चाण्डालश्च वराहश्च कुक्कुटः श्वा तथैव च ।
रजस्वला च षण्ढश्च नैक्षेरन्नश्नतो द्विजान् ॥
હોય ચંડાળ, ગામડાનું ડુક્કર, કૂકડો, કૂતરો,
માસિકસ્રાવમાં હોય એવી સ્ત્રી કે નપુંસક,
કોઈએ દ્વિજ જમતાં હોય ત્યારે તેમની સામે જોવું નહીં.
— મનુસ્મૃતિ 3.239
પણ આ નવ વર્ષના છોકરાનું પાપ એ કંઈ એક માત્ર ક્ષુલ્લક નજરમાં થોડું હતું, એ તો ઘણું બહાદુરીભર્યું હતું. ધોરણ 3 નો વિદ્યાર્થી ઇન્દ્ર કુમાર મેઘવાલે તેની તરસને ગળામાં જ ડામવામાં નિષ્ફળ ગયો. ત્યારે એ દલિત છોકરાએ ઉચ્ચ જાતિના શિક્ષકો માટે અલગ રાખવામાં આવેલા ઘડામાંથી પાણી પીધું.
સજા તો નક્કી હતી. રાજસ્થાનના સુરાણા ગામમાં સરસ્વતી વિદ્યા મંદિરમાં તેના 40 વર્ષના ઉચ્ચ જાતિના શિક્ષક ચૈલ સિંહે તેને નિર્દયતાથી પીટ્યો.
છેવટે 25 દિવસના અંતે, અને મદદ માટે 7 હોસ્પિટલોમાં ભટક્યા બાદ ભારતના સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ, જાલોર જિલ્લાના એ નાના છોકરાએ અમદાવાદ શહેરમાં અંતિમ શ્વાસ લીધા.


