ગાયત્રી કાચ્ચરાબીને દર મહિને એક ચોક્કસ સમયે અચૂક પેટમાં સખત દુખાવો થાય છે. ત્રણ દિવસ ચાલનારો એ દુખાવો એ એક વર્ષથીય વધારે સમય પહેલા બંધ થઈ ગયેલા તેમના માસિકસ્રાવની યાદ અપાવનાર એકમાત્ર સંકેત છે.
ગાયત્રી કહે છે, "આ રીતે મને ખબર પડે છે કે આ મારો માસિકસ્ત્રાવનો સમયગાળો છે, પણ મને રક્તસ્ત્રાવ થતો નથી." 28 વર્ષની ગાયત્રી કહે છે, "કદાચ ત્રણ બાળકો જણ્યા પછી હવે માસિક સ્રાવ માટે મારામાં પૂરતું લોહી જ રહ્યું નથી." એમેનોરિયા - રજોરોધ (માસિક ચક્ર દરમિયાન રક્તસ્ત્રાવ ન થવા છતાં) - છતાં દર મહિને પેટમાં આવતી ચૂંક અને પીઠનો દુખાવો ઓછા થતા નથી, ગાયત્રી કહે છે કે એ એટલા તો પીડાદાયક હોય છે કે તેમને એવું લાગે છે કે તેમને વેણ ઉપડ્યું છે. "ઊભા થવું પણ મુશ્કેલ બની જાય છે."
ઊંચી અને પાતળી ગાયત્રીની આંખો ધ્યાનાકર્ષક છે અને તેઓ અટકી અટકીને શબ્દસમૂહોને છૂટા પાડીને બોલે છે. કર્ણાટકમાં હાવેરી જિલ્લાના રાણીબેન્નુર તાલુકામાં અસુંદી ગામની સીમમાં માડિગાસ દલિત સમુદાયની એક વસાહત માદિગરા કરીમાં રહેતા ખેતમજૂર ગાયત્રી પાક માટેના એક નિષ્ણાત હેન્ડ-પોલિનેટર (હાથેથી પરાગનયન કરાવવામાં નિષ્ણાત) પણ છે.
લગભગ એક વર્ષ પહેલા જ્યારે પેશાબ કરવો પીડાદાયક બન્યો ત્યારે તેમણે તબીબી સહાય લીધી હતી. તેઓ તેમના ગામથી લગભગ 10 કિલોમીટર દૂર બ્યાડ્ગીમાં એક ખાનગી દવાખાને ગયા હતા.
















