જ્યારે તેઓ બોલે છે ત્યારે તેમના કપાળમાં કરચલીઓ થાય છે, જે તેમના બીમાર નિસ્તેજ ચહેરામાં સ્પષ્ટ દેખાય છે. તેઓ લંગડાય છે, ધીમાં પડી ગયેલાં અને વળી ગયેલાં તેઓ, દર થોડા મીટર અંતર કાપીને શ્વાસ લેવા રોકાઈ જાય છે. હળવા પવનની લહેર તેમના ચહેરા પરના ભૂખરા પડી ગયેલા વાળને લહેરાવે છે.
ઇન્દ્રવતી જાધવની ઉંમર ફક્ત 31 વર્ષની છે, તે માનવામાં જ નથી આવતું.
મહારાષ્ટ્રના નાગપુર શહેરના સીમાડે આવેલા ઝૂંપડપટ્ટી વિસ્તારનાં રહેવાસી, જાધવ ફેફસાંમાં લાંબા ગાળાનો અવરોધજન્ય રોગ (સી.ઓ.પી.ડી.) થી પીડાય છે, જે સંભવિત રીતે એક ઘાતક પરિસ્થિતિ છે. તેનાથી ફેફસાંમાં શ્વાસના પ્રવાહમાં અવરોધ પેદા થાય છે, શ્વાસ લેવામાં તકલીફ થાય છે અને મોટે ભાગે, લાંબા ગાળાની ઉધરસ થાય છે, જેના લીધે અંતે ફેફસાંને નુકસાન પહોંચે છે. આ પરિસ્થિતિને ઘણી વખત ‘ધુમ્રપાન કરનારાંનો રોગ’ કહેવાય છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (ડબલ્યુ.એચ.ઓ.) મુજબ, ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં સી.ઓ.પી.ડી.ના કેસોમાં લગભગ 30થી 40 ટકા કિસ્સાઓમાં દર્દીઓને તમાકુ−ધુમ્રપાનનો ઇતિહાસ હોય છે.
જાધવ ક્યારેય સિગારેટને અડક્યાં ય નથી, પરંતુ તેમના ડાબા ફેફસાને ગંભીર નુકસાન થયું છે. ડબ્લ્યુ.એચ.ઓ. જણાવે છે કે, લાકડા અથવા કોલસાથી ચાલતા ચૂલા પર રાંધવાનું સીધું પરિણામ છે ઘરની હવાનું પ્રદૂષણ.
જાધવે ક્યારેય રસોઈ માટે સ્વચ્છ ઈંધણ વાપર્યું નથી. તેઓ કહે છે તેઓ ખોરાક રાંધવા કે પાણી ગરમ કરવા માટે હંમેશાં લાકડા કે કોલસાથી ચાલતા ખુલ્લા ચૂલાનો જ ઉપયોગ કરે છે. તેમના ડૉક્ટરે તેમને કહેલા શબ્દો દોહરાવતાં તેઓ કહે છે, “ચુલીવર જેવન બનવુન માજી ફુપ્પુસા નિકામી ઝાલી આહેત [ખુલ્લા ચૂલા પર ખોરાક રાંધવાથી મારાં ફેફસાં નકામા થઈ ગયાં છે].” તેમના બાયો-ગૅસથી ચાલતા ચૂલાના પ્રદૂષણથી તેમનાં ફેફસાંને નુકસાન પહોંચ્યું છે.
2019ના લાન્સેટના એક અભ્યાસમાં અંદાજ લગાવાયો છે કે, હવાના પ્રદૂષણના કારણે દર વર્ષે લગભગ છ લાખ ભારતીયો અકાળે મૃત્યુ પામે છે, જેમાં ઘરના વાયુ પ્રદૂષણથી આસપાસની હવાની ગુણવત્તામાં નોંધપાત્ર અસર થાય છે.










