યેલ્લપ્પન મૂંઝવણમાં છે અને ગુસ્સે છે.
“અમે દરિયાઇ માછીમારી સમુદાયના નથી. [તો] શા માટે અમને સેમ્બાનંદ મારવાર અથવા ગોસંગી તરીકે ઓળખવામાં આવે છે?”
તે 82 વર્ષીય દૃઢતાપૂર્વક કહે છે, “અમે શોલગા છીએ. [સરકાર] અમારી પાસે પુરાવા માગે છે. અમે અહીં જ છીએ અને જીવતા છીએ. શું એ પુરાવો પૂરતો નથી? આધાર આન્તે આધાર. યલિંદા તરલી આધાર? [પુરાવા! પુરાવા! [તેમને બસ એજ જોઈએ છે].”
તમિલનાડુના મદુરાઈ જિલ્લાના સક્કીમંગલમ ગામના રહેવાસીઓ, યેલ્લપન્નનો સમુદાય ચાબુક મારવાની પ્રેક્ટિસ કરે છે, અને સ્થાનિક રીતે તેઓને ચાટાઈ સમુદાય તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ વસ્તી ગણતરીમાં, તેઓને સેમ્બાનંદ મારવાર તરીકે નોંધવામાં આવ્યા છે, અને સૌથી પછાત વર્ગો (એમબીસી)ની શ્રેણીમાં મૂકવામાં આવ્યા છે.
તેઓ ઉમેરે છે, “[વસ્તી ગણતરી] મોજણી કરનારાઓ અમારી મુલાકાત લે છે, અમને કેટલાક પ્રશ્નો પૂછે છે અને પછી તેઓ ગમે તે શ્રેણી હેઠળ અમને સૂચિબદ્ધ કરી દે છે.”
યેલ્લપ્પન અંદાજે તે 15 કરોડ ભારતીયોમાંના એક છે, જેમની ખોટી ઓળખ કરવામાં આવી છે અને ખોટી રીતે વર્ગીકૃત કરવામાં આવ્યા છે. અંગ્રેજોના શાસન દરમિયાન સ્થાપિત કરાયેલા ગુનાહિત જાતિઓ અધિનિયમ, 1871 દ્વારા આમાંના ઘણા સમુદાયોને એક સમયે ‘વારસાગત રીતે ગુનેગારો’ તરીકે ઓળખવામાં આવ્યા હતા. આ કાયદો 1952માં રદ કરવામાં આવ્યો હતો, અને તે સમુદાયોને બિન અધિસૂચિત જાતિઓ (ડીએનટી) અથવા વિચરતી જાતિઓ (એનટી) તરીકે ઓળખવામાં આવે છે.
નેશનલ કમિશન ફોર ડિનોટિફાઈડ નોમેડિક એન્ડ સેમી નોમેડિક ટ્રાઈબ્સનો 2017નો એક સરકારી અહેવાલ જણાવે છે કે, “સારામાં સારી પરિસ્થિતિમાં પણ અપૂર્ણ અને સૌથી ખરાબ પરિસ્થિતિમાં અક્ષમ, તેમનું સ્થાન, સામાજિક પદાનુક્રમના સૌથી નીચલા સ્તરે આવેલું છે. ઘણી વખત અંગ્રેજ શાસન દરમિયાન સર્જાયેલા પૂર્વગ્રહોનો સામનો કરે છે.”

















