ટિથી બરબાદ થઈ ગઈ હતી. ને પછી જ્યારે વરસાદ પડ્યો ત્યારે દિવસો સુધી ખેતરમાં પાણી ભરાયેલાં હતાં. પાણી જવાનો કોઈ રસ્તો નહોતો, અને ફસલ એ પાણીમાં સડતી રહી." એપ્રિલના મધ્યમાં બલજિંદરે જણાવ્યું હતું, "હજી આજે પણ આ 15 એકર પર જમીનદોસ્ત થઈ ગયેલ પાક છે."


















