તમે જંગલના રાજાને રાહ જોવડાવી ન શકો.
સિંહો આવવાના હતા. તે પણ છેક ગુજરાતથી. અને બીજા બધાએ તેમનો પ્રવેશ સરળ બનાવવા ખસી જવાનું હતું.
અને મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કની અંદર આવેલા પાયરા જેવા ગામડાઓને એ બધું શી રીતે પાર પડશે એનો કોઈ ચોક્કસ ખ્યાલ ન હોય તો પણ વિચાર તરીકે એ સારો હતો.
70-72 વર્ષના રઘુલાલ જાટવ કહે છે, “આ સિંહોના આવ્યા પછી આ વિસ્તાર પ્રખ્યાત થઈ જશે. અમને ભોમિયા તરીકે નોકરી મળશે. અમે આસપાસના વિસ્તારમાં દુકાનો અને ભોજનશાળાઓ ચલાવી શકીશું. અમારા પરિવારો ફૂલશે-ફાલશે.” તેઓ કુનો પાર્કની બહાર આગરા ગામમાં અમારી સાથે વાત કરી રહ્યા હતા.
રઘુલાલ કહે છે, “અમને સિંચાઈની સુવિધાવાળી સારી ગુણવત્તાની જમીન, ઓલ-વેધર રોડ્સ (બારમાસી પાકી સડક), આખા ગામ માટે વીજળી, અને તમામ નાગરિક સુવિધાઓ મળશે."
તેઓ કહે છે, "સરકારે અમને આવી ખાતરી આપી હતી."
અને તેથી પાયરાના લોકો અને 24 ગામોના લગભગ 1600 પરિવારોએ કુનો નેશનલ પાર્કમાં આવેલા તેમના ઘરો ખાલી કર્યા. તેઓ મુખ્યત્વે સહરિયા આદિવાસી અને દલિત અને ગરીબ ઓબીસી હતા. તેમને (અકારણ) ખૂબ ઉતાવળે વિસ્થાપિત કરાયા હતા.
ટ્રેક્ટરો લાવવામાં આવ્યા, અને વનવાસીઓએ તેમના ચાલુ ઘરબાર ઉતાવળે છોડી દેવા પેઢીઓથી ભેગી કરેલી ચીજવસ્તુઓનો ખડકલો કર્યો. પ્રાથમિક શાળાઓ, હેન્ડપંપ, કૂવાઓ અને તેમણે પેઢીઓથી ખેડેલી જમીન બધુંય પાછળ રહી ગયું. પશુઓને પણ પાછળ છોડવા પડ્યા. કારણ કે જંગલના પૂરતા ચરાઈના સંસાધનો વિના પશુઓને ચારો નીરવો બોજારૂપ બની રહે.
આજે ત્રેવીસ વર્ષ પછી હજી પણ તેઓ સિંહોની રાહ જોઈ રહ્યા છે.


















