બુધુરામ ચિંદા ભયથી ધ્રૂજી રહ્યા હતા. તેમનાથી થોડાક જ અંતરે મોટા કાળા આકારની આકૃતિઓ ચંદ્રના પ્રકાશના પડછાયામાં ઊભી હતી. કાથાફર ગામના 60 વર્ષીય ભુંજિઆ આદિવાસી ખેડૂત તેમના ઘરના અડધા બંધ દરવાજાના બાકોરામાંથી ડોકિયું કરી રહ્યા હતા.
ઓડિશામાં સુનાબેડા વન્યજીવ અભયારણ્યના મુખ્ય અને અનામત વિસ્તારોમાં આવેલી 52 માનવ વસાહતોમાંની એકમાં રહેતા ખેડૂત માટે આ મોટા સસ્તન પ્રાણીઓનું દેખાવું કોઈ અસામાન્ય વાત ન હતી.
પરંતુ તેમ છતાં, તેઓ કહે છે, “હું એ વિચારીને ધ્રૂજતો હતો કે તેઓ પળભરમાં મને અને મારા કાચા ઘરને કચડી નાખશે.” થોડી વાર પછી તેઓ તેમના ઘરના પાછળના ભાગમાં ગયા અને તુલસીના છોડ પાસે ઊભા રહ્યા: “મેં દેવી લક્ષ્મીને અને તે મોટા સસ્તન પ્રાણીઓને પ્રાર્થના કરી હતી, કદાચ તે ઝૂંડે મને જોયો હતો.”
બુધુરામનાં પત્ની, 55 વર્ષીય સુલક્ષ્મી ચિંદાએ પણ હાથીઓના બરાડા સાંભળ્યા હતા. તેઓ લગભગ એક કિલોમીટર દૂર ગામમાં તેમના પુત્રો અને તેમના પરિવાર સાથે તેમના ઘેર હતાં.
હાથીઓનું તે ટોળું લગભગ એક કલાક પછી આ વિસ્તારમાંથી બહાર નીકળ્યું હતું.
ડિસેમ્બર 2020માં બનેલી તે ઘટના તરફ નજર કરતાં, તે ખેડૂતને લાગ્યું કે તેમણે પ્રાર્થના કરી તેનાથી મદદ મળી હતી.
તેથી, જ્યારે ડિસેમ્બર 2022માં હાથીઓએ તેમનો માર્ગ બદલ્યો, ત્યારે માત્ર બુધુરામ જ નહીં, પરંતુ નુઆપાડા જિલ્લાના 30 આદિવાસી ગામોના ઘણા રહેવાસીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.











