હવે ગમે તે ક્ષણે માત્ર અમદાવાદના હજારો રનવે પરથી તેઓ ઉડાન ભરશે. કોઈપણ જાણીતી એર પરેડ કરતાં વધુ રંગીન અને તેજસ્વી દૃશ્ય હશે એ. તેમના મગરૂર પાઇલટ્સ અને માલિકો બંને જમીન પર છે. એ બંને જે હકીકતથી અજાણ છે તે એ છે કે - તેઓ જે યાન ઉડાવી રહ્યા છે તે - તે દરેકેદરેક યાન - આ ઉદ્યોગને ધમધમતો રાખવા લગભગ આખું વરસ કામે લાગતા આઠેક સભ્યોના ગ્રાઉન્ડ ક્રૂ (જમીન પર રહેલા કાફલા) દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. આ કાફલામાં મોટે ભાગે મહિલાઓ છે, ઘણું કરીને ગ્રામીણ અથવા નાના શહેરમાં રહેતી, અને જેઓ તેમના જટિલ, નાજુક પરંતુ કઠિન કામ માટે નજીવી કમાણી કરે છે, અને જેઓ પોતે ક્યારેય ઊંચી ઉડાન ભરી શકવાના નથી.
મકરસંક્રાંતિનો સમય છે અને આ હિંદુ તહેવારની ઉજવણીરૂપે શહેરમાં ઉડાવવામાં આવતા મેઘધનુષી રંગના પતંગોમાંના ઘણાખરા અમદાવાદમાં જ અને ગુજરાતના આણંદ જિલ્લાના ખંભાત તાલુકામાં - મુસ્લિમ અને ગરીબ હિંદુ ચુનારા સમુદાયની મહિલાઓ દ્વારા બનાવવામાં આવે છે. મોટાભાગના પતંગ ચગાવનારા, સ્વાભાવિક રીતે જ, હિંદુઓ રહેવાના.
આ મહિલાઓ વર્ષમાં દસ મહિના કરતાં વધુ સમય માટે - સાવ નજીવા વળતર સાટે - પતંગો બનાવવાનું કામ કરે છે - ખાસ કરીને એ રંગબેરંગી પતંગો જે 14 મી જાન્યુઆરીએ આકાશને શણગારે છે. ગુજરાતમાં 625કરોડના આ ઉદ્યોગમાં કામ કરતા 1.28 લાખ લોકોમાં દર 10 માણસોમાંથી 7 મહિલાઓ હોય છે.
40 વર્ષના સબીન અબ્બાસ નિયાઝ હુસૈન મલિક કહે છે, “સાત (જણના) હાથમાંથી પસાર થાય ત્યારે એક પતંગ તૈયાર થાય. અમે ખંભાતના લાલ મહેલ વિસ્તારની એક નાની ગલીમાં તેમના 12 x 10 ફૂટના ઘર-કમ-દુકાનમાં બેઠા છીએ. અને ચળકતા રૂપેરી પેકેટોમાં લપેટાઈને વેચાણકર્તાઓને મોકલવા માટે તૈયાર થયેલા પતંગોની પૃષ્ઠભૂમિમાં બેસીને તેઓ દેખીતી રીતે મનોરમ જણાતા આ ઉદ્યોગની ઓછી જાણીતી બાજુથી અમને માહિતગાર કરી રહ્યા છે.


















