રમેશ શર્માને યાદ નથી કે છેલ્લે ક્યારે આખું વર્ષ તેમણે પોતાને ઘેર ગાળ્યું હશે. હરિયાણાના કરનાલ જિલ્લાના ગાગ્સિના ગામમાં એક ખેતરમાં શેરડી કાપતા- કાપતા તેઓ કહે છે કે, "હું છેલ્લા 15-20 વર્ષથી આ કરું છું."
44 વર્ષના રમેશ ઓક્ટોબરથી માર્ચ - વર્ષના છ મહિના - બિહારના અરરિયા જિલ્લામાં આવેલા તેમના ગામ શોઇરગાંવથી હરિયાણા અને પંજાબમાં ખેતમજૂર તરીકે કામ કરવા સ્થળાંતર કરે છે. તેઓ કહે છે, "હું બિહારમાં ખેડૂત તરીકે કમાઉ છું તેના કરતા વધારે પૈસા હરિયાણામાં મજૂર તરીકે કમાઉ છું."
શોઇરગાંવમાં રમેશની ત્રણ એકર ખેતીની જમીન છે, તેઓ વર્ષના છ મહિના તેના પર ખેતી કરે છે. તેઓ ખરીફ સીઝન (જૂન-નવેમ્બર) દરમિયાન ડાંગર ઉગાડે છે. જે શેરડી કાપી રહ્યા છે તેના પરથી નજર હટાવ્યા વિના તેઓ કહે છે, “તેમાંથી મોટાભાગના (ડાંગર) ઘર-વપરાશ માટે છે,” .
શર્માનો વર્ષનો મુખ્ય રોકડિયો પાક મકાઈ છે, જે તેઓ રવિ સીઝનમાં (ડિસેમ્બર-માર્ચ) ઉગાડે છે. પરંતુ આ પાકથી તેમને ભાગ્યે જ કંઈ રોકડ નસીબ થાય છે. કુલ 60 ક્વિન્ટલ મકાઈની ઉપજ મળ્યા પછી તેઓ કહે છે, “ગયા વર્ષે [2020] મેં મારો પાક પ્રતિ ક્વિન્ટલ 900 રુપિયે વેચ્યો હતો. વચેટિયાએ (કમિશન એજન્ટે) ગામમાંથી જ અમારી પાસેથી પાક ખરીદી લીધો હતો. વર્ષોથી આમ જ ચાલે છે. ”
રમેશને મળેલ ભાવ - કેન્દ્ર સરકારે 2019-20માં મકાઈ માટે નક્કી કરેલા - લઘુતમ ટેકાના ભાવ (એમએસપી) - 1760 રુપિયા પ્રતિ ક્વિન્ટલ - કરતા આશરે 50 ટકા ઓછો હતો. બિહારમાં હવે સરકાર દ્વારા નિયંત્રિત મંડીઓમાં એમએસપી પર વેચવાનો વિકલ્પ રહ્યો નથી, તેથી શર્મા જેવા નાના ખેડૂતોને વચેટિયાઓ સાથે સીધા સોદા કરવાની ફરજ પડે છે.
2006 માં બિહાર સરકારે બિહાર કૃષિ ઉપજ ખરીદ-વેચાણ અધિનિયમ, 1960 રદ કર્યો. એ સાથે રાજ્યમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (એપીએમસી) મંડી પ્રણાલી નાબૂદ થઈ ગઈ. સરકારે દાવો કર્યો હતો કે આ પગલું ખેડૂતો માટે ખાનગી માલિકીના વેપાર ક્ષેત્રને મંજૂરી આપીને કૃષિ ક્ષેત્રને પ્રતિબંધોથી મુક્ત કરશે. પરંતુ એપીએમસીને નાબૂદ કરવાથી બિહારના ખેડૂતોને વધુ સારું વળતર મળ્યું ન હતું, તેઓ વચેટિયાઓ પર અને વેપારીઓ દ્વારા નક્કી કરાયેલા ભાવો પર વધુ નિર્ભર બન્યા હતા.








