"ચાળુન, ચાળુન, ગર્ભમાંના બાળકને જન્મ નહેર તરફ આગળ વધવામાં હું મદદ કરું છું."
દાઈ (મિડવાઈફ) તરીકેના પોતાના દિવસોને અને (અનેક) બાળકોને પોતે આ દુનિયામાં લાવ્યાં હતા એ વાતને યાદ કરતાં ગુણામાય મનોહર કાંબલેની આંખોમાં ચમક આવી ગઈ. (થોડી વાર માટે) તેમના 86 વર્ષ જાણે પાછળ છૂટી ગયા. તેઓ જાણે ફરી એક વાર એક ચપળ અને સચેત દાઈ બની ગયા. જન્મ નહેરમાંથી બાળક બહાર નીકળવાની પ્રક્રિયાનું વર્ણન કરતાં તેમણે હળવાશથી ઉમેર્યું, “હાતાત કંકણ ઘાલતો ના, અગદી તસા! [આપણે હાથમાં બંગડીઓ પહેરીએ છીએ ને, બસ બરાબર એવું જ!].” આ કેવી રીતે થાય એ બતાવતી વખતે તેમના (હાથના) કાંડા પરની કાચની લાલ બંગડીઓ ખણકતી હતી.
તેમણે પહેલવહેલી વખત બાળજન્મમાં મહિલાઓને મદદ કરવાનું શરૂ કર્યું ત્યારથી માંડીને સાત દાયકામાં વાગદરી ગામના રહેવાસી દલિત ગુણામાય ઉસ્માનાબાદ જિલ્લામાં સેંકડો બાળકોને તેમની માતાના ગર્ભમાંથી સુરક્ષિત રીતે બહાર લાવ્યા હતા. ચાર વર્ષ પહેલાં તેઓ 82 વર્ષના હતા ત્યારે છેલ્લી વાર બાળજન્મમાં મદદ કરનાર આ પીઢ મહિલાએ કહ્યું, "એ હાથનો જાદુ છે." તેમને ગર્વ હતો કે, "મારા હાથ ક્યારેય નિષ્ફળ ગયા નથી. ભગવાન મારી સાથે છે.”
ગુણામાયની દીકરી વંદના સોલાપુર સિવિલ હોસ્પિટલની એક ઘટના યાદ કરે છે, તે વખતે ડોકટરો ત્રણ માતાઓનું સિઝેરિયન કરીને પ્રસૂતિ કરાવવાના હતા ત્યારે ગુણામાયે તેઓ પોતે (વગર સિઝેરિયને) એ શી રીતે પ્રસૂતિ કરાવે છે એ જોવાનું ડોક્ટરોને કહ્યું હતું. "તેઓએ (ડોક્ટરોએ) કહ્યું હતું, 'તમે અમારા કરતાં વધુ કુશળ છો, આજી [દાદી]." એ વખતે ડોક્ટરોના (ચહેરા પરના) આશ્ચર્ય અને વિસ્મયને યાદ કરીને ગુણામાય હસે છે.
તેમનું કૌશલ્ય પ્રસૂતિથી આગળ વિસ્તરેલું હતું અને તેમને આખા મહારાષ્ટ્રમાં ઠેરઠેરથી, જેમ કે સોલાપુર, કોલ્હાપુર અને પુણેથી ફોન આવતા હતા. પારીની ટીમ થોડા મહિના પહેલા તેમને મળી હતી ત્યારે તેમની પૌત્રીએ ગર્વથી કહ્યું હતું, "બાળકની આંખો, કાન અથવા નાકમાં આકસ્મિક રીતે ફસાઈ ગયેલી વસ્તુઓને બહાર કાઢવામાં મારા દાદી ખૂબ હોશિયાર છે. પછી એ બીજ હોય કે મણકો હોય, એ કઢાવવા માટે લોકો બાળકને તેમની પાસે લઈ આવે છે." આ મિડવાઈફ (ગુણામાય) આ બધા કામોને પણ તેમના દાઈ તરીકેના કામનો એક ભાગ તરીકે જ જોતા. સાથે સાથે તેમને પેટનો દુખાવો, કમળો, શરદી અને ઉધરસ, તાવ વિગેરેના ઉપચાર માટે દેશી જડીબુટ્ટીઓની જાણકારી પણ હતી.









